સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને સમર્પિત દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી ‘સરદાર @150 યુનિટી માર્ચ’નો કરમસદ ખાતે આજે ભવ્ય પ્રારંભ થયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબની જન્મભૂમિ કરમસદની પવિત્ર ધરતી પરથી આ ઐતિહાસિક પદયાત્રાનો શુભારંભ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંદેશ દ્વારા યાત્રાને આશીર્વાદ આપતા જણાવ્યું કે સરદાર પટેલનું જીવન રાષ્ટ્રીય એકતા, અડગ નિષ્ઠા, અખંડ સંકલ્પશક્તિ અને લોકહિત માટેની અપરંપાર પ્રતિબદ્ધતાનું પ્રતીક છે, અને આ યાત્રા દ્વારા તેમના વિચારોને જનમાનસ સુધી વધુ વ્યાપક બનાવવામાં આવશે.
અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મજયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ ઐતિહાસિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
નવી પેઢી સરદાર સાહેબના મૂલ્યો અને આદર્શોથી પરિચિત થાય, અને એકતાની તાકાતથી વિકસિત ભારતના… pic.twitter.com/NCW2SjNR3t
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 26, 2025
સંવિધાન દિવસ એટલે કે 26 નવેમ્બરથી શરૂ થયેલી આ યાત્રાના ઉદ્ઘાટન સમારોહમાં ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિ રહી. 11 દિવસ ચાલનારી આ પદયાત્રા કુલ 152 કિલોમીટરના માર્ગ પરથી પસાર થશે અને 6 ડિસેમ્બરે નર્મદા નદીના કિનારે સ્થિત વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય સમાપન સમારંભ સાથે પૂર્ણ થશે.
સરદાર સાહેબના જીવનમૂલ્યો, દૃઢ નેતૃત્વ, એકતાના સંદેશને તેમજ 'આત્મનિર્ભર ભારત'ના વિચારને સમર્પિત ‘સરદાર @ 150- યુનિટી માર્ચ’ પદયાત્રા. @Sardar150Yatra#Sardar150 #UnityMarch #EkBharatAatmanirbharBharat pic.twitter.com/WxIn7m9LUc
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 26, 2025
આ યાત્રામાં દરરોજ 15 હજારથી વધુ પદયાત્રીઓ જોડાશે એવી ધારણા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આજે પદયાત્રામાં પદયાત્રી તરીકે જોડાયા, જ્યારે આગામી દિવસોમાં પણ અનેક રાષ્ટ્રીય નેતાઓ યાત્રામાં શામેલ થશે. બીજા દિવસે તામિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ, એસ.પી. બઘેલ અને બી.એલ. વર્મા જોડાશે. પાંચમા દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, સાતમા દિવસે પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી હાજર રહેશે. આઠમા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તામાંગ અને દસમા દિવસે બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન યાત્રામાં જોડાશે.
સરદાર સાહેબ કહેતા કે, દેશ માટે કામ કરવાથી મોટો આનંદ બીજો કોઈ ન હોઈ શકે. માનનીય મોદી સાહેબના જીવનમાં આ વાત સ્પષ્ટ જોઈ શકાય છે. @Sardar150Yatra#Sardar150 #UnityMarch #EkBharatAatmanirbharBharat pic.twitter.com/rl32Xvuu4f
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 26, 2025
યાત્રાના દરેક રાત્રિવિરામ સ્થળોએ સાંજે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ગુજરાતના લોકપ્રિય લોકકલાકારો—રાજભા ગઢવી, માયાભાઈ આહિર, અરવિંદ વેગડા, સંતશ્રદ્ધા (કુશલ દિક્ષિત), ડૉ. નિર્મલદાન ગઢવી, અલ્પાબેન પટેલ અને રણજીત વાંક—દેશપ્રેમ, સંસ્કૃતિ અને સરદાર સાહેબના જીવનમૂલ્યો આધારિત રજૂઆતો રજૂ કરશે. ઉપરાંત નૃત્ય-નાટિકા, ભવાઈ, લોકનૃત્યો, સંગીતમય બેન્ડ શો અને સ્ટેજ પ્રસ્તુતિઓ દ્વારા યાત્રાને જીવંત બનાવવામાં આવશે.
યાત્રા દરમિયાન આવતા ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ, યુવાનો સાથે પ્રેરણાત્મક સંવાદ, સરદાર પટેલના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો અને જનજાગૃતિ અભિયાન પણ યોજાશે. 6 ડિસેમ્બરે એકતાનગર પહોંચતી આ યાત્રાનો ભવ્ય સમાપન સમારંભ ઉપાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકારના મંત્રીઓની હાજરીમાં યોજાશે.
આમ, ‘સરદાર @150 યુનિટી માર્ચ’ માત્ર એક પદયાત્રા નહીં પરંતુ રાષ્ટ્રીય એકતા, ઇતિહાસ, સંસ્કૃતિ અને સરદાર સાહેબના અમર વિચારોને જનમાનસ સુધી પહોંચાડનાર એક મહાયાત્રા બની રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel