ધરોઈ ડેમમાં ઉપરવાસ વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે (9 સપ્ટેમ્બર) પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ડેમમાંથી વધારાનું પાણી છોડવાની ફરજ પડી હતી. સત્તાવાર માહિતી મુજબ ડેમમાં 13,714 ક્યુસેક જેટલું પાણી પ્રવેશી રહ્યું છે અને એટલું જ પ્રમાણ સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના બે ગેટ ખોલવામાં આવ્યા છે અને 5 ફુટ સુધી પાણી છોડવામાં આવી રહ્યું છે. આ કારણે સાબરમતી નદીમાં પાણીનો સ્તર ઝડપી વધતો જોવા મળ્યો છે, જેના પગલે અમદાવાદ અને ખેડા જિલ્લાના નદીકાંઠાના વિસ્તારોને તાત્કાલિક ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રાદેશિક પ્રશાસન દ્વારા લોકોને નદીની આસપાસ ન ફરવા માટે ચેતવણી આપી છે. અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે પણ પાણીમાં ગરકાવ થવાને કારણે બંધ કરી દેવાયો છે.
ડેમની હાલની સ્થિતિ મુજબ પાણીનો સંગ્રહ 91.34 ટકા સુધી પહોંચી ગયો છે અને તેની સપાટી 622 ફૂટના નજીક છે. સતત ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક ચાલુ રહેવાની શક્યતા છે, જેથી આગામી દિવસોમાં વધુ ગેટ ખોલવાની ફરજ પડી શકે છે. સાબરમતી કાંઠાના અનેક ગામોમાં સ્થાનિક તંત્રએ પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે અને ગામલોકોને સાવચેત રહેવા સાથે તાત્કાલિક સ્થળાંતર માટે તૈયાર રહેવા કહ્યું છે. આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને ડેમની પાણીની સપાટી પર કડક નજર રાખવામાં આવી રહી છે.
રાજ્યના વરસાદની સ્થિતિની વાત કરીએ તો આ સિઝનમાં ગુજરાતમાં 100 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તરીય ગુજરાતમાં અત્યાર સુધીમાં 117.03 ટકા વરસાદ પડ્યો છે, મધ્ય ગુજરાતમાં 110.07 ટકા, દક્ષિણ ગુજરાતમાં 110.68 ટકા, કચ્છ વિસ્તારમાં 116.12 ટકા અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 93 ટકા વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સરેરાશ વરસાદની સ્થિતિ સંતોષકારક હોવા છતાં સૌરાષ્ટ્ર ઝોનમાં હજુ થોડી ખામી જોવા મળે છે.
વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પણ પાણીનો સંગ્રહ નોંધપાત્ર રીતે વધ્યો છે. હાલ રાજ્યના 207 જળાશયોમાં સરેરાશ 87.54 ટકા પાણી ભરાયું છે. સરદાર સરોવર ડેમમાં 91.07 ટકા પાણીનો સંગ્રહ છે, જે રાજ્યની પીવાના પાણી અને સિંચાઈની જરૂરિયાતો માટે મોટી રાહતરૂપ છે. ભારે વરસાદને પગલે 127 ડેમને હાઈ એલર્ટ પર, 24 ડેમને એલર્ટ પર અને 12 ડેમને વોર્નિંગ ઝોનમાં રાખવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને જોતા તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને જ્યાં જરૂર હોય ત્યાંથી પાણી છોડવાની તૈયારીમાં છે.
સામાન્ય રીતે, ધરોઈ સહિતના મોટા ડેમોમાં પાણીનો ભરાવ વધવાથી ખેડૂતો માટે સિંચાઈની પૂરતી વ્યવસ્થા થઈ શકે છે, પરંતુ સાથે જ નદીકાંઠાના વિસ્તારોમાં પૂરની ભીતિ વધી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા અને રાહતના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી કોઈ મોટી જાનહાની કે નુકસાન ન થાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel