પાટણ શહેરમાં અશાંત ધારા લાગુ કરવાની માંગ સાથે શહેરના કુલ ૨ વોર્ડના ૨૦૦થી વધુ પરિવારો દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશોનું કહેવું છે કે પાટણ ઐતિહાસિક, ધાર્મિક અને હેરિટેજ નગરી તરીકે ઓળખાય છે, તેથી શહેરની સાંસ્કૃતિક ઓળખ અને સામાજિક સમતુલા જળવાઈ રહે તે માટે અશાંત ધારો જરૂરી બન્યો છે.
આવેદનમાં જણાવાયું છે કે પાટણના લોટેશ્વર વિસ્તારના કેદારેશ્વર મહોલામાં આવેલ પ્રાચીન કેદારેશ્વર મંદિર, મર્યાદામાં આવેલ રાજા સુગ્રીવ મંદિર, પવિત્ર બહુચર માતાજી મંદિર, કસુંબીયા વડામાં આવેલ જૈન સમાજનું પ્રાચીન દેરાસર, ઝીણી પોળમાં આવેલ રામજી મંદિર તેમજ ચાચરીયા વડામાં આવેલ સિંધી સમાજનું એકમાત્ર શ્રી ઝૂલેલાલ સાહેબ મંદિર સહિત અનેક ઐતિહાસિક અને ધાર્મિક સ્થાનો આવેલા છે.
સ્થાનિકોએ રજૂઆતમાં જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં મટનની દુકાનો શરૂ થવાને કારણે ઘણા પરિવારો પોતાના મકાનો વેચી રહ્યા છે. જેના પરિણામે વિસ્તારની સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ બદલાઈ રહી હોવાનું લોકોનું માનવું છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર દબાણ ઊભું થતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
રહીશોના જણાવ્યા અનુસાર પાટણમાં ૧૦૦થી વધુ જૈન દેરાસરો અને ૧૫૦ થી વધારે વૈષ્ણવ મંદિરો આવેલા છે, જેના કારણે પાટણને ધાર્મિક નગરી તરીકે પણ ઓળખ મળે છે. આવી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરને જાળવી રાખવા માટે રાધનપુરની જેમ પાટણમાં પણ અશાંત ધારો લાગુ કરવો જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
આવેદનમાં વધુમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી કે સ્થાનિક સ્તરે સાંસ્કૃતિક અસંતુલન અને ભિન્નતા વધતા ભવિષ્યમાં કોમી સૌહાર્દ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર અસર પડી શકે છે. હાલની પરિસ્થિતિને કારણે અનેક જૂના સ્થાનિક પરિવારો સ્થળાંતર કરવા મજબૂર બની રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
અંતમાં રહીશોએ ગુજરાત સરકારને માંગ કરી છે કે પાટણ શહેરની શાંતિ, સાંસ્કૃતિક ઓળખ અને હેરિટેજ સ્વરૂપને જાળવવા માટે વહેલી તકે અશાંત ધારો અમલમાં મૂકવામાં આવે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel