ઉત્તર પ્રદેશમાં Uttar Pradesh Anti-Terrorism Squad (ATS)એ એક મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ કરીને દેશવ્યાપી હુમલાની યોજના નિષ્ફળ બનાવી છે. 3 એપ્રિલ 2026ના રોજ ATS દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ‘ગઝવા-એ-હિંદ’ના ઉદ્દેશ્ય સાથે દેશના મહત્વના શહેરો અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરવાની તૈયારીમાં હતા.
તપાસમાં ખુલાસો થયો છે કે આ આતંકી મોડ્યુલનો મુખ્ય માસ્ટરમાઈન્ડ મેરઠનો 25 વર્ષીય સાકિબ ઉર્ફે ડેવિલ છે. તે પોતાના સાથીદારો સાથે મળીને ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સ મારફતે પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતો. આરોપીઓએ રેલવે સિગ્નલ બોક્સ અને સરકારી સંસ્થાઓની રેકી કરીને હુમલાની તૈયારી કરી હતી.
પકડાયેલા અન્ય આરોપીઓમાં અરબાબ, વિકાસ ગેહલાવત અને લોકેશનો સમાવેશ થાય છે. ATSના જણાવ્યા અનુસાર, તેમને પૈસાની લાલચ આપીને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની હેન્ડલર્સ દ્વારા તેમને ટાર્ગેટની માહિતી મોકલવામાં આવતી હતી અને મહત્વની જગ્યાઓના વીડિયો તથા માહિતી મેળવવા માટે નિર્દેશ આપવામાં આવતા હતા.
આ આતંકી મોડ્યુલ ગાઝિયાબાદ, અલીગઢ અને લખનૌ જેવા શહેરોમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સરકારી મિલકતોની જાસૂસી કરી રહ્યો હતો. તેઓએ કેટલીક જગ્યાએ આગચંપી કરીને તેની વિડિયો બનાવ્યા અને QR કોડ મારફતે પૈસા મેળવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
‘ગઝવા-એ-હિંદ’નું કન્ટેન્ટ
તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે આતંકીઓને ‘ગઝવા-એ-હિંદ’, ઓસામા બિન લાદેન, ‘કાશ્મીર મુજાહિદ્દીન’ જેવા કટ્ટરપંથી કન્ટેન્ટ દ્વારા ઉશ્કેરવામાં આવતા હતા. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે ટ્રેક, ગેસ સિલિન્ડર ટ્રક અને સિગ્નલ સિસ્ટમને નુકસાન પહોંચાડીને દેશમાં ભય અને અસ્થિરતા ફેલાવવાનો હતો.
ATSની સમયસૂચક કામગીરીને કારણે 2 એપ્રિલ 2026ના રોજ લખનૌના ચારબાગ રેલ્વે સ્ટેશન પાસે મોટી દુર્ઘટના થતા અટકાવી દેવામાં આવી. આરોપીઓ વિસ્ફોટકો અને જ્વલનશીલ પદાર્થોની મદદથી રેલવે લાઈનને નુકસાન પહોંચાડવાની તૈયારીમાં હતા, પરંતુ તે પહેલાં જ તેમને ઝડપી લેવામાં આવ્યા.
ATSએ આરોપીઓ પાસેથી મહત્વપૂર્ણ પુરાવા પણ જપ્ત કર્યા છે, જેમાં જ્વલનશીલ પદાર્થની કેન, 7 સ્માર્ટફોન, 24 વાંધાજનક પેમ્ફ્લેટ અને આધાર કાર્ડનો સમાવેશ થાય છે.
આ કેસમાં આરોપીઓ સામે Unlawful Activities (Prevention) Act (UAPA) અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટના બાદ રેલવે સ્ટેશનો અને મહત્વની સરકારી સંસ્થાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર ફેલાતા ભડકાઉ અને ગેરમાર્ગે દોરતા કન્ટેન્ટથી દૂર રહે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક પોલીસને કરે. હાલ આ આતંકી નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની શોધખોળ માટે તપાસ તેજ કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel