ગુજરાત સરકાર હવે વીજળીનો વેડફાટ રોકવા માટે એક અભિયાન શરૂ કરવા જઈ રહી છે. અને તેની શરૂઆત તે ‘ઘર’થી કરી રહી છે. એટલે કે મુખ્યમંત્રી કાર્યાલય, રાજભવન, સચિવાલયમાં સૌથી પહેલા વીજળી બચત અભિયાન શરૂ થશે. આ માટે સંબંધિત તમામ વિભાગોને 30 નવેમ્બર સુધીમાં એનર્જી સેવિંગનો એક્શન પ્લાન રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકારનો ઉદ્દેશ્ય છે કે દર વર્ષે 20 થી 25% સુધી વીજળી બચાવવામાં આવે. જેનું બિલ સરેરાશ વાર્ષિક 150થી 200 કરોડ રૂપિયા થાય છે. એક્શન પ્લાન મળ્યા બાદ સરકાર તેની ગાઈડલાઈન તૈયાર કરશે અને જાન્યુઆરીથી તેને લાગુ કરવામાં આવશે.
રાજ્ય સરકારના ઊર્જા વિભાગે રાજભવન. મુખ્યમંત્રી કાર્યાલય, મંત્રીઓની ઓફિસો, સચિવાલયથી માંડીને નાના-મોટા તમામ સરકારી-અર્ધ સરકારી કાર્યાલયોને આદેશ આપ્યો છે કે તેઓ તેમના ભવનોમાં તાત્કાલિક ઑક્યુપન્સી સેન્સર અને ટાઈમર કંટ્રોલ લગાવે. જેથી વીજળીનો ઉપયોગ ફક્ત ત્યારે જ થાય જ્યારે કોઈ વ્યક્તિ ત્યાં હાજર હોય.
સરકારી વિભાગોમાં 50% સુધી વીજળી વેડફાટ અને ઊર્જા વિભાગમાં 35%
શું નુકસાન થઈ રહ્યું હતું?
ઊર્જા વિભાગના બે આંતરિક ઓડિટમાં સરકારી ઓફિસમાં વીજ બગાડનો ખુલાસો થયો આ ઓડિટ 2023-2024માં થયું હતું.
1. સચિવાલય, CMO, કલેક્ટરેટ અને અન્ય સરકારી વિભાગોમાં વર્ષે 50% સુધી વીજળીનો વેડફાટ. આખી રાત એસી ચાલુ રહે છે અને ખાલી રૂમમાં લાઇટો ચાલુ રહે છે.
2. વોશરૂમ. લૉબી અને મીટિંગ રૂમ ખાલી હોવા છતાં અહીં લાઇટો ચાલુ રહે છે.
૩. ઘણા વિભાગોમાં 20 થી 25 વર્ષ જૂના ઉપકરણો ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.
4. સચિવાલયના 90% હિસ્સામાં ન તો ટાઇમર છે. ન તો સેન્સર.
હવે શું ફાયદો થશે?
1. ઊર્જા વિભાગના પ્રેઝન્ટેશન મુજબ, ઑટોમેશન અને ટાઈમર સેન્સરથી માત્ર સચિવાલયમાં જ 23થી 25% સુધી વીજળીની બચત થઈ શકશે.
2. ખાલી રૂમોમાં એસી બંધ રાખવાથી દર મહિને રૂ. 20થી 25 લાખ બચશે.
૩. વોશરૂમમાં લાઇટ સેન્સર લગાવવાથી દર મહિને 7થી 8 લાખ રૂપિયા બચશે.
4. જો આ મોડેલ યોગ્ય રીતે લાગુ કરવામાં આવે, તો માત્ર સચિવાલયમાં જ નહીં, પરંતુ સરકારી ઓફિસોમાંથી વર્ષે 150થી 200 કરોડની બચત થશે.
હવે આગળની શું તૈયારી છે?
સરકાર 2026માં ગ્રીન ગવર્મેન્ટ કેમ્પસ મોડેલ સ્ટેટ બનવાનો પ્લાન લાવવાની છે. આ અંતર્ગત સરકારી કાર્યાલયોને અપગ્રેડ કરવામાં આવશે.
1. તમામ સરકારી ભવનો પર સોલર રૂફટોપ લાગશે.
2. 100% એલઈડી અને 5 સ્ટાર ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો લાગશે.
૩. સ્માર્ટ પાર્કિંગ, સ્માર્ટ લાઇટિંગ હશે.
4. AI આધારિત ઊર્જા મોનિટરિંગ.
5. દરેક કાર્યાલયને વીજળી વપરાશનો મીટરવાઇઝ ડેટા આપવો પડશે.
6. રિપોર્ટમાં જણાવવું પડશે કે લક્ષ્યની સરખામણીમાં કેટલી વીજ બચત થઈ.
7. પ્રથમ વખત ઊર્જા વિભાગ વીજળીના મામલે નોન-પરફોર્મન્સ સૂચિ બનાવશે.
8. મુખ્યમંત્રી દર મહિને સરકારી વિભાગોની ઊર્જા બચતની સમીક્ષા કરશે.
જો શરૂઆત સીએમઓ-મંત્રીઓ તરફથી નહીં થાય તો કોઈગંભીરતાથી નહીં લે
અમે સોલર પૉલિસી બનાવીએ છીએ, પરંતુ અમારી પોતાની ઑફિસોમાં સફેદ ટ્યુબલાઇટ, પીળા બલ્બ અને 1990ના પંખા ચાલે છે. જે સ્વર્ણિમ સંકુલને ગુજરાતનું ‘બ્રેન’ કહેવામાં આવે છે. ત્યાં જ સ્માર્ટ લાઇટિંગ નથી. જો સીએમઓ-વિભાગીય સ્તરે સિસ્ટમ લાગુ નહીં થાય, તો નીચેના કોઈ પણ વિભાગ આ આદેશને ગંભીરતાથી નહીં લે. ત્યારબાદ વિભાગના ટોચના સ્તર પર દબાણ આવ્યું કે જો રાજ્યને ઊર્જા બચતનું મોડેલ બનાવવું છે તો શરૂઆત સરકારી ઑફિસો-સત્તાના કેન્દ્રથી જ કરવી પડશે. – ઊર્જા વિભાગના વરિષ્ઠ IAS અધિકારી.
સરકાર શું ઈચ્છે છે?
ઑટોમેશન – તમામ સરકારી ઑફિસોમાં લાઇટ, પંખા અને એસી માટે ટાઇમર કંટ્રોલર અને ઑક્યુપન્સી સેન્સર લગાવવામાં આવે. જેનાથી કોઈ રૂમમાં કોઈ હાજર ન હોય તો લાઇટ, પંખો અને એસી આપમેળે બંધ થઈ જાય.
ઑક્યુપન્સી સેન્સર – તમામ સરકારી કાર્યાલયોના વોશરૂમ, કોરિડોર અને પાર્કિંગમાં ઑક્યુપન્સી સેન્સર લગાવવામાં આવે. અહીં લાઇટ ત્યારે જ ચાલુ થાય જ્યારે કોઈ વ્યક્તિ આવે અને જગ્યા ખાલી થતાં જ લાઈટ બંધ થઈ જાય.
5 સ્ટાર ઉપકરણો – જૂના બલ્બ, ટ્યુબલાઇટ અને વધારે ઊર્જાનો વપરાશ કરતા ઉપકરણોને દૂર કરવામાં આવે અને તેને બદલે LED અને 5 સ્ટાર રેટિંગ ધરાવતા ઉપકરણો લગાવવામાં આવે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel