ભારતની સમુદ્રી ઇતિહાસકથા ઘણીવાર સંસ્થાનવાદી કાળથી શરૂ કરવામાં આવે છે, જાણે સમુદ્રમાં સઢ તાણી નૌકાયન કરવાની કળા ભારતે બહારથી શીખી હોય, પરંતુ વાસ્તવિક ઐતિહાસિક સત્ય એથી બિલકુલ વિપરીત છે. ભારતના દરિયાકાંઠા, પ્રાચીન બંદરો, વેપારી નૌકાયન અને શિપબિલ્ડિંગ કારીગરી સદીઓ સુધી હિંદ મહાસાગરના વ્યાપાર અને સાંસ્કૃતિક સંપર્કનું કેન્દ્ર રહ્યા છે. આ જ વિસરાઈ ગયેલી પરંતુ અત્યંત સમૃદ્ધ પરંપરાને ફરી જીવંત કરવાનો પ્રયાસ છે ભારતીય નૌસેનાનું પ્રાચીન શૈલીનું જહાજ INSV કૌન્ડિન્ય, જે ધાતુના ખીલા કે સ્ક્રૂ વગર, સંપૂર્ણપણે દોરડાઓથી ‘સીવીને’ બનાવવામાં આવ્યું છે અને હવે ગુજરાતના પોરબંદરથી ઓમાનના મસ્કત સુધી પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય સમુદ્રી યાત્રા પર નીકળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઐતિહાસિક યાત્રા અંગે આનંદ વ્યક્ત કરતાં કહ્યું છે કે પ્રાચીન ભારતીય સ્ટિચ્ડ-શિપ ટેક્નોલોજીથી નિર્મિત આ જહાજ ભારતના સમૃદ્ધ સમુદ્રી વારસાને ફરી જીવંત કરે છે.
INSV એટલે Indian Naval Sailing Vessel – ભારતીય નૌસેનાનું સઢવાળું જહાજ. INSV કૌન્ડિન્ય કોઈ મ્યુઝિયમ મોડલ નથી, પરંતુ સંપૂર્ણ રીતે કાર્યશીલ અને સમુદ્ર યાત્રા માટે યોગ્ય પરંપરાગત જહાજ છે, જેને પ્રાચીન સ્ટિચ્ડ-શિપબિલ્ડિંગ પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે. આ તકનીકમાં લાકડાના તખ્તાઓને ધાતુના ફાસ્ટનરથી જોડવાને બદલે નારિયેળના રેસા જેવી પ્રાકૃતિક દોરડાઓથી સિલાઈ જેવી રીતે બાંધવામાં આવે છે અને પછી પ્રાકૃતિક રેઝિનથી તેને સમુદ્રી પાણી સામે સુરક્ષિત બનાવવામાં આવે છે. ઇતિહાસકારો માને છે કે ધાતુ કાટ ખાતી હોવાથી પ્રાચીન નૌકાઓમાં આવી પદ્ધતિ અપનાવવામાં આવતી હતી. આજના યુગમાં સ્ટીલ, એન્જિન અને વેલ્ડિંગના સમયમાં ભારતીય નૌસેના દ્વારા એન્જિન-રહિત, દોરડાથી સિવાયેલું જહાજ સમુદ્રમાં ઉતારવું માત્ર પ્રતીકાત્મક નથી, પરંતુ પ્રાચીન ભારતીય ટેક્નોલોજીની વૈજ્ઞાનિક સત્યતા અને સમુદ્રી યોગ્યતાનું સાક્ષ્ય પણ છે.
Wonderful to see that INSV Kaundinya is embarking on her maiden voyage from Porbandar to Muscat, Oman. Built using the ancient Indian stitched-ship technique, this ship highlights India's rich maritime traditions. I congratulate the designers, artisans, shipbuilders and the… pic.twitter.com/bVfOF4WCVm
— Narendra Modi (@narendramodi) December 29, 2025
INSV કૌન્ડિન્યની ડિઝાઇન અજંતાની ગુફાઓમાં 5મી સદીના ભીંતચિત્રોમાં દર્શાવાયેલા જહાજથી પ્રેરિત છે. એટલે હજારો વર્ષ જૂની ભારતીય કલા આજે લાકડું, દોરડું અને સઢના સ્વરૂપે ફરી જીવંત બની છે. જોકે પડકાર માત્ર એ જહાજ જેવું દેખાવું બનાવવાનો નહોતો, પરંતુ તેને આજના સમુદ્રી માહોલમાં ચલાવી શકાય તેવું બનાવવાનો હતો. આ માટે હલ-ડિઝાઇન, રિગિંગ, સઢની સ્થિતિ અને સ્થિરતા આધુનિક નેવલ આર્કિટેક્ચરના ધોરણે ફરી ડિઝાઇન કરવામાં આવી. આ પ્રોજેક્ટ જુલાઈ 2023માં સંસ્કૃતિ મંત્રાલય, ભારતીય નૌસેના અને Hodi Innovations વચ્ચે થયેલા ત્રિપક્ષીય કરાર બાદ શરૂ થયો હતો. IIT મદ્રાસ સહિતના નિષ્ણાતોના સહયોગથી હાઇડ્રોડાયનેમિક ટેસ્ટિંગ અને ટેક્નિકલ વેરિફિકેશન કરવામાં આવ્યું, જેથી પ્રાચીન શૈલીને આધુનિક વિજ્ઞાનનો આધાર મળી શકે.
INSV કૌન્ડિન્ય લગભગ 19.6 મીટર લાંબું, 6.5 મીટર પહોળું અને 3.33 મીટર ડ્રાફ્ટ ધરાવતું જહાજ છે, જેમાં 15થી 18 સભ્યોનો ક્રૂ કામ કરે છે. તેનું નામ પ્રાચીન ભારતીય સમુદ્રી યાત્રી કૌન્ડિન્ય પરથી રાખવામાં આવ્યું છે, જેમણે દક્ષિણ-પૂર્વ એશિયા સુધી સમુદ્રી યાત્રા કરીને ફુનાન રાજ્યની સ્થાપનામાં ભૂમિકા ભજવી હતી. આ નામ ભારતની પ્રાચીન સમુદ્રી પહોંચ અને સાંસ્કૃતિક પ્રભાવનું પ્રતીક છે. જહાજ પર ગંડભેરુંડ, સૂર્ય ચિહ્ન, સિંહ-યાલી અને હડપ્પા યુગના સ્ટોન એંકર જેવા પ્રતીકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તેને ચાલતી-ફરતી સાંસ્કૃતિક ધરોહર બનાવે છે.
જહાજ પરનું જીવન અત્યંત સાદું અને પડકારજનક છે—કોઈ વૈભવ નથી, કેબિન નથી, ખુલ્લા ડેક પર સૂવું પડે છે, મર્યાદિત પાણી અને ભોજન સાથે જીવવું પડે છે. આ જ આ પ્રોજેક્ટનો મૂળ સંદેશ છે કે પ્રાચીન સમયમાં માનવી કેવી રીતે કુદરત અને સમુદ્ર સાથે સંઘર્ષ કરીને યાત્રા કરતો હતો. પોરબંદરથી મસ્કત સુધીની લગભગ 1,400 કિમીની યાત્રા માત્ર એક નૌકાયન અભિયાન નથી, પરંતુ ભારત અને ઓમાન વચ્ચે સદીઓ જૂના સમુદ્રી વેપાર માર્ગોની યાદ, સાંસ્કૃતિક સંબંધો અને સોફ્ટ પાવર ડિપ્લોમેસીનું જીવંત પ્રદર્શન છે. અજંતાની દીવાલો પર ચિતરાયેલું જહાજ આજે હિંદ મહાસાગરની લહેરો પર તરતું જોવા મળે છે—અને એ સાથે ભારતનો પ્રાચીન સમુદ્રી વારસો ફરી એકવાર વૈશ્વિક ક્ષિતિજ પર પ્રકાશિત થઈ રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel