જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને અને મનપા કમિશનર જી.એચ.સોલંકીની સહઅધ્યક્ષતામાં ગણેશ મહોત્સવ ૨૦૨૫ના સુચારૂ આયોજન બાબતે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં શાંતિમય વાતાવરણમાં ગણેશ મહોત્સવ ૨૦૨૫ને સંપન્ન કરવા માટે નડિયાદ શહેરના ગણેશ મંડળના આયોજકોને કાર્યક્રમની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસ.ઓ.પી) થી સમજુત કરવામાં આવ્યા હતા.
બેઠક અંતર્ગત ગણેશ સ્થાપના, સ્થાનિક પોલીસ સ્ટેશન પર નોંધણી, મૂર્તિની હાઈટ, પંડાલ પર સીસીટીવી કેમેરા, વિસર્જન રુટ, સાઉન્ડ સિસ્ટમનો માન્ય અવાજ, કુત્રિમ તળાવમાં વિસર્જન સહિતની ગણેશ મૂર્તિ વિસર્જન સુધીની તમામ પ્રક્રિયાઓમાં ધ્યાને લેવાની તકેદારીઓ થી આયોજકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ અવસરે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે ખૂબ જ આનંદ ઉલ્લાસપૂર્વક અને શાંતિમય વાતાવરણમાં ગણેશ મહોત્સવને સંપન્ન કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે ખાસ કરીને ઉત્સવ દરમિયાન ધ્વનિ પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યાઓ ઊભી ના થાય તેની તકેદારી રાખવા અને સામાજિક સૌહાર્દ જાળવી કાયદો અને વ્યવસ્થા મુજબ ગણેશ મહોત્સવને ઉજવવા અપીલ કરી હતી. વધુમાં, ગણેશ મહોત્સવના માધ્યમ થકી લોકોમાં ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો જેવા રાષ્ટ્રભક્તિના સંદેશાઓ જનમાનસ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. આ બાબતે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગણેશ મંડળની કૃતિઓની રાજ્યકક્ષાએ નોંધ લઈ પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે.
જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ વિવિધ યુવક મંડળોને ચાર રસ્તા પર ઉજવણી ન કરતા સ્થાપનાના સ્થળે વધુ ઉજવણી કરવા તેમજ બ્રિજ પરથી ઝડપથી પસાર થઈ જવા માટે વિનંતી કરવામાં આવી. વધુમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ડીજે સાથે ગણપતિ આગમન અંગે સત્વરે મંજૂરી માંગી લેવા સૂચના આપવામાં આવી તથા સ્થાપનના સ્થળે સીસીટીવી કેમેરા લગાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો. બેઠકમાં ઉપસ્થિત મંડળના આયોજકોની રજૂઆતને પણ ધ્યાને લઈ એ બાબતે કામગીરી કરવા આશ્વાસન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર, પ્રાંત અધિકારી, નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર, ફાયર બ્રિગેડના અધિકારી, સહિત ગણેશ આયોજક મંડળના પ્રમુખો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel