ગુજરાત સરકારે રાજ્યના અનુસૂચિત જનજાતિ સમુદાયના ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે મહત્ત્વપૂર્ણ આરોગ્યલક્ષી યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ કિડની, લીવર, હૃદય અને પૅન્ક્રિયાઝ સહિતનાં અંગોના પ્રત્યારોપણ તેમજ રોબોટિક સર્જરી માટે મા-આયુષ્માન અથવા PMJAY કાર્ડની મર્યાદા ઉપરાંત મહત્તમ રૂ. 3 લાખ સુધીની વધારાની નાણાકીય સહાય આપવામાં આવશે.
નાણાકીય રીતે નબળા આદિવાસી પરિવારોના દર્દીઓ મોંઘી અને આધુનિક સારવારથી વંચિત ન રહે તે હેતુથી રાજ્ય સરકારે વર્ષ 2026-27થી આ નવી યોજના અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. યોજનાના પ્રથમ વર્ષ માટે રૂ. 2 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય મંત્રી પી. સી. બરંડાના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગે યોજનાને વહીવટી મંજૂરી આપી છે.
કઈ સારવાર માટે સહાય મળશે?
યોજનાનું સત્તાવાર નામ ‘રાજ્યના અનુસૂચિત જનજાતિ સમુદાયના દર્દીઓને કિડની, લીવર, હૃદય અને પૅન્ક્રિયાઝ વગેરેના અંગ પ્રત્યારોપણ તેમજ રોબોટિક શસ્ત્રક્રિયા સહિતના ઑપરેશન માટે સહાય આપવાની યોજના’ રાખવામાં આવ્યું છે.
આ યોજના હેઠળ જટિલ અંગ પ્રત્યારોપણ અને ગંભીર રોગોની અત્યાધુનિક રોબોટિક સર્જરી માટે નાણાકીય સહાય આપવામાં આવશે.
IKDRC રહેશે નોડલ એજન્સી
યોજનાના અમલીકરણ માટે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝિસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
દર્દીએ યોજના હેઠળ લાભ મેળવવા માટે ફરજિયાત રીતે IKDRCનો સંપર્ક કરવો પડશે. ખાનગી હૉસ્પિટલમાં સારવાર લેવાની હોય તો પણ IKDRCની પૂર્વમંજૂરી આવશ્યક રહેશે.
આ રીતે મળશે નાણાકીય સહાય
યોજનાના નિયમ મુજબ દર્દીને આયુષ્માન ભારત-PMJAY અથવા મા-કાર્ડ હેઠળ મળતી સહાય બાદ જે વધારાનો ખર્ચ બાકી રહે, તે પૈકી મહત્તમ રૂ. 3 લાખ સુધીની રકમ રાજ્ય સરકાર ચૂકવશે.
ઉદાહરણ તરીકે, IKDRCમાં અંગ પ્રત્યારોપણનો કુલ ખર્ચ રૂ. 6 લાખ હોય અને PMJAY હેઠળ રૂ. 3 લાખની સહાય મળતી હોય, તો બાકીના રૂ. 3 લાખ આ યોજના હેઠળ ચૂકવવામાં આવશે.
ખાનગી હૉસ્પિટલમાં સારવારનો ખર્ચ રૂ. 10 લાખ હોય, પરંતુ આ જ સારવારનો IKDRCનો નક્કી કરાયેલો દર રૂ. 6 લાખ હોય, તો PMJAYની રૂ. 3 લાખની સહાય બાદ સરકારી દરની મર્યાદામાં વધુમાં વધુ રૂ. 3 લાખની સહાય જ મળશે.
યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા
લાભાર્થી ગુજરાતના અનુસૂચિત જનજાતિ સમુદાયના હોવા જોઈએ અને તેમણે માન્ય જાતિ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. દર્દી પાસે PMJAY અથવા મા-કાર્ડ હોવું ફરજિયાત છે. સારવાર માટે IKDRCની ટ્રાન્સપ્લાન્ટ સમિતિની ક્લિનિકલ મંજૂરી મેળવવી પણ જરૂરી રહેશે.
અંગદાતા કોઈ પણ જ્ઞાતિના હોઈ શકે છે, પરંતુ યોજનાનો લાભ માત્ર અનુસૂચિત જનજાતિના અંગ મેળવનાર દર્દીને જ આપવામાં આવશે. શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ સંપૂર્ણ મફત સારવાર મળતી હોવાથી તેમને આ યોજનામાં અલગથી આવરી લેવામાં આવ્યા નથી.
સમગ્ર પ્રક્રિયા રહેશે ઑનલાઇન
યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે અને નાણાકીય ગેરરીતિ અટકાવી શકાય તે માટે સમગ્ર પ્રક્રિયા ઑનલાઇન રાખવામાં આવશે. સહાયની ચુકવણી માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT પદ્ધતિ અથવા સીએમ ડેશબોર્ડ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવશે.
યોજનાના યોગ્ય મોનિટરિંગ માટે સમયાંતરે સોશિયલ ઑડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન કરાવવામાં આવશે. તેના અહેવાલો રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવાના રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગંભીર અને પ્રાણઘાતક બીમારીઓ સામે સંઘર્ષ કરતા આદિવાસી પરિવારોને આરોગ્ય સુરક્ષાનું મજબૂત કવચ મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel