“જ્યાં માર્ગ નથી, ત્યાં માર્ગ કંડારવો એ જ સાચું સાહસ” – આ ઉક્તિને જીવનમાં પ્રતિબિંબિત કરતા જામનગરના નચિકેતા ગુપ્તાએ એક અનોખી અને ઐતિહાસિક સિદ્ધિ સાથે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જામનગર સિંચાઈ વિભાગમાં ક્લાસ-2 મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા નચિકેતાએ લદ્દાખના ઝંસ્કાર ક્ષેત્રમાં આવેલા 6248 મીટર ઊંચા અજાણ્યા શિખર પર પોતાની ટીમ સાથે સફળ આરોહણ કરી, અને આ શિખરને “માઉન્ટ તારા” નામ આપ્યું. તે દાવો કરે છે કે આ શિખર પર અત્યાર સુધી કોઈએ આરોહણ કર્યું નહોતું અને આ સિદ્ધિને હિમાલયન અભિયાનના ઇતિહાસમાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન માનવામાં આવે છે.
આ પડકારજનક અભિયાન કુલ 13 દિવસ ચાલ્યું, જેમાં નચિકેતાની છ સભ્ય ટીમે કોઈ બાહ્ય સહાયતા, માર્ગદર્શક કે કુકની મદદ વગર સ્વતંત્ર રીતે શિખર સર કર્યું. ટીમે અતિશય કઠોર પરિસ્થિતિઓનો સામનો કર્યો, જેમાં સતત ઠંડી, ઊભા ખડકાળ ઢાળ અને 5 થી 6 ફૂટ જેટલી બરફવાળી પરિસ્થિતિઓ સામેલ હતી. કઠિન પરિસ્થિતિઓને કારણે ત્રણ સભ્યોને પાછા ફરવું પડ્યું, છતાં બાકીના સભ્યોએ અદ્ભૂત સાહસ અને હિંમત બતાવીને શિખર સર કર્યું.
માઉન્ટ તારાનું નામકરણ પારંપરિક પર્વતારોહણ પદ્ધતિ અનુસાર કરવામાં આવ્યું છે, જેમાં અનામી શિખર પર પ્રથમ આરોહણ કરનાર ટીમ જ શિખરનું નામ નક્કી કરે છે. નચિકેતાના મતે, “માઉન્ટ તારા” આસ્થા, આધ્યાત્મિક શક્તિ અને દિવ્ય ઊર્જાનું પ્રતીક છે. આ શિખરનું સફળ આરોહણ માનવ સહનશક્તિ, ટીમની એકતા અને વિશ્વના સૌથી પડકારજનક આબોહવાની મર્યાદાઓને પડકારવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
નચિકેતા ગુપ્તાની આ ઐતિહાસિક સિદ્ધિ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને જામનગર માટે ગૌરવનો વિષય બની છે. તેમના આ સાહસથી નવું ઉદાહરણ ઉભું થયું છે કે જો ઇચ્છાશક્તિ અને એકતા હોય તો અવિશ્વસનીય લાગતી સિદ્ધિઓ પણ શક્ય બની શકે છે. માઉન્ટ તારા આરોહણ નવ પેઢીને પ્રેરણા આપશે, સાહસ અને હિંમતના મૂલ્યને જીવનમાં અમલમાં લાવવા પ્રેરિત કરશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel