દેશમાં વધતા સાયબર ફ્રોડને રોકવા માટે કેન્દ્ર સરકારે મેસેજિંગ એપ્સ માટે મહત્વપૂર્ણ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. માર્ચ 2026થી WhatsApp, Telegram અને Signal જેવી એપ્લિકેશન્સ માટે SIM Binding નિયમ ફરજિયાત બનાવવામાં આવશે. આ નિયમ અમલમાં આવ્યા પછી યુઝર્સ સીમકાર્ડ વિના વોટ્સએપ અથવા અન્ય મેસેજિંગ એપ્સ ચલાવી શકશે નહીં. નવા નિયમના કારણે કમ્પ્યુટર પર ચાલતું WhatsApp Web પણ દરેક 6 કલાકે ઓટોમેટિક લોગઆઉટ થઈ જશે.
કેન્દ્ર સરકારના Department of Telecommunications દ્વારા નવેમ્બર 2025માં તમામ ઓટીટી મેસેજિંગ એપ્સને SIM Binding સિસ્ટમ અમલમાં મૂકવા માટે સૂચના આપવામાં આવી હતી. આ માટે કંપનીઓને 90 દિવસની સમયમર્યાદા આપવામાં આવી હતી, જે ફેબ્રુઆરી 2026માં પૂર્ણ થાય છે. તેથી માર્ચ 2026થી સમગ્ર દેશમાં આ નિયમ લાગુ થશે.
SIM Binding નિયમ શું છે?
SIM Binding હેઠળ મેસેજિંગ એપ્સને તે ડિવાઈસમાં રહેલા એક્ટિવ સીમ કાર્ડ સાથે એકાઉન્ટ લિંક કરવું ફરજિયાત રહેશે. એટલે કે યુઝરનો નંબર જે સીમમાં રજિસ્ટર છે તે સીમ ફોનમાં એક્ટિવ હોવું જરૂરી રહેશે. જો સીમ કાર્ડ ફોનમાંથી કાઢી લેવામાં આવે, અન્ય ફોનમાં મૂકવામાં આવે અથવા ડિએક્ટિવેટ થઈ જાય તો WhatsApp જેવી એપ્સ તરત જ કામ કરવાનું બંધ કરી દેશે.
કમ્પ્યુટર પર WhatsApp Web માટે નવી મર્યાદા
નવા નિયમો અનુસાર WhatsApp Web અથવા ડેસ્કટોપ વર્ઝન વધુમાં વધુ 6 કલાક સુધી જ એક્ટિવ રહેશે. ત્યારબાદ યુઝરને ફરીથી મોબાઇલ દ્વારા ઓથેન્ટિકેશન કરીને લોગિન કરવું પડશે. આ કારણે ઓફિસમાં કમ્પ્યુટર પરથી લાંબા સમય સુધી વોટ્સએપ ચલાવતા લોકો માટે થોડી મુશ્કેલી ઉભી થઈ શકે છે.
કોને થશે વધુ અસર?
SIM Binding નિયમ અમલમાં આવ્યા પછી કેટલાક પ્રકારના યુઝર્સને વધુ અસર થશે:
-
વારંવાર સ્માર્ટફોન બદલતા લોકો
-
ફક્ત Wi-Fi પરથી ટેબલેટ અથવા સેકન્ડરી ડિવાઈસમાં WhatsApp ચલાવતા યુઝર્સ
-
અનેક ડિવાઈસમાં એક જ એકાઉન્ટ ચલાવતા લોકો
-
સીમ વિના ફોનમાં WhatsApp એકાઉન્ટ વાપરતા લોકો
આ બધા કેસમાં હવે સીમ સાથે એક્ટિવ મોબાઇલ ફરજિયાત રહેશે.
સાયબર ફ્રોડ રોકવા માટે સરકારનો નિર્ણય
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર સ્કેમ અને ઓનલાઈન ફ્રોડના કેસોમાં ભારે વધારો થયો છે. ઘણા ગુનેગારો સીમ વિના અથવા બીજા નંબરના વોટ્સએપ એકાઉન્ટથી છેતરપિંડી કરતા હતા, જેના કારણે તેમની ઓળખ શોધવી મુશ્કેલ બનતી હતી. આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે SIM Binding નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જેથી ડિસકનેક્ટ થયેલા નંબરનો દુરુપયોગ અટકાવી શકાય અને સાયબર ક્રાઈમ પર નિયંત્રણ લાવી શકાય.
હાલમાં WhatsAppના બેટા વર્ઝન 2.26.8.6માં આ ફીચર સંબંધિત પોપ-અપ જોવા મળ્યું છે, જે દર્શાવે છે કે કંપની આ નિયમ અમલમાં મૂકવા માટે જરૂરી ટેક્નિકલ ફેરફારો કરી રહી છે.
આ નિયમ માત્ર WhatsApp પૂરતો મર્યાદિત નથી, પરંતુ Signal, Telegram, Snapchat, ShareChat, JioChat, Arattai અને Josh જેવી અનેક મેસેજિંગ એપ્સ માટે પણ ફરજિયાત રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel