દિલ્હીમાં સીજેપી (CJP)ના નેતૃત્વમાં યોજાયેલા સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા કથિત બળપ્રયોગના મુદ્દે કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. આ મુદ્દે ગુજરાત ભાજપના મીડિયા વિભાગના પ્રમુખ પ્રશાંત વાળાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં 1974ના ગુજરાતના ઐતિહાસિક નવનિર્માણ આંદોલનની યાદ અપાવી છે.
પ્રશાંત વાળાએ કોંગ્રેસને સવાલ કર્યો કે, શું કોંગ્રેસે ક્યારેય નવનિર્માણ આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા ગોળીબાર અને દમન માટે આત્મમંથન કર્યું છે કે શહીદ વિદ્યાર્થીઓના પરિવારો પાસે માફી માંગી છે? તેમણે કોંગ્રેસ પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, કોંગ્રેસે પહેલા પોતાના ઇતિહાસ તરફ જોવું જોઈએ.
‘કોંગ્રેસ પહેલા આત્મમંથન કરે’
પ્રશાંત વાળાએ જણાવ્યું કે લોકશાહીમાં વિરોધ કરવાનો દરેક નાગરિકને અધિકાર છે, પરંતુ વિરોધના નામે ઇતિહાસને ભૂલી જવું અથવા પોતાની અનુકૂળતા મુજબ તેનો ઉલ્લેખ કરવો રાજકીય ઈમાનદારી નથી.
તેમણે આરોપ લગાવ્યો કે દિલ્હીના જંતર-મંતર ખાતે બનેલી ઘટનાને લઈને કોંગ્રેસ અને તેના સાથી પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર વિરુદ્ધ દૂષ્પ્રચાર કરી રહ્યા છે, જ્યારે પોતાના શાસનકાળના સૌથી કાળા અધ્યાય અંગે ક્યારેય જવાબદારી સ્વીકારી નથી.
‘કોંગ્રેસ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રહી છે’
પ્રશાંત વાળાએ કહ્યું કે જો રાજકીય પક્ષો પોતાના રાજકીય હિત માટે વિદ્યાર્થીઓના નામે રાજકારણ કરે અને તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે, તો દેશની જનતાની ફરજ બને છે કે તે આવા પક્ષોને તેમનો ઇતિહાસ યાદ અપાવે.
તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ આજે વિદ્યાર્થી હિત અને લોકશાહીની વાત કરે છે, પરંતુ નવનિર્માણ આંદોલન દરમિયાન શહીદ થયેલા વિદ્યાર્થીઓના પરિવારો સામે ક્યારેય માફી માગી નથી.
ભારતના સૌથી મોટા વિદ્યાર્થી આંદોલનોમાંનું એક હતું નવનિર્માણ આંદોલન
પ્રશાંત વાળાના જણાવ્યા મુજબ ગુજરાતનું નવનિર્માણ આંદોલન ભારતના ઇતિહાસના સૌથી મોટા વિદ્યાર્થી આંદોલનોમાં સ્થાન ધરાવે છે.
ડિસેમ્બર 1973માં મોરબી એન્જિનિયરિંગ કોલેજ અને ત્યારબાદ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના હોસ્ટેલમાં ભોજન ફી વધારવાના વિરોધથી આંદોલનની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં આ વિદ્યાર્થી આંદોલન હતું, પરંતુ બાદમાં તે સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી અને કુશાસન વિરુદ્ધ જનઆંદોલનમાં પરિવર્તિત થયું હતું.
તે સમયે ગુજરાતમાં કોંગ્રેસના ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, જ્યારે કેન્દ્રમાં ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં.
33 શહેરોમાં ફેલાયું હતું આંદોલન
વાળાએ જણાવ્યું કે આંદોલન ઝડપથી સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયું હતું. શાળાઓ અને કોલેજો બંધ રાખવાના આહ્વાન સાથે હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા.
વિદ્યાર્થીઓ ઉપરાંત વેપારીઓ, મધ્યમ વર્ગ, મહિલાઓ, સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો પણ આંદોલનમાં જોડાયા હતા. ગુજરાતના અંદાજે 33 શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા હતા.
તેમણે જણાવ્યું કે તે સમયની કોંગ્રેસ સરકારે અમદાવાદ, વડોદરા તેમજ પાલનપુર જેવા શહેરોમાં કર્ફ્યૂ લાદ્યો હતો. વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી અને અનેક સ્થળોએ લાઠીચાર્જ તેમજ બળપ્રયોગ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીના રાજીનામાની હતી માંગ
પ્રશાંત વાળાના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓની મુખ્ય માંગ માત્ર એટલી હતી કે તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ રાજીનામું આપે.
પરંતુ કોંગ્રેસ સરકારે રાજીનામું સ્વીકારવાના બદલે પોલીસ અને સુરક્ષા દળો દ્વારા કડક કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો હોવાનું તેમણે જણાવ્યું. વિદ્યાર્થીઓને કાબૂમાં લેવા માટે સૈન્યની પણ મદદ લેવામાં આવી હતી.
નવનિર્માણ આંદોલનના આંકડા રજૂ કર્યા
પ્રશાંત વાળાએ નવનિર્માણ આંદોલનને લઈને કેટલાક આંકડાઓ રજૂ કરતાં દાવો કર્યો કે—
- નવનિર્માણ આંદોલન કુલ 73 દિવસ ચાલ્યું હતું.
- સરકારી નોંધો મુજબ પોલીસ ગોળીબારમાં 105 વિદ્યાર્થીઓના મોત થયા હતા.
- 8,053 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
- 184 લોકોને MISA હેઠળ અટકાયત કરવામાં આવી હતી.
- 1,654 વખત લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
- 4,342 આંસુગેસના શેલ છોડવામાં આવ્યા હતા.
- 1,405 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
- 310 લોકો ઘાયલ થયા હતા.
કોંગ્રેસને પૂછ્યા કડક સવાલો
પ્રશાંત વાળાએ કોંગ્રેસને પ્રશ્ન કર્યો કે શું તેણે ક્યારેય નવનિર્માણ આંદોલન દરમિયાન શહીદ થયેલા વિદ્યાર્થીઓ માટે આત્મમંથન કર્યું છે?
તેમણે વધુમાં પૂછ્યું કે શું કોંગ્રેસે ક્યારેય જાહેરમાં સ્વીકાર્યું છે કે તે સમયની પરિસ્થિતિ દુર્ભાગ્યપૂર્ણ હતી? શું શહીદ વિદ્યાર્થીઓના પરિવારો પાસે ક્યારેય માફી માગવામાં આવી છે? વાળાએ કહ્યું કે જો આ તમામ પ્રશ્નોના જવાબ ‘ના’માં હોય, તો કોંગ્રેસ આજે વિદ્યાર્થી હિત, માનવાધિકાર અને લોકશાહીની વાત કયા નૈતિક અધિકારથી કરે છે?
‘નવનિર્માણ આંદોલનના શહીદ સમગ્ર ગુજરાતના હતા’
પ્રશાંત વાળાએ પોતાના નિવેદનના અંતમાં જણાવ્યું કે નવનિર્માણ આંદોલનના શહીદો કોઈ એક રાજકીય પક્ષના નહોતા, પરંતુ સમગ્ર ગુજરાતના યુવાનો હતા. તેમનું બલિદાન હંમેશા યાદ રાખવું જોઈએ અને રાજકીય લાભ માટે ઇતિહાસને ભૂલવો યોગ્ય નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel