અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગઈકાલે રાત્રે જૂની અદાવતને કારણે ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ગંભીર હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પોલીસનો કાફલો ઘટના સ્થળે, તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તરત જ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા હાલ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે.
DCPનું નિવેદન
DCP ઝોન 7 શિવમ વર્માએ જણાવ્યું કે, રાત્રે લગભગ 9:30થી 10:00 દરમિયાન સરખેજ ગામના ઠાકોરવાસ વિસ્તારમાં આ ઘટના બની હતી. ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે થયેલી મારામારીમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું છે. ઈજાગ્રસ્તોમાં નરેશ ઠાકોર અને જયેશ ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસની વિવિધ ટીમો હાલમાં ફિલ્ડમાં કાર્યરત છે અને આરોપીઓને ઝડપવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
હુમલો પૂર્વનિયોજિત હોવાનો આરોપ
મૃતકના પરિવારજનોએ આ હુમલો પૂર્વનિયોજિત હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મૃતકના ભાભી મુજબ, આરોપીઓ શરૂઆતમાં એક્ટિવા પર આવીને વાતચીત કરવા આવ્યા હોવાનો ઢોંગ કર્યો હતો. પરંતુ પછી અચાનક ગાળાગાળી શરૂ કરીને હુમલો કરી દીધો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, હુમલાખોરોએ અન્ય લોકોને પણ બોલાવીને સંગઠિત રીતે હુમલો કર્યો અને બાદમાં ફરાર થઈ ગયા.
પરિવારનો આક્રોશ અને ન્યાયની માંગ
મૃતકના પરિવારજનોએ પોલીસની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેઓએ આરોપીઓને કડક સજા, ખાસ કરીને ફાંસીની સજા કરવાની માંગ કરી છે. સાથે જ, આરોપીઓને ગામમાંથી બહાર કાઢવા અથવા તેમના મકાનો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે. પરિવારજનોએ ચેતવણી આપી છે કે જો પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરે, તો તેઓ પોતે પગલાં લેવા મજબૂર બનશે.
ઘટના બાદ સરખેજ વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ છે. પોલીસ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel