મણિપુરમાં ફરીથી ભાજપની સરકાર રચાશે કે નહીં, તેને લઈને રાજકીય અટકળો વધુ તેજ બની છે. રાજ્યથી લઈને દિલ્હી સુધી ભાજપમાં દોડધામ વધી ગઈ છે. મણિપુરના 20થી વધુ ભાજપના ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હોવાના અહેવાલો છે અને પાર્ટીએ હવે રાજ્યમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે નિરીક્ષકની નિમણૂક પણ કરી દીધી છે. રાજ્યમાં આવતા વર્ષે રાષ્ટ્રપતિ શાસન પૂર્ણ થવાનું હોવાથી તે પહેલા સરકાર રચવાનો વિકલ્પ અજમાવવાની દિશામાં પાર્ટી આગવી તૈયારી કરી રહી હોવાનું માનવામાં આવે છે. સોમવારે ભાજપે મણિપુર માટે રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે, જેના પગલે ટૂંક સમયમાં મણિપુરમાં NDAના ધારાસભ્યોની બેઠક યોજાઈ શકે છે અને નવા નેતાની પસંદગી થવાની શક્યતા છે.
ભાજપના સૂત્રો મુજબ, જો નવી સરકાર રચાશે તો તેમાં રાજ્યના સંવેદનશીલ સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાવર બેલેન્સ પર ખાસ ભાર મૂકવામાં આવશે. આ માટે નવા મંત્રીમંડળમાં એક નાયબ મુખ્યમંત્રીનો સમાવેશ થવાની શક્યતા છે, જેથી રાજ્યના મુખ્ય સમુદાયો વચ્ચે સંતુલન જાળવી શકાય. પાર્ટીનો મત છે કે જો આગામી એક વર્ષ સુધી સરકાર ચાલશે તો તે સમયગાળા દરમિયાન વિકાસકાર્યો અને શાંતિ સ્થાપનાના પ્રયાસોને લઈને જનતા વચ્ચે વિશ્વાસ વધારી શકાય અને 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં પોતાની કામગીરી જનતા સમક્ષ રજૂ કરી શકાય.
BJP Parliamentary Board has appointed Shri @tarunchughbjp, the National General Secretary, as the Central Observer for the election of the leader of the legislative party in Manipur. pic.twitter.com/K3MNXljyMT
— BJP (@BJP4India) February 2, 2026
સૂત્રો અનુસાર, મુખ્યમંત્રી પદ માટે મેતેઈ સમુદાયમાંથી નેતા પસંદ કરવાની શક્યતા વધારે છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી પદ કુકી સમુદાયના કોઈ નેતાને સોંપી શકાય છે. આ પાછળનો હેતુ એ સંદેશ આપવાનો છે કે સરકાર તમામ સમુદાયોને સાથે લઈને આગળ વધવા માગે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મેતેઈ અને કુકી સમુદાય વચ્ચે થયેલી ભારે હિંસા અને તણાવને ધ્યાનમાં રાખીને ભાજપ હવે સત્તામાં સમતોલ પ્રતિનિધિત્વ દ્વારા સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહી છે.
મુખ્યમંત્રી પદની દોડમાં હાલ બિરેન સિંહ સરકારમાં સ્પીકર રહેલા સત્યવ્રત સિંહ, ભૂતપૂર્વ મંત્રી ટી.એચ. બિસ્વજીત સિંહ અને કે. ગોવિંદ દાસ જેવા નામો ચર્ચામાં છે. આ તમામ નેતાઓ મેતેઈ સમુદાય સાથે જોડાયેલા છે. બીજી તરફ, કુકી ધારાસભ્યો દ્વારા કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જો તેમને યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ નહીં મળે તો તેઓ સરકારમાં સામેલ થવા માટે સંમત નહીં થાય. કેટલાક ધારાસભ્યોએ તો મણિપુરને વિધાનસભા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માંગ પણ ઉઠાવી છે.
ઉલ્લેખનીય છે કે એન. બિરેન સિંહે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. હાલના ધારાસભ્યોની ઈચ્છા છે કે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ઓછામાં ઓછું એક વર્ષ સુધી સ્થિર સરકાર ચાલે, જેથી તેઓ પોતાની કામગીરી અને વિકાસકાર્યોની યાદી લઈને જનતા વચ્ચે જઈ શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel