આ પ્રસંગે અમૂલ ડેરીના વાઈસ ચેરમેન વિજયભાઈ પટેલ, અમૂલ ડેરીનું નિયામક મંડળ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ મંત્રી મુક્તિબેન જોશી, માજી મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ, વિરપુર સંગઠન પ્રમુખ કિરીટભાઇ પટેલ, સામાજીક આગેવાન માજી ઉપાધ્યક્ષ જેઠાભાઇ વણકર, તાલુકા સભ્ય એ.બી. ખોટ, અમૂલના માજી નિયામક મંડળના સભ્ય રાધુસિંહ પરમાર, અમૂલ ડેરીના મનેજિંગ ડિરેક્ટર, દૂધ ઉત્પાદક ભાઈઓ-બહેનો તેમજ અમૂલના કર્મચારી ગણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વમાં અંદાજે ૨૫૦ મિલિયન મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે અગ્રણી દેશોમાં સ્થાન ધરાવે છે અને વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. દૂધ ઉત્પાદનને વધુ ગતિ આપવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ અત્યંત જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે વિરપુર ખાતે અત્યાધુનિક વેટરનરી સેન્ટર, ૩૦૦ વાછરડીની ક્ષમતા ધરાવતા વાછરડી ઉછેર કેન્દ્ર, ૨૦૦ તાલીમાર્થીઓની ક્ષમતા ધરાવતું તાલીમ કેન્દ્ર, ગોબરમાંથી બાયોગેસ પ્લાન્ટ, એમ્બ્રિયો ટ્રાન્સફર સુવિધા તથા ઉચ્ચ ગુણવત્તાના પશુ સંવર્ધન (Breeding Centre) જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે.
આ તમામ સુવિધાઓથી પશુઓનું આરોગ્ય સુધરશે, દૂધ ઉત્પાદન વધશે અને દૂધ ઉત્પાદકોને સીધો લાભ મળશે. આ પ્રસંગે રાજેશભાઈ પાઠકે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ અંતર્ગત ૩૦૦ વાછરડાંની સંભાળ માટે આધુનિક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે મહીસાગર જિલ્લામાં વિરપુર અમૂલને દૂધ સપ્લાય કરતું અગ્રણી તાલુકો છે.
આ પ્રોજેક્ટ હેઠળ ૧૬ પશુચિકિત્સકો માટે રહેણાંક અને કાર્યાલયની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. અહીંથી પશુચિકિત્સકો દ્વારા દરરોજ આશરે ૨૦૦ પશુ આરોગ્ય મુલાકાતો લેવામાં આવશે, જ્યારે ચોમાસા દરમ્યાન આ સંખ્યા વધીને ૩૦૦ સુધી પહોંચે છે. આ કેન્દ્ર દ્વારા વધુ દૂધ ઉત્પાદન આપતી ગાયોના સંવર્ધન માટે એમ્બ્રિયો ટ્રાન્સફર અને બ્રિડિંગ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવશે. ભવિષ્યમાં પ્રતિદિન ૪૫ લિટર સુધી દૂધ ઉત્પાદન આપતી ગાયો તૈયાર કરવાનો હેતુ છે. કાફ રિયરિંગ પ્રોજેક્ટ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા વાછરડીનું વૈજ્ઞાનિક રીતે ઉછેર કરવામાં આવશે. ખેડૂતોને પશુ ખરીદી માટે સરળ યોજના ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં રકમની વસૂલાત સીધી દૂધના બિલમાંથી હપ્તા સ્વરૂપે કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો લાભ મહીસાગર જિલ્લાના દૂધ ઉત્પાદકોએ સહિત ૧૨ બ્લોકના દૂધ ઉત્પાદકોને પણ મળશે.
બાલાસિનોર ખાતે પણ આ પ્રકારનું કેન્દ્ર કાર્યરત કરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં ત્યાં પણ ભૂમિપૂજન તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. પ્રોજેક્ટ અંતર્ગત દર વર્ષે આશરે ૭૦૦ ટન પશુચારો સ્થાનિક ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે, જેના કારણે ખેડૂતોને વધારાની આવક અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે. આ પ્રકારના સંકુલ આણંદ-ખેડા જિલ્લાના દરેક તાલુકામાં કાર્યરત કરવામાં આવશે.
આ પ્રસંગને અનુલક્ષીને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણએ તથા ગુજરાત પ્રદેશ મંત્રી મુક્તિબેન જોશી દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહે જણાવ્યું હતું કે વિરપુર અને બાલાસિનોર ખાતે આવા આધુનિક પશુપાલન વિકાસ કેન્દ્રો શરૂ કરીને સમગ્ર વિસ્તારમાં પશુપાલન ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવામાં આવશે. અમૂલ દ્વારા ખેડૂતોને માત્ર રૂ. ૨૫માં સેક્સ સીમન ડોઝ, નિયમિત રસીકરણ, આધુનિક પશુપાલન તાલીમ અને નવી ટેક્નોલોજીનો લાભ આપવામાં આવશે. વધુ દૂધ ઉત્પાદન કરનારા પશુપાલકોને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવશે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે આ જમીનના સાચા માલિક અમૂલના તમામ દૂધ ઉત્પાદકો છે. આ સમગ્ર પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પશુઓને વધુ સ્વસ્થ બનાવવાનો, દૂધ ઉત્પાદન વધારવાનો અને ખેડૂતોની આવકમાં સતત વધારો કરવાનો છે. આધુનિક વેટરનરી સેન્ટર દ્વારા પશુઓના રોગ નિદાન, સારવાર, નિયમિત રસીકરણ, કૃત્રિમ ગર્ભાધાન, માત્ર રૂ. ૨૫માં સેક્સ સીમન ડોઝ, પશુપાલન માર્ગદર્શન અને નવી ટેક્નોલોજીની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પશુઓને વધુ તંદુરસ્ત બનાવી દૂધ ઉત્પાદનમાં વધારો કરવો એ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. અમૂલ ડેરી હંમેશા ખેડૂતો અને પશુપાલકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી છે.