અમદાવાદ શહેરમાં આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આજે (23 મે) સેટેલાઈટ વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઈમારતમાં અચાનક ભીષણ આગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોધપુર પ્રેરણા તીર્થ રોડ પર આવેલા રત્નાકર-3 બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગતા ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ દૂરથી દેખાઈ રહ્યા હતા.
માહિતી મુજબ, બિલ્ડિંગની બી-વિંગમાં આવેલા એક ફ્લેટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ ઝડપથી ફેલાતી જોઈને બિલ્ડિંગના રહીશો ગભરાઈ ગયા અને પોતાની જાન બચાવવા માટે તાત્કાલિક નીચે દોડી આવ્યા. આસપાસના વિસ્તારોમાં પણ દહેશતનો માહોલ સર્જાયો હતો.
ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીથી આગ કાબૂમાં
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયો હતો. કુલ 6 ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને ફાયરફાઇટર્સે મોરચો સંભાળી લીધો હતો. ચાર ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી.
ફાયર વિભાગની સમયસૂચક કામગીરીના કારણે આગને થોડા જ સમયમાં સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આ બનાવે સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
સતત બીજા દિવસે આગની ઘટના
આ બનાવ અમદાવાદમાં સતત બીજા દિવસે નોંધાયેલી મોટી આગની ઘટના છે. ગઈકાલે (22 મે) SG Highway પર આવેલી સોલિટેર બિલ્ડિંગમાં પણ ભીષણ આગ લાગી હતી. આ આગ ત્રીજા માળથી શરૂ થઈને ચોથા અને પાંચમા માળ સુધી ફેલાઈ ગઈ હતી.
વ્યાપારી હબ તરીકે ઓળખાતી આ બિલ્ડિંગમાં આગ લાગતાં અંદર હાજર લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને તાત્કાલિક ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આગની વધતી ઘટનાઓ: ચિંતાનો વિષય
શહેરમાં સતત આગ લાગવાના બનાવો સામે આવતા હવે ફાયર સેફ્ટી અંગે સવાલો ઉઠી રહ્યા છે. રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગ્સમાં ફાયર સેફ્ટી નિયમોનું પાલન, ઇમરજન્સી એક્ઝિટ, અને ફાયર સિસ્ટમ્સની સ્થિતિ અંગે સખત ચકાસણી કરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel