શ્રીલંકામાં ભયાનક તબાહી સર્જ્યા બાદ હવે દિતવાહ વાવાઝોડું પ્રચંડ ગતિએ ભારત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ આ વાવાઝોડું 30 નવેમ્બરે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અડફેટે લેવાની શક્યતા છે. શ્રીલંકામાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ, વાવાઝોડું અને ભૂસ્ખલનના કારણે 123 લોકોના મોત થયા છે, જ્યારે 43 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવા પડ્યા છે. ભારતે તરત જ મદદનો હાથ લંબાવ્યો છે અને ભારતીય નૌસેના તથા વાયુસેના દ્વારા ઓપરેશન ‘સાગરબંધુ’ હેઠળ 80 NDRF જવાનો, 21 ટન રાહત સામગ્રી અને 8 ટન રેસ્ક્યૂ સાધનો શ્રીલંકા મોકલાયા છે.
તમિલનાડુ સરકારે વાવાઝોડાની ગંભીરતા ધ્યાનમાં રાખીને રાજ્યમાં હાઈ અલર્ટ જાહેર કર્યું છે. SDRF અને NDRFની ટીમો દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત છે, સાથે લોકોને રાખવા માટે શેલ્ટરો તૈયાર કરાયા છે. બપોરની સ્થિતિ પ્રમાણે વાવાઝોડું કરાઈકલથી 170 કિમી, પોંડિચેરીથી 280 કિમી અને ચેન્નઈથી 380 કિમી દૂર હતું અને આજે મોડી રાતથી આવતીકાલે વહેલી સવાર વચ્ચે તે જમીન પર ટકરાઈ શકે છે. આગાહી મુજબ આજે અને આવતીકાલે તમિલનાડુ, પોંડિચેરી અને આંધ્ર પ્રદેશમાં ભારે થી અતિભારે વરસાદ પડશે.
તમિલનાડુના મુખ્યમંત્રીએ પરિસ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી છે અને સંવેદનશીલ વિસ્તારોની દેખરેખ માટે મંત્રીઓને જવાબદારી સોંપી છે. બીજી તરફ પૂણે અને વડોદરામાંથી 10 NDRF ટીમો ચેન્નઈ મોકલાઈ છે. રેલવે વિભાગે સુરક્ષા પગલાં તરીકે રામેશ્વરમ–ચેન્નઈ રૂટની 11 ટ્રેનો ડાયવર્ટ કરી છે, જ્યારે રામેશ્વરમ–ઓખા ટ્રેન શુક્રવારે રદ કરવામાં આવી હતી. શ્રીલંકામાં ફસાયેલા ભારતીયોને મદદ પૂરી પાડવા માટે કોલંબો એરપોર્ટ પર હેલ્પડેસ્ક ખોલાઈ છે અને હેલ્પલાઈન નંબર +94 773727832 જાહેર કરવામાં આવ્યો છે.
દિતવાહ વાવાઝોડું કારણે દક્ષિણ ભારતીય રાજ્યોમાં આગામી 24 કલાક અત્યંત ગંભીર રહેવાના છે, અને તમામ એજન્સીઓ તાત્કાલિક પ્રતિસાદ માટે સંપૂર્ણ રીતે તૈનાત છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel