અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને સૈન્ય અથડામણોને અટકાવવા માટે થયેલી મહત્વપૂર્ણ ડીલ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને ભવિષ્યમાં ક્યારેય પરમાણુ હથિયારો ન બનાવવાની ખાતરી આપી છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મધ્ય પૂર્વમાં તણાવ ઘટાડવા અને વૈશ્વિક વેપારને ફરી ગતિ આપવા માટે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતી બાદ ઈરાને પરમાણુ શસ્ત્રોના વિકાસથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પના આ દાવાને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે વર્ષોથી ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા સહિત પશ્ચિમી દેશોમાં ચિંતા વ્યક્ત થતી રહી છે.
$300 મિલિયન વળતરની વાતને ટ્રમ્પે ગણાવી ‘ફેક ન્યૂઝ’
ટ્રમ્પે પોતાના નિવેદનમાં એ અહેવાલોને પણ ફગાવી દીધા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા, યુદ્ધ દરમિયાન થયેલા નુકસાનના વળતર પેટે ઈરાનને 300 મિલિયન ડોલર ચૂકવવા તૈયાર થયું છે. ટ્રમ્પે આવા અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવતા કહ્યું કે આ પ્રકારની માહિતી રાજકીય હેતુસર ફેલાવવામાં આવી રહી છે.
તેમણે આરોપ લગાવ્યો કે અમેરિકાના વિરોધ પક્ષ ડેમોક્રેટ્સ અને તેમના સમર્થકો દ્વારા જાણીજોઈને ગેરમાર્ગે દોરતી માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે જેથી ડીલ અંગે શંકા ઊભી થાય. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમેરિકા દ્વારા ઈરાનને કોઈ પ્રકારનું વળતર ચૂકવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલવાની શક્યતા
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીનો સૌથી મોટો પ્રભાવ વૈશ્વિક વેપાર અને ઊર્જા ક્ષેત્ર પર પડી શકે છે. ડીલ મુજબ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. અહેવાલો મુજબ આગામી દિવસોમાં હોર્મુઝનો જળમાર્ગ ફરીથી વ્યાપારી જહાજો માટે ખુલ્લો મૂકવામાં આવી શકે છે.
વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંથી એક ગણાતી હોર્મુઝની ખાડીમાંથી વિશ્વના મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને ગેસની હેરફેર થાય છે. યુદ્ધ અને સૈન્ય તણાવને કારણે આ માર્ગ પર અવરોધ સર્જાતા વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધી ગઈ હતી.
ભારતીય નાવિકો પણ બન્યા હતા હુમલાનો ભોગ
અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવ દરમિયાન હોર્મુઝ વિસ્તારમાં અનેક વ્યાપારી જહાજો પર હુમલાના બનાવો સામે આવ્યા હતા. કેટલાક જહાજોમાં ભારતીય ક્રૂ મેમ્બરો પણ ફરજ બજાવી રહ્યા હતા. એક હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત થયાની માહિતી સામે આવી હતી, જ્યારે અન્ય અનેક નાવિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
હોર્મુઝ માર્ગ ફરીથી શરૂ થવાથી ભારત સહિત અનેક દેશોના વેપાર અને ઊર્જા પુરવઠાને રાહત મળશે. વિશ્લેષકોનું માનવું છે કે જો આ સમજૂતી લાંબા સમય સુધી ટકી રહેશે તો મધ્ય પૂર્વમાં સ્થિરતા વધશે અને વૈશ્વિક અર્થતંત્ર પર સકારાત્મક અસર જોવા મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel