NEP-૨૦૨૦ વિદ્યાર્થીઓ-કેન્દ્રિત અભિગમને પ્રોત્સાહન આપે છે, કારણ કે તેઓ આપણું રાષ્ટ્રીય બળ છે, દરેક યુનિવર્સિટીએ વિકસિત ભારતના વિઝનને સિદ્ધ કરવાના હેતુથી રણનીતિ તૈયાર કરવી જોઈએ: મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટસિટી-૨ ખાતે યોજાયેલી બે દિવસીય વાઈસ ચાન્સેલર્સ કોન્ફરન્સનું ઉદઘાટન કરતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
સંમેલનના પ્રથમ દિવસે NEPના અમલને ઝડપી બનાવવા માટેના મૂળભૂત સુધારાઓ પર ચર્ચા થઈ.
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રિય યુનિવર્સિટીઓના કુલપતિઓની બે દિવસીય કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો હતો. જેમાં દેશભરની ૫૦થી વધુ યુનિવર્સિટીઓના કુલપતિઓએ ભાગ લીધો છે. NEP-૨૦૨૦ની અમલવારીની સમીક્ષા, મૂલ્યાંકન અને આયોજન થકી ‘વિકસિત ભારત-૨૦૪૭’ના સંકલ્પને પરિપૂર્ણ કરવાનો આ કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો રહ્યો છે. ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું કે, છેલ્લા દાયકામાં ભારતનું ઉચ્ચ શિક્ષણ પરિપ્રેક્ષ્ય મૂળભૂત રીતે બદલાયું છે. આજે તેમાં વધુ સરળતા, આંતરવિષયક અભિગમ, સમાવેશી શિક્ષણ સાથે નવીનતા પણ છે. દેશભરમાં વર્ષ ૨૦૧૪–૧૫ પછી વિદ્યાર્થીઓના નામાંકનમાં ૩૦ ટકા નો વધારો થયો છે. જેમાં દીકરીઓના નામાંકનમાં ૩૮ ટકાનો વધારો થયો છે. જેમાં મહિલા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) હવે પુરૂષોના GER કરતાં વધુ છે. અનુસૂચિત જનજાતિઓના GERમાં ૧૦ ટકા અને SCમાં ૮ ટકા જેટલો વધારો થયો છે. દેશભરમાં હાલ ૧૨૦૦ થી વધુ યુનિવર્સિટીઓ અને ૪૬,૦૦૦થી વધુ કોલેજો કાર્યરત છે.
મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEP-૨૦૨૦ના પંચ સંકલ્પો ૧. નવું ઊભરતું શિક્ષણ, ૨. બહુવિષયક શિક્ષણ, ૩. નવીન શિક્ષણ, ૪. સર્વાંગી શિક્ષણ અને ૫. ભારતીય શિક્ષણ વિશે વિસ્તાર પૂર્વક વાત કરી કુલપતિશ્રીઓને કહ્યું કે “વિદ્યાર્થી પ્રથમ”નો અભિગમ અપનાવો, વિદ્યાર્થીઓના કલ્યાણને કેન્દ્રસ્થાને રાખી ભવિષ્ય માટે તેમના માટે રોજગાર સર્જન, સામાજિક ઉત્થાન અને નૈતિક જવાબદારી માટે તૈયાર કરીએ. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેક્નોલોજી, ભારતીય જ્ઞાન સિસ્ટમ (IKS) અને ભાષા આધારિત અભ્યાસક્રમોને NEP-૨૦૨૦ના ધારા-ધોરણો મુજબ નવા અભ્યાસક્રમોમાં સમાવિષ્ટ કરવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો.
વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, દરેક યુનિવર્સિટીએ NEP-૨૦૨૦ની સંપૂર્ણ અમલવારી માટે રણનીતિ તૈયાર કરી તેમાં વિષયોની બહુવિષયક સમન્વયતા, ભારતીય જ્ઞાન પરંપરાનું મુખ્ય પ્રવાહમાં સ્થાન, ટેક્નોલોજી આધારિત શિક્ષણ દ્વારા કુશળતા વિકાસ, ટ્રેડિશનલ મૂલ્યો સાથે ટેક્નોલોજીનું સંકલન અને નવીન અભિગમો સાથે કૅમ્પસ પહેલ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય તે સુનિશ્ચિત કરવું.
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર ડૉ. હસમુખ અઢિયાએ “કર્મયોગના છ સિદ્ધાંતો” અંગે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું કે, ભારતીય જ્ઞાન પરંપરા વ્યક્તિગત, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
કેન્દ્રીય શિક્ષણ વિભાગના સચિવ ડૉ. વિનીત જોશીએ જણાવ્યું કે, NEP-૨૦૨૦નો પાંચ વર્ષનો સમય પૂર્ણ થવાના ઉપક્રમે આ સંમેલન આપણને ભવિષ્યમાં સુધારાઓ કરવાની તક પુરી પાડે છે. NEP હવે માત્ર ડિગ્રી આપતી સંસ્થાઓ નહીં પરંતુ નવીનતા, સંશોધન અને સર્વાંગી વિકાસના ઇકોસિસ્ટમ તરીકે સંસ્થાઓના પુનરાવલોકનનો એક સફળ પ્રયાસ બની છે.
કેન્દ્રીય શિક્ષણ વિભાગના અધિક સચિવ ડૉ. સુનીલ બરનવાલે NEPના પાંચ પાયાના સ્તંભો – પ્રવેશ, સમાનતા, ગુણવત્તા, સસ્તું શિક્ષણ અને જવાબદારી વિશે વિગતવાર સમજૂતી આપી હતી.
કુલપતિ ડૉ. રમાશંકર દુબેએ જણાવ્યું કે, તમામ કેન્દ્રિય યુનિવર્સિટીઓ વિકસિત ભારત-2047ના સંકલ્પને સિદ્ધ કરવાના ધ્યેય સાથે નવી શિક્ષણ નીતીના અમલીકરણના કાર્યને આગળ ધપાવશે.
આ બે દિવસીય કોન્ફરન્સના ત્રણ મુખ્ય ઉદ્દેશોમાં ૧. માર્ગદર્શન સુમેળ – NEPના આગામી લક્ષ્યો સાથે સંસ્થાઓનો સુમેળ, ૨. જ્ઞાનવિમર્શ અને સહઅધ્યયન – વાઈસ ચાન્સેલર્સ વચ્ચે સંવાદ અને સંસાધન વહેંચણી અને ૩. ભવિષ્યની યોજના – નીતિ પરિવર્તન અને વૈશ્વિક શૈક્ષણિક પરિદ્રશ્ય માટેની તૈયારીઓનો સમાવેશ થાય છે.
આ બે દિવસ દરમિયાન વિષયવાર ચર્ચાઓમાં આવશ્યક મુદ્દાઓમાં ૧. NEP મુજબ FYUP, NHEQF/NCrF, ૨. ભવિષ્યના રોજગારી માટે અભ્યાસક્રમોનું સંકલન, ૩. ડિજિટલ શિક્ષણ (SWAYAM, AAPAR વગેરે), ૪. યુનિવર્સિટી ગવર્નન્સ (SAMARTH), ૫. સમાનતા અને સમાવેશી શિક્ષણ, ૬. ભારતીય ભાષાઓ અને જ્ઞાન સિસ્ટમ, ૭. સંશોધન અને નવીનતા (ANRF, PMRF), ૮. રેંકિંગ અને માન્યતા, ૯. આંતરરાષ્ટ્રીયકરણ (Study in India), ૧૦. શિક્ષક વિકાસ (માલવિયા મિશન)નો ચર્ચાના વિષય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોન્ફરન્સ NEP-૨૦૨૦ના આગામી તબક્કાની અમલવારી માટે માર્ગદર્શક બની રહેશે.
આ સેમિનારમાં ભાગ લેતી સંસ્થાઓમાં દિલ્હી યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ હરિયાણા, આસામ યુનિવર્સિટી, હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ રાજસ્થાન, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ કાશ્મીર, વિશ્વભારતી, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય આદિવાસી યુનિવર્સિટી (IGNTU), રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી, સિક્કિમ યુનિવર્સિટી, ત્રિપુરા યુનિવર્સિટી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU), યુનિવર્સિટી ઓફ અલ્હાબાદ અને ઘણી અન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે.