વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પોરબંદર ખાતે આયોજિત ગરિમામય ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે મુક્ત અવસ્થામાં વસતા એશિયાટિક સિંહોનું વિશ્વમાં એકમાત્ર કુદરતી ઘર ગુજરાત છે અને આ બાબત રાજ્ય માટે ગૌરવની સાથે મોટી જવાબદારીનો પણ વિષય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન્યજીવ સૃષ્ટિ અને પ્રકૃતિ સંવર્ધનના વિઝન તથા રાજ્યના વન વિભાગ દ્વારા અપનાવવામાં આવેલી પ્રો-એક્ટિવ કામગીરીના કારણે ગીરના સિંહોના સંવર્ધનની સફળ ગાથા આજે વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી રહી છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સિંહ સંરક્ષણ માત્ર વન વિભાગની જવાબદારી નથી, પરંતુ સ્થાનિક લોકો, પ્રકૃતિપ્રેમીઓ, પ્રશાસન અને સમગ્ર સમાજના સહયોગથી જ આ કુદરતી વારસાને ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત રાખી શકાય છે.
વિશ્વ સિંહ દિવસની પોરબંદર ખાતે થઈ રહેલ ઉજવણીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાવાનો અવસર પ્રાપ્ત થયો.
સિંહ આપણી રાષ્ટ્રીયતાનું અભિન્ન અંગ છે. રાષ્ટ્રમુદ્રા પર અંકિત સિંહોની કૃતિ આપણું ગૌરવ છે. એશિયાટીક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન આપણું ગુજરાત છે, તે આપણા માટે અત્યંત… pic.twitter.com/ZNx3GC91eM
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 10, 2026
બરડામાં 143 વર્ષ બાદ સિંહોનો પુનઃવસવાટ
કાર્યક્રમમાં ઉપસ્થિત વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે 143 વર્ષ બાદ બરડા વિસ્તારમાં સિંહોનો પુનઃવસવાટ થવો ગુજરાત માટે ઐતિહાસિક ઘટના છે.
તેમણે કહ્યું કે ગીર બાદ બરડા અને કોસ્ટલ વિસ્તારમાં સિંહોની હાજરીથી માત્ર વન્યજીવ સંવર્ધનને જ નહીં, પરંતુ સ્થાનિક ઇકોસિસ્ટમ અને ઈકો-ટૂરિઝમને પણ મજબૂતી મળશે. આ વિકાસથી પોરબંદર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પર્યાવરણ આધારિત પ્રવાસન માટે નવી તકો ઊભી થશે.
સિંહ સંરક્ષણ માટે પેટ્રોલિંગ અને રેસ્ક્યુ વ્યવસ્થા વધુ મજબૂત
વિશ્વ સિંહ દિવસની ઉજવણી દરમિયાન વન અને પર્યાવરણ મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે પેટ્રોલિંગ બાઇક અને રેસ્ક્યુ વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ નવા વાહનોની મદદથી વન વિભાગને સિંહોના રહેઠાણ વિસ્તારોમાં પેટ્રોલિંગ, મોનિટરિંગ અને ઇમરજન્સી રેસ્ક્યુ કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરવામાં સહાય મળશે. ખાસ કરીને જંગલ અને માનવ વસાહતની સીમા નજીક વન્યજીવોની હિલચાલ પર નજર રાખવામાં આ વ્યવસ્થા ઉપયોગી સાબિત થશે.
ગીરની સંવર્ધન ગાથા બની વૈશ્વિક મોડલ
ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંવર્ધન માટે વર્ષોથી હાથ ધરવામાં આવેલી કામગીરીને કારણે ગીર અને તેની આસપાસનો વિસ્તાર વન્યજીવ સંરક્ષણ માટે વિશેષ ઓળખ ધરાવે છે. સરકારના જણાવ્યા અનુસાર, આધુનિક ટેકનોલોજી, સતત મોનિટરિંગ, રેસ્ક્યુ સિસ્ટમ, વેટરનરી કેર અને સ્થાનિક લોકોના સહયોગથી સિંહોના સંરક્ષણને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.
વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો મુખ્ય સંદેશ પણ એ જ રહ્યો કે એશિયાટિક સિંહો માત્ર ગુજરાતની ઓળખ નથી, પરંતુ સમગ્ર વિશ્વની અમૂલ્ય કુદરતી ધરોહર છે. તેમનું સંરક્ષણ અને તેમના કુદરતી આવાસનું જતન કરવું સૌની સામૂહિક જવાબદારી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel