પંજાબના ફિરોઝપુરમાં 15 ઑગસ્ટે મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં યોજાયેલા સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમની એક ઝાંખીને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. કાર્યક્રમમાં પાંચ વૃદ્ધોને ઘૂંટણ બદલવાની સર્જરી (Knee Replacement)નો લાભ મેળવનારા લોકો તરીકે રજૂ કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે. આ લોકોનો ભાંગડા કરતો વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષે સમગ્ર રજૂઆતની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવ્યા છે.
વિવાદ વધુ ઘેરો ત્યારે બન્યો જ્યારે આ પાંચ પૈકીના એક તરીકે ઓળખાવવામાં આવેલા સુરેન્દ્ર કુમારે સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં દાવો કર્યો કે તેની ઘૂંટણની કોઈ સર્જરી થઈ જ નથી. તેમના જણાવ્યા પ્રમાણે તેઓ સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકળાયેલા છે અને વિભાગની સૂચના અનુસાર સ્વાતંત્ર્ય દિવસ માટે તૈયાર કરવામાં આવેલી ઝાંખીમાં સામેલ થયા હતા.
‘મારી કોઈ Knee Replacement Surgery થઈ નથી’
સુરેન્દ્ર કુમારના દાવા પ્રમાણે, 15 ઑગસ્ટના કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય વિભાગની ઝાંખી તૈયાર કરવામાં આવી હતી અને તેમાં પાંચ વ્યક્તિઓને ભાગ લેવા માટે કહેવામાં આવ્યું હતું.
તેમના આ નિવેદન બાદ સવાલ ઊભો થયો છે કે જો ઝાંખીમાં ભાગ લેનારા લોકો વિભાગના કર્મચારીઓ હતા અને તેમની રજૂઆત માત્ર પ્રતીકાત્મક હતી, તો તેમને વાસ્તવિક Knee Replacement લાભાર્થી તરીકે કેમ દર્શાવવામાં આવ્યા?
Firozpur, Punjab: On a dance performance at an Independence Day function in Punjab, a retired employee who performed the Bhangra dance, Suresh Kumar says, "… I have not had any knee surgery, and we were instructed by the Health Department to organize a Health Department tableau… pic.twitter.com/6Nv5L88MNQ
— IANS (@ians_india) August 17, 2026
ભાજપે AAP સરકારને ઘેરી
પંજાબ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ફતેહ જંગ બાજવાએ આ મામલે ભગવંત માન સરકાર પર આકરા પ્રહાર કરતાં ‘મિસઇન્ફોર્મેશન’ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
બાજવાનો આરોપ છે કે દેશ જ્યારે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે સરકારી મંચ પરથી પાંચ લોકોને ઘૂંટણ બદલવાની સર્જરીના લાભાર્થી તરીકે રજૂ કરવામાં આવ્યા, જ્યારે તેઓ વાસ્તવમાં સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ હતા.
વિપક્ષ હવે સવાલ કરી રહ્યો છે કે સરકારી આરોગ્ય યોજનાની સફળતા દર્શાવવા માટે વાસ્તવિક લાભાર્થીઓને બદલે કર્મચારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ.
Chandigarh: On the Independence Day dance controversy, BJP State Vice President Fateh Jang Bajwa says, "On August 15, when the country celebrated its Independence Day, the country continued to progress, but the Aam Aadmi Party did not stop spreading misinformation. The five… pic.twitter.com/eIG9f0fJag
— IANS (@ians_india) August 18, 2026
ભાંગડાનો વીડિયો બન્યો રાજકીય વિવાદનું કેન્દ્ર
કાર્યક્રમમાં પાંચ વૃદ્ધો ભાંગડા કરતા જોવા મળ્યા હતા. શરૂઆતમાં આ રજૂઆતને ઘૂંટણની સારવાર બાદ લાભાર્થીઓના સ્વસ્થ જીવનના ઉદાહરણ તરીકે જોવામાં આવી હતી. પરંતુ લાભાર્થી તરીકે રજૂ થયેલા વ્યક્તિએ જ પોતાની સર્જરી ન થઈ હોવાનો દાવો કરતાં સમગ્ર મામલે નવી ચર્ચા શરૂ થઈ છે.
વિપક્ષનું કહેવું છે કે મુદ્દો કોઈ વ્યક્તિ નૃત્ય કરી શકે છે કે નહીં તેનો નથી, પરંતુ સરકારી કાર્યક્રમમાં કરવામાં આવેલી રજૂઆત હકીકત આધારિત હતી કે નહીં તેનો છે.
AAPએ કર્યો રજૂઆતનો બચાવ
બીજી તરફ, AAP તરફથી આ મામલે બચાવ કરવામાં આવ્યો છે. પાર્ટીના નેતાઓના જણાવ્યા પ્રમાણે કાર્યક્રમમાં કરવામાં આવેલી રજૂઆતનો હેતુ સરકારની આરોગ્ય યોજનાઓના લાભ અને સારવાર બાદ લોકોના જીવનમાં આવતા સકારાત્મક પરિવર્તનને દર્શાવવાનો હતો.
જોકે, સુરેન્દ્ર કુમારના નિવેદન બાદ વિપક્ષ સરકાર પાસેથી સ્પષ્ટ જવાબની માંગ કરી રહ્યો છે કે ઝાંખીમાં સામેલ પાંચેય વ્યક્તિઓ વાસ્તવિક દર્દીઓ હતા કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ.
ભગવંત માન સરકાર સામે ત્રણ મોટા સવાલ
સમગ્ર વિવાદમાં હવે મુખ્ય સવાલ એ છે કે કાર્યક્રમ માટે આ પાંચ વ્યક્તિઓની પસંદગી કોણે કરી હતી, તેમને કઈ રીતે ‘લાભાર્થી’ તરીકે રજૂ કરવામાં આવ્યા અને રજૂઆત પહેલાં તેમના તબીબી રેકોર્ડની કોઈ ચકાસણી કરવામાં આવી હતી કે નહીં.
જો સુરેન્દ્ર કુમારનો દાવો સાચો હોય તો સરકારી કાર્યક્રમમાં આરોગ્ય યોજનાની સિદ્ધિ દર્શાવવાની પ્રક્રિયા અને તેની દેખરેખ અંગે પણ સવાલ ઊભા થાય છે.
આ મામલે વિપક્ષે AAP સરકારને ઘેરી છે, જ્યારે સત્તાધારી પક્ષ રજૂઆતને આરોગ્ય યોજનાના સકારાત્મક સંદેશ સાથે જોડીને જોઈ રહ્યો છે. હવે પંજાબ સરકાર અથવા સ્વાસ્થ્ય વિભાગ તરફથી પાંચેય વ્યક્તિઓની સ્થિતિ અંગે સ્પષ્ટ અને દસ્તાવેજી જવાબ આવે છે કે નહીં તેના પર નજર રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel