ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ અંગે કરાયેલા ઉલ્લેખને લઈને દેશભરમાં ચર્ચા વચ્ચે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ National Council of Educational Research and Training (NCERT) એ આ પાઠ્યપુસ્તક પરત ખેંચી લીધું છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતએ આ મુદ્દે સુઓમોટો કાર્યવાહી શરૂ કરવાની સૂચના આપતા જ NCERTએ તાત્કાલિક અસરથી પુસ્તકનું વેચાણ બંધ કરી દીધું હતું. જોકે પુસ્તક પરત ખેંચાયા પછી પણ સુપ્રીમ કોર્ટએ મામલાની સુનાવણી ચાલુ રાખી છે.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે NCERTએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ધોરણ 8 માટે ‘Exploring Society: India and Beyond – Part 2’ નામનું પાઠ્યપુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકમાં ‘સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકા’ નામના પ્રકરણમાં ભારતીય ન્યાયતંત્ર સામે ઉભા પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમાં લખાયું હતું કે કેટલાક લોકો ન્યાયતંત્રના વિવિધ સ્તરે ભ્રષ્ટાચારનો અનુભવ કરે છે, જેના કારણે ગરીબ લોકો માટે ન્યાય મેળવવો વધુ મુશ્કેલ બની જાય છે. પુસ્તકમાં આ પણ જણાવાયું હતું કે દેશમાં કુલ 5.3 કરોડથી વધુ કેસો પેન્ડિંગ છે, જેમાં સુપ્રીમ કોર્ટમાં લગભગ 81 હજાર, હાઈકોર્ટોમાં 62.40 લાખ અને જિલ્લા અદાલતોમાં લગભગ 4.70 કરોડ કેસોનો સમાવેશ થાય છે.
The Supreme Court has issued show cause notices to the Secretary of the Department of Education and Literacy (Ministry of Education) and to NCERT Director Dr Dinesh Prashad Saklani to show cause as to why suitable action either under Contempt or under any other law against those… pic.twitter.com/ORe4fMk203
— ANI (@ANI) February 26, 2026
આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ત્યારે ઉઠ્યો જ્યારે વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ આ લખાણ પર પ્રશ્નો ઊભા કર્યા. તેના જવાબમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કડક ટિપ્પણી કરતાં કહ્યું કે આવું લખાણ ન્યાયતંત્રની છબી ખરડવા માટેનું ‘ગણતરીપૂર્વકનું પગલું’ હોઈ શકે છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે કોર્ટ કોઈને પણ ન્યાયતંત્રની અખંડિતતા પર સવાલ ઉઠાવવા નહીં દે અને જરૂર પડે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના આ કડક વલણ બાદ NCERTએ તરત જ પગલાં લેતાં પુસ્તકનું વેચાણ બંધ કરી દીધું. મંગળવાર અને બુધવારે NCERTના વેચાણ કાઉન્ટર્સ પરથી આ પુસ્તકો હટાવી લેવામાં આવ્યા હતા. શિક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, પુસ્તકમાં રહેલા લખાણને સુધારવા અથવા દૂર કરવા માટે સમગ્ર પુસ્તક પર ફરીથી કામ કરવામાં આવશે. ઉપરાંત જે પુસ્તકો પહેલેથી વેચાઈ ગયા હતા તે પણ પરત મંગાવવામાં આવ્યા છે.
આ દરમિયાન ગુરુવારે (26 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે કેન્દ્ર સરકાર આ મુદ્દે બિનશરતી માફી માંગે છે. જોકે CJIએ કહ્યું કે મીડિયામાં આવેલા અહેવાલો મુજબ NCERTએ માત્ર પુસ્તક પરત ખેંચ્યું છે પરંતુ સત્તાવાર રીતે માફી માગી નથી. તેના જવાબમાં સોલિસિટર જનરલે જણાવ્યું કે અત્યાર સુધી માત્ર 32 પુસ્તકો જ માર્કેટમાં ગયા હતા, જે હવે પરત મગાવી લેવામાં આવ્યા છે અને સુધારાઓ સાથે પુસ્તકને ફરી તૈયાર કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel