દક્ષિણ-પૂર્વ એશિયામાં ફરી એક વખત યુદ્ધના ધમધમાટ વચ્ચે જગત ધ્યાનથી જોય રહેલું છે. કેમ કે કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ફરી જૂનો સરહદી વિવાદ ભડકી ઉઠ્યો છે, અને તે હવે હવાઈ હુમલાઓ સુધી પહોંચી ગયો છે. દોંધી દેશો એકબીજા પર હુમલાનો આરોપ લગાવી રહ્યા છે. થાઈલેન્ડે દાવો કર્યો છે કે, કંબોડિયાએ પહેલા હુમલો કર્યો હતો, જ્યારે કંબોડિયા કહે છે કે તેમણે ફક્ત સ્વરક્ષણમાં પગલું ભર્યું. થાઈ સૈન્યે ગુરુવારે કંબોડિયાનાં લશ્કરી સ્થાનો પર હવાઈ હુમલાઓ કર્યા હતા, જેમાં ઐતિહાસિક ભગવાન શિવને સમર્પિત “પ્રીહ વિહાર મંદિર” નજીક બોમ્બ ફેંકાયા.
આ લડાઈમાં અત્યાર સુધી 9 નાગરિકોના મોત અને 14 જેટલાને ઈજા પહોંચી છે. વધુમાં, રાજદ્વારી સંબંધો તૂટી ગયા છે અને આયાત-નિકાસ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. બંને દેશોની સરહદ પર છ વિસ્તારોમાં અથડામણ ચાલુ છે.
વિવાદના મૂળમાં છે “પ્રીહ વિહાર મંદિર”, જે 11મી સદીમાં ભગવાન શિવને સમર્પિત કરીને બનાવાયું હતું. 1907માં ફ્રેન્ચ નકશા અનુસાર આ મંદિર કંબોડિયામાં આવે છે, જેને 1962માં આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જોકે, 2008માં યૂનેસ્કોએ તેને વૈશ્વિક વારસો જાહેર કર્યો ત્યાર બાદથી જ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે. 2011માં સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો અને 36,000 લોકો ઘરસ્થાન ખોવાવા મજબૂર બન્યા હતા.
તેમ છતાં, આજે પણ થાઈલેન્ડ આ નિર્ણયથી સહમત નથી અને વિવાદ વારંવાર ભડકે ચડે છે. છેલ્લે, 24 જુલાઈએ સવારે થાઈ સૈનિકોએ કંબોડિયન ડ્રોન અને સૈનિકોને દોષ આપતાં ગોળીબાર શરૂ થયો અને બાદમાં હવાઈ હુમલાથી સ્થિતિ વધુ ગંભીર બની ગઈ. થાઈલેન્ડે આ વિસ્તારમાં લેન્ડમાઈનો બિછાવવાનો આરોપ પણ લગાવ્યો છે, જેને કારણે તેમના પાંચ સૈનિક ઘાયલ થયા છે. આ સમગ્ર સ્થિતિ હવે વિશ્વ સમુદાય માટે ચિંતા અને કૂટનીતિક હસ્તક્ષેપનો વિષય બની છે.
શિવ મંદિર વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ
વર્ષ 2008માં કંબોડિયાએ પ્રીહ વિહાર મંદિરને યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાનો દરજ્જો આપવાની માંગ કરી ત્યારે પણ થાઈલેન્ડ ભડક્યું હતું. જુલાઈ 2008 માં મંદિરને યુનેસ્કોની માન્યતા મળી, એ પછી સરહદી વિસ્તારમાં કંબોડિયન અને થાઈ સૈનિકો વચ્ચે અથડામણો શરૂ થઈ હતી, જે વર્ષો સુધી ચાલુ રહી અને 2011માં ચરમસીમાએ પહોંચી.
આ અથડામણોને પગલે 36,000 લોકો વિસ્થાપિત
વર્ષ 2011માં સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો, જેના કારણે 36,000 લોકો વિસ્થાપિત થયા હતા. કંબોડિયા ફરીથી 1962ના નિર્ણયને બહાલી આપવા માટે ફરી એકવાર ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ગયું હતું. કોર્ટે બે વર્ષ પછી તેના અગાઉના નિર્ણયને ફરીથી સમર્થન આપ્યું હતું. આ નિર્ણયને થાઈલેન્ડ આજે પણ સ્વીકારી શક્યું નથી. પરિણામે બંને દેશ વચ્ચે નાની-મોટી અથડામણ થયા કરતી હતી, જે હવે હવાઈ હુમલા સુધી પહોંચી ગઈ છે.
રાજદ્વારી સંબંધો અને આયાત પર રોક લગાવી
24 જુલાઈ, ગુરુવારે સવારે થયેલી અથડામણના કલાકો પહેલા કંબોડિયાએ જાહેરાત કરી હતી કે, તે થાઈલેન્ડ સાથેના રાજદ્વારી સંબંધોને ‘સૌથી નીચા સ્તરે’ લઈ જઈ રહ્યું છે. કંબોડિયાએ થાઈલેન્ડમાંથી તેના એક સિવાયના બધા રાજદ્વારીઓને પાછા બોલાવવાની પણ જાહેરાત કરી છે, તો કંબોડિયાએ થાઈ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. કંબોડિયાએ થાઈલેન્ડમાંથી અમુક ચીજોની આયાત પણ અટકાવી દીધી છે.
સવારમાં મંદિર પાસે ગોળીબાર થયો
થાઈ સૈન્યના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે 7:35 વાગ્યે થાઈલેન્ડના સુરીન પ્રાંત નજીક તા મુએન મંદિરની રક્ષા કરી રહેલા થાઈ સૈનિકોના એક યુનિટે કંબોડિયન ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો. આ ઉપરાંત છ સશસ્ત્ર કંબોડિયન સૈનિકો થાઈલેન્ડ ચોકીની સામે કાંટાળા તારની વાડ પાસે પહોંચ્યા હતા. થાઈ સૈનિકોએ તેમને ચેતવણી આપવા બૂમ પાડી હતી, પરંતુ એને કાને ન ધરતા કંબોડિયન સૈનિકોએ સવારે 8:20 વાગ્યે મંદિરની પૂર્વ બાજુ તરફ ગોળીબાર કર્યો હતો.
જમીન પર બિછાવેલી સુરંગોથી સૈનિકો ઘાયલ
થાઈ લશ્કરે કહ્યું હતું કે, કંબોડિયાએ વિવાદિત સરહદી વિસ્તારમાં નવી લેન્ડમાઈન બિછાવી છે, જેને લીધે લશ્કરી પેટ્રોલિંગ કરતી વખતે પાંચ થાઈ સૈનિકો ઘાયલ થયા હતા. કંબોડિયાએ લેન્ડમાઈન બિછાવી હોવાનો દાવો નકારી કાઢ્યો હતો. પરિણામે થાઈ સૈન્યએ કંબોડિયાના જમીની લશ્કરી થાણાં પર હવાઈ હુમલા કરી દીધા હતા.