કેન્દ્ર સરકારે ઈંધણ નીતિમાં મોટો ફેરફાર કરતાં 1 એપ્રિલથી દેશભરમાં E20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત)નું વેચાણ ફરજિયાત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. Ministry of Petroleum and Natural Gas દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર હવે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેલ કંપનીઓએ 20 ટકા ઇથેનોલ ભેળવેલું પેટ્રોલ જ સપ્લાય કરવાનું રહેશે. સરકારનો આ નિર્ણય ઇંધણ આયાત પરની નિર્ભરતા ઘટાડવા, પર્યાવરણને સુરક્ષિત બનાવવા અને ખેડૂતોને આર્થિક લાભ પહોંચાડવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે અગાઉ ઇથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક વર્ષ 2030 નક્કી કર્યો હતો, પરંતુ તેને આગળ ધપાવીને 2025-26 સુધી પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને હવે સંપૂર્ણ રીતે અમલમાં મુકવામાં આવશે.
E20 પેટ્રોલના ઉપયોગમાં એન્જિનની સુરક્ષા મહત્વપૂર્ણ હોવાથી તેના માટે રિસર્ચ ઓક્ટેન નંબર (RON) ઓછામાં ઓછો 95 નક્કી કરવામાં આવ્યો છે. RON એ ઇંધણની એ ક્ષમતા દર્શાવે છે કે તે એન્જિનની અંદર થતી ‘નોકિંગ’ અથવા સમય પહેલાં થતી વિસ્ફોટ જેવી સમસ્યાને કેટલી અસરકારક રીતે રોકી શકે છે. સામાન્ય રીતે બજારમાં મળતું સામાન્ય પેટ્રોલ લગભગ 91 RON નું હોય છે, જ્યારે પ્રીમિયમ પેટ્રોલ 95 RON નું હોય છે. હવે E20 પેટ્રોલ 95 RON સ્ટાન્ડર્ડ સાથે વેચાશે, જે એન્જિનને વધુ સ્મૂથ અને ઓછા અવાજ સાથે કાર્ય કરવાની ક્ષમતા આપશે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 2023 પછી બનાવાયેલા મોટાભાગના નવા વાહનો E20 ઇંધણને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે, તેથી તેમને કોઈ ખાસ મુશ્કેલી નહીં થાય. જોકે, જૂના વાહનોમાં થોડો પ્રભાવ જોવા મળી શકે છે. ખાસ કરીને જૂના એન્જિનવાળા વાહનોમાં ઇંધણ કાર્યક્ષમતામાં આશરે 3% થી 7% સુધી ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત લાંબા ગાળે જૂના એન્જિનના રબર અને પ્લાસ્ટિકના ભાગો પર તેની અસર પડી શકે છે, જેના કારણે કેટલીક મરામતની જરૂર પડી શકે છે.
સરકારના આ પગલાથી દેશને આર્થિક રીતે પણ નોંધપાત્ર ફાયદો થયો છે. Indiaમાં 2014-15 થી અત્યાર સુધી ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમને કારણે લગભગ 1.40 લાખ કરોડ રૂપિયા જેટલું વિદેશી ચલણ બચાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇથેનોલ શેરડી, મકાઈ અને અન્ય અનાજમાંથી બનાવવામાં આવતા હોવાથી ખેડૂતોને પણ મોટો લાભ થયો છે. અંદાજ મુજબ ખેડૂતોને અત્યાર સુધીમાં લગભગ 21 હજાર કરોડ રૂપિયાનો વધારાનો આવક લાભ મળ્યો છે.
એથેનોલ મૂળભૂત રીતે એક પ્રકારનું આલ્કોહોલ છે, જે સ્ટાર્ચ અને ખાંડના આથો (Fermentation) દ્વારા બનાવવામાં આવે છે. તેના ઉત્પાદનના આધારે તેને અલગ-અલગ પ્રકારોમાં વહેંચવામાં આવે છે. 1G એથેનોલ શેરડીના રસ, મકાઈ અને બટાકા જેવા ખાદ્ય પાકમાંથી બને છે. 2G એથેનોલ ચોખાના ફોતરા, ઘઉંના ભૂસા અને વાંસ જેવા બાયોમાસમાંથી બનાવવામાં આવે છે. જ્યારે 3G બાયોફ્યુઅલ તરીકે ઓળખાતું ઇંધણ શેવાળ (Algae)માંથી બનાવવાની ટેકનોલોજી પર હાલમાં સંશોધન ચાલી રહ્યું છે.
E20 ઇંધણનો ઉપયોગ પર્યાવરણ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. સંશોધન મુજબ, આ ઇંધણ વાપરવાથી વાહનોમાંથી બહાર પડતો કાર્બન મોનોક્સાઇડનો ઉત્સર્જન લગભગ 35% સુધી ઓછો થઈ શકે છે, જ્યારે નાઇટ્રોજન ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન જેવા પ્રદૂષક તત્ત્વો પણ ઘટે છે. આ ઉપરાંત એથેનોલ ઝડપથી વાશ્પીભવન થતું હોવાથી એન્જિનને ઠંડુ રાખવામાં મદદ કરે છે, જેના કારણે કેટલાક નવા વાહનોમાં એન્જિન વધુ કાર્યક્ષમ રીતે કામ કરી શકે છે.
વિશેષજ્ઞોના મત અનુસાર, કાચા તેલની સરખામણીએ એથેનોલનું ઉત્પાદન સસ્તું હોઈ શકે છે, તેથી લાંબા ગાળે ઇંધણ ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા છે. જોકે હાલમાં સુધી ઇથેનોલ બ્લેન્ડિંગ વધ્યા છતાં પેટ્રોલના ભાવમાં સીધી રાહત જોવા મળી નથી. તેમ છતાં સરકારનું માનવું છે કે ભવિષ્યમાં આ પગલું દેશની ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવામાં અને પર્યાવરણને બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom