નિવાલ્દા ગામે વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સશક્ત નારીથી સમૃદ્ધ ભારત અંગે માર્ગદર્શન અપાયું.
સેવા, સુશાસન અને જનકલ્યાણના ૨૪ વર્ષ વિકાસ સપ્તાહ–૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ હતી. આ વિકાસ રથ નિવાલ્દા ગામે આવી પહોંચતા ગ્રામજનોમાં ખુશી છવાઈ ગઈ હતી. મહાનુભાવો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિકાસ રથનું સ્વાગત કર્યું હતું.
ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલી રાત્રિ ગ્રામસભામાં “સશક્ત નારીથી સમૃદ્ધ ભારત વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાંસદએ જણાવ્યું કે, નારી સશક્ત હશે તો દેશ મજબૂત બનશે. સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. આદિવાસી સમાજના બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી આઈએએસ અને આઈપીએસ બની સમાજનું ગૌરવ વધારશે, તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત કાર્ડ યોજનાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર મળી ૧૦ લાખ રૂપિયાની મફત સારવાર સુવિધા પૂરી પાડે છે. સરકાર માતા-બાળ આરોગ્ય, પોષણ અને શિક્ષણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે.
કાર્યક્રમ દરમ્યાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો વિતરણ કરવામાં આવ્યા હતા. લાભાર્થીઓએ પોતાના લાભો વિષેના અનુભવો રજૂ કર્યા હતા.કાર્યક્રમના અંતે સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તથા સૌએ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ માટે સંકલ્પ લીધો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા, નિવાલ્દા ગ્રામ પંચાયત સરપંચ રવિન્દ્રાબેન વસાવા, તાલુકા પંચાયત સભ્ય હિતેશભાઈ વસાવા, મામલતદાર એસ.વી. વિરોલા, તાલુકા વિકાસ અધિકારી જગદીશકુમાર સોની, પ્રાથમિક શિક્ષણાધિકારી જીજ્ઞેશકુમાર દેસાઈ, સી.ડી.પી.ઓ. ટીનાબેન ચૌધરી, તલાટીઓ, અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom