નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં ગુજરાત પ્રદેશ મીડિયા સહપ્રવક્તા શ્વેતાબેન બ્રહ્મભટ્ટ તથા ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
પરિષદ દરમિયાન ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલ પસાર ન થવા પાછળ કોંગ્રેસ તથા તેના સાથી પક્ષોની નકારાત્મક અને મહિલા વિરોધી માનસિકતા જવાબદાર છે. કોંગ્રેસની આ રાજનીતિને કારણે દેશની કરોડો મહિલાઓના અધિકારો પર અસર પડી હોવાનું જણાવાયું હતું. શ્વેતા બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓના સશક્તિકરણ માટે આ અધિનિયમ લાવવા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના વિરોધને કારણે આ મહત્વપૂર્ણ બિલ પસાર થઈ શક્યું નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી વર્ષો સુધી સત્તામાં રહી હોવા છતાં મહિલાઓના સશક્તિકરણ માટે કોઈ અસરકારક પગલાં લઈ શકી નથી. આજ રોજ જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પરિવારવાદી રાજનીતિના કારણે સામાન્ય પરિવારમાંથી આવતી મહિલાઓને આગળ વધવા દેવા તૈયાર નથી.
પરિષદમાં જણાવાયું હતું કે, કોંગ્રેસ એક તરફ મહિલા હિતની વાત કરે છે, જ્યારે બીજી તરફ કાયદાકીય રીતે મહિલાઓને સશક્ત બનાવવા માટેના પ્રયાસોને અટકાવે છે, જે તેમની બેધારી નીતિ દર્શાવે છે.
વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો કે, કોંગ્રેસે અગાઉ માત્ર રાજકીય લાભ માટે આ બિલને સમર્થન આપ્યું હતું, પરંતુ અમલ સમયે વિવિધ બહાનાઓ આપી વિરોધ કર્યો. ૧૭ એપ્રિલનો દિવસ મહિલાઓ માટે ઐતિહાસિક બની શક્યો હોત, પરંતુ વિપક્ષના વિરોધને કારણે તે શક્ય બન્યું નથી.
અંતમાં ભાજપે જણાવ્યું કે, નારી શક્તિનું સશક્તિકરણ ભાજપ માટે રાજકીય મુદ્દો નહીં પરંતુ સમાનતા અને અધિકારનો પ્રશ્ન છે. દેશની મહિલાઓ કોંગ્રેસની આ માનસિકતાને સમજી રહી છે અને આવનારી ચૂંટણીમાં યોગ્ય જવાબ આપશે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel