જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં યોજાતો ભવનાથ મહા શિવરાત્રિ મેળો હાલ ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાથી છલકાઈ રહ્યો છે. દેશભરમાંથી આવેલા હજારો સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓની હાજરીને કારણે સમગ્ર વિસ્તાર ધાર્મિક માહોલમાં રંગાઈ ગયો છે. ભારતભરમાં અનેક સ્થળોએ મહા શિવરાત્રિની ઉજવણી થાય છે, પરંતુ જૂનાગઢમાં યોજાતો આ અનોખો ‘સાધુઓનો મેળો’ ખાસ ઓળખ ધરાવે છે અને દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે.
મેળાના મેદાનમાં સાધુઓના વિવિધ સ્વરૂપો અને તેમની હઠયોગી સાધનાઓ ભક્તો માટે ખાસ આકર્ષણ બની રહી છે. કેટલાક સાધુઓ કઠિન તપસ્યામાં લીન થઈને આકરી ઠંડીમાં કાંટા પર આસન જમાવીને બેઠા છે, તો કેટલાક લાંબા સમય સુધી એક જ મુદ્રામાં ઊભા રહીને શિવ આરાધના કરી રહ્યા છે. વર્ષો જૂની જટાઓ, શરીર પર ભસ્મ અને ધૂણા આસપાસ મંત્રોચ્ચાર કરતા સાધુઓનું દ્રશ્ય આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે. તળેટીમાં ધખતા ધૂણાઓ અને સાધુઓની ઉપસ્થિતિ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવે છે.
ભસ્મધારી સાધુઓ ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. સાધુઓના શરીર પર લગાવવામાં આવેલી ભસ્મ માત્ર ધાર્મિક પ્રતીક નથી, પરંતુ ભૌતિક સુખ-સુવિધાઓનો ત્યાગ અને ઈશ્વર સાથેના જોડાણનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રખ્યાત ભજનની પંક્તિઓ ‘ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા’ અહીં જીવંત અનુભવાય છે, જ્યાં ભક્તો સાધુઓ પાસેથી આશીર્વાદ મેળવી આધ્યાત્મિક સંતોષ અનુભવે છે.
જૂનાગઢનો મહા શિવરાત્રિ મેળો ‘મિની કુંભ’ તરીકે પણ ઓળખાય છે. મહા શિવરાત્રિના દિવસે નીકળનારી રવેડી અને મૃગી કુંડમાં થનાર શાહી સ્નાન આ મેળાના મુખ્ય આકર્ષણ છે. ભક્તો માટે આ મેળો માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ આધ્યાત્મિક અનુભવ, પરંપરા અને સંસ્કૃતિનું અનોખું સંમેલન છે, જ્યાં શિવ અને શક્તિના મિલનનું પ્રતિકાત્મક દર્શન થાય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel