યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પ્રાપ્ત કરાયેલ ગુજરાતનું સુપ્રસિદ્ધ લોકનૃત્ય ગરબા હવે ઉદયપુરની ધરતી પર પણ ગુંજશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સવની ઊર્જાને નવી ઓળખ આપવા માટે પ્રથમવાર “વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ 2025”નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ઉત્સવનું આયોજન 14 સપ્ટેમ્બર, 2025ના રોજ સાંજે 7:30 કલાકે ઉદયપુરના ફિલ્ડ ક્લબ ખાતે થવાનું છે, જ્યાં સૌપ્રથમવાર રાજસ્થાનના નાગરિકોને ગુજરાતી ગરબા, લોકનૃત્યો અને સંસ્કૃતિના તાલે ઝૂમવાની અનોખી તક મળશે.
આ વિશેષ પ્રસંગે પ્રખ્યાત ગાયક પાર્થિવ ગોહિલ લાઈવ પરફોર્મન્સ દ્વારા મંચને ઝળહળાવશે. સાથે જ પરંપરાગત તલવાર રાસ, ગોફ ગૂંથણ, મણિયારો રાસ અને ગુજરાતી લોકનૃત્યના રંગોથી એક અવિસ્મરણીય માહોલ સર્જાશે. ઉત્સવનો હેતુ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ગુજરાત અને રાજસ્થાન વચ્ચેના સાંસ્કૃતિક સેતુ તરીકે કામ કરશે, જ્યાં લોકો ગરબાની માત્ર તાલ-લય જ નહીં, પરંતુ તેની પાછળની ભાવના અને પરંપરા સાથે પણ જોડાઈ શકશે.
આ ઉત્સવની પૂર્વ તૈયારી રૂપે 8 થી 13 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ઉદયપુરના JCA ડાન્સ એન્ડ સ્પોર્ટ્સ ફિટનેસ હબ ખાતે નિઃશુલ્ક ગરબા વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અહીં સવારે 10 થી 1 અને સાંજે 7 થી 11 કલાક સુધી વર્કશોપ થશે, જ્યાં અનુભવી તાલીમકારો સ્થાનિક નાગરિકો તેમજ મુલાકાતીઓને ગરબાની લય, સ્ટેપ્સ અને પરંપરાની સમજ આપશે. રસ ધરાવતા લોકો માટે વધુ માહિતી માટે મો. 63581 44611 ઉપર સંપર્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગુજરાત ટુરિઝમના પ્રવક્તાએ જણાવ્યું કે આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય સહભાગીઓને ગરબાની ઊર્જા, એકતા અને સંસ્કૃતિની ભાવના સાથે જોડવાનો છે. આ માત્ર નૃત્ય-સંગીત પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ તેમાં ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા, પરંપરાગત વ્યંજનો અને સાંસ્કૃતિક પ્રદર્શનોનો પણ સમાવેશ થશે, જેથી દરેક મુલાકાતીને ગુજરાતનો પ્રામાણિક અનુભવ મળી રહે.
આ પ્રસંગે દરેક ભાગલેનાર માટે પરંપરાગત પોશાક ફરજિયાત રહેશે, જેથી માહોલમાં રંગીનતા અને પરંપરાનો સ્પર્શ જીવંત રહે. સાથે જ શ્રેષ્ઠ પરંપરાગત વેશભૂષા, શ્રેષ્ઠ ગરબા પ્રદર્શન અને શ્રેષ્ઠ ખેલૈયાઓને રૂ. 5000/- સુધીના આકર્ષક ઇનામો અને વાઉચર આપીને સન્માનિત કરવામાં આવશે. ખાસ વાત એ છે કે કાર્યક્રમમાં પ્રવેશ સર્વે નાગરિકો માટે નિઃશૂલ્ક રાખવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ લોકો આ ઉત્સવનો લાભ લઈ શકે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રવાસન નિગમ પ્રથમવાર દિલ્હી ખાતે પણ નવરાત્રી બાદ શરદપૂનમની રાત્રે વિશેષ ગરબા મહોત્સવ યોજશે, જેનાથી ગરબાની પરંપરા દેશભરમાં પ્રસરે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર આયોજનથી ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર નવા પરિમાણ સાથે ઉજાગર થશે અને ઉદયપુરવાસીઓને ગરબાના તાલે એક અનોખો અને યાદગાર અનુભવ મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel