ભોજપુરી ગાયિકા નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ લખનૌ પોલીસે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલા પછી નેહાએ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી હતી, જેને સુરક્ષા એજન્સીઓએ રાષ્ટ્રીય અખંડિતતા, સામુદાયિક સદ્ભાવ અને દેશની સુરક્ષા માટે જોખમી ગણાવી હતી. આ પોસ્ટ વાયરલ થતા જ 27 એપ્રિલ 2025ના રોજ લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં અભય પ્રતિાપ સિંહની ફરિયાદને આધારે તેના વિરુદ્ધ FIR નોંધાઈ હતી.
આ FIRમાં આઈપીસીની ગંભીર કલમો ઉમેરવામાં આવી હતી—જેમાં સામુદાયિક દુશ્મની ફેલાવવી, રાષ્ટ્રની સર્વભૌમતા અને અખંડિતતાને જોખમમાં મૂકે તેવી માહિતી પ્રસારિત કરવી, તેમજ ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવાનો આરોપ સામેલ છે. નેહાએ આ FIR રદ્દ કરવા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટની બેન્ચ (ન્યાયાધીશ J.K. મહેશ્વરી અને વિજય બિશ્નોઈ)એ તેની અરજી ફગાવીને ટ્રાયલનો સામનો કરવાનો આદેશ આપ્યો હતો.
પોલીસે નેહાને નોટિસ મોકલી નિવેદન આપવા બોલાવ્યું, પણ તેણે બીમારીનું કારણ બતાવી હાજર થવાનું ટાળ્યું. ત્યારબાદ તેણે અલ્હાબાદ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી, જે હાઈકોર્ટે પણ ફગાવી દીધી, કારણ કે નેહા પોલીસ સમક્ષ હાજર ન હતી અને તપાસમાં સહકાર આપતી ન હતી. હાઇકોર્ટના નિર્ણય બાદ નેહાને કોઇ સુરક્ષા (protection from arrest) મળી નથી.
આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લખનૌ પોલીસે હવે વિશેષ ધરપકડ ટીમનું ગઠન કર્યું છે. આ ટીમ નેહાના સંભવિત ઠેકાણાઓ, મિત્રો અને સગાઓના ઘર સુધી પહોંચી રહી છે. પોલીસની તપાસમાં આ પણ સામે આવ્યું છે કે નેહા સતત પોતાનું લોકેશન બદલી રહી છે, જેથી પોલીસે તેની ડિજિટલ ટ્રેકિંગ વધુ કડક બનાવી છે.
પોલીસનું કહેવું છે કે આવા નિવેદન અને પોસ્ટ આતંકી સંગઠનો દ્વારા દુરુપયોગ થઈ શકે છે, જે દેશની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય છબી માટે જોખમરૂપ બની શકે છે. આ કારણે જ સમગ્ર મામલાને સંવેદનશીલ ગણાવી પોલીસ ઝડપી કાર્યવાહી કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel