ગુજરાત સરકારના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા રાજ્યભરમાં ભેળસેળયુક્ત અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ, દૂધજન્ય પદાર્થો અને પનીરના જથ્થાની સઘન તપાસ કરીને નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ અભિયાનને ‘સ્વસ્થ ગુજરાત–સુરક્ષિત ગુજરાત’ અભિયાનના ભાગરૂપે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
તપાસ દરમિયાન કુલ 2,12,948 કિલો અને લિટરથી વધુ ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં 39,787 કિલો ઘી, 1,67,256.60 કિલો ખાદ્ય તેલ, 675.40 કિલો દૂધ અને દૂધજન્ય પદાર્થો તેમજ 5,229 કિલો પનીરનો સમાવેશ થાય છે. વિવિધ સ્થળોએથી નમૂનાઓ એકત્ર કરીને તેમની ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષા ધોરણો મુજબ ચકાસણી કરવામાં આવી હતી.
ખાદ્ય અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા અનુસાર, સમગ્ર અભિયાન દરમિયાન અંદાજે 5.89 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ખાદ્ય પદાર્થોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘીની કિંમત આશરે 2.38 કરોડ રૂપિયા, ખાદ્ય તેલની કિંમત 3.34 કરોડ રૂપિયા, દૂધ અને દૂધજન્ય પદાર્થોની કિંમત 47 હજાર રૂપિયાથી વધુ તથા પનીરની કિંમત 15.68 લાખ રૂપિયા જેટલી હતી.
રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ, ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં વિવિધ બ્રાન્ડેડ તેમજ ખુલ્લા વેચાણમાં રહેલા ખાદ્ય ઉત્પાદનોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ અને ઉત્પાદકો સામે જરૂરી કાનૂની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી રહી છે. લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં અને ખાદ્ય સુરક્ષા કાયદાના કડક અમલીકરણ માટે રાજ્યભરમાં નિયમિત સેમ્પલિંગ, તપાસ અને દરોડાની કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે અને ગ્રાહકોને સુરક્ષિત ખોરાક મળી રહે તે માટે આવનારા સમયમાં પણ આવા વિશેષ અભિયાનો સતત ચાલુ રાખવામાં આવશે. સરકારનો હેતુ માત્ર ભેળસેળ રોકવાનો જ નહીં પરંતુ લોકોમાં ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો પણ છે.
ગુજરાત સરકારની આ કાર્યવાહી ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભેળસેળયુક્ત ઘી, તેલ, દૂધ અને પનીર જેવા દૈનિક ઉપયોગના ખાદ્ય પદાર્થો સામેની આ ઝુંબેશ ગ્રાહકોના આરોગ્યને સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel