બે દેશોની યાત્રાએ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) UKનો પ્રવાસ પૂરો કર્યા પછી હવે માલદીવ પહોંચ્યા છે. બે દિવસીય યાત્રા દરમિયાન તેઓ માલદીવના (Maldives) 60મા સ્વતંત્રતા દિવસમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને અન્ય અનેક દ્વિપક્ષીય બેઠકો, કાર્યક્રમોમાં ભાગ લેશે. આ તેમની ભારતના વડાપ્રધાન તરીકે માલદીવની ત્રીજી મુલાકાત છે, જ્યારે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ સત્તા સંભાળ્યા બાદ કોઈ પણ રાષ્ટ્રાધ્યક્ષની પ્રથમ મુલાકાત થઈ રહી છે.
શુક્રવારે (25 જુલાઈ) સવારે પીએમ મોદી ટાપુ દેશના પાટનગર માલેમાં ઉતર્યા ત્યારે તેમને આવકારવા માટે રાષ્ટ્રપતિ મોઇઝુ તો આવ્યા જ પણ વરિષ્ઠ મંત્રીઓ સહિત આખી કેબિનેટ એરપોર્ટ પર આવી હતી. હવે નરેન્દ્ર મોદીનું અને તેમના કારણે ભારતનું કદ દુનિયામાં એટલું થઈ ગયું છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના વડા માટે અન્ય દેશો લાલ જાજમ પાથરે, આવું ભવ્ય સ્વાગત કરે એ કોઈ નવી વાત રહી નથી, પરંતુ માલદીવના કિસ્સામાં થોડી વાત જુદી છે.
કારણ એ છે કે થોડા સમય પહેલાં જ બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક એવો વળાંક આવ્યો હતો, જેના કારણે પરિસ્થિતિ ઘણીખરી બદલાઈ. દાયકાઓથી મિત્ર રહેલા બે દેશો વચ્ચે માલદીવના અમુક નેતાઓની કરતૂતો અને બાલિશ હરકતોએ દેશોને સામસામે લાવીને મૂકી દીધા હતા. પરંતુ પછીથી ભારતનું કદ, ભારતની શક્તિ અને મોદી સરકારની વિદેશ નીતિએ પાસાં ફેરવી નાખ્યાં અને માલદીવ ફરી 360 ડિગ્રીનો ફેરાવો લઈને એ જ સ્થાને આવી પહોંચ્યું. આજે હવે ભારતના નેતાનું ભવ્ય સ્વાગત કરી રહ્યું છે.
આ બધું કેમ અને કઈ રીતે થયું તેની ચર્ચા પહેલાં એ જોઈએ કે બંને દેશો વચ્ચેના સંબંધોનો ઇતિહાસ કેવો રહ્યો છે. માંડ 1500 કિલોમીટર અંતરે સમુદ્રમાં આવેલા આ ટાપુ દેશ સાથે ભારતના સંબંધો કાયમ સુમેળભર્યા રહ્યા હતા. 1965માં માલદીવને સ્વતંત્રતા મળી પછી તેને માન્યતા આપનારો ભારત પ્રથમ દેશ હતો. ત્યારથી ભારત અને માલદીવ વચ્ચે વિકાસ, વ્યાપાર, શિક્ષણ, આરોગ્ય જેવાં અનેક ક્ષેત્રોમાં સંબંધો વિકસતા રહ્યા.
1988નું વર્ષ પણ બંને દેશોના સંબંધોમાં એક માઈલસ્ટોન બનીને આવ્યું. કારણ એ હતું કે માલદીવમાં એક જૂથે ત્યાંની સરકાર વિરુદ્ધ મોરચો માંડી દીધો હતો અને તખ્તાપલટની તૈયારીઓ આરંભી દીધી હતી. પરિસ્થિતિ જોતાં તત્કાલીન માલદીવના રાષ્ટ્રપતિએ ભારતની મદદ માંગી અને ભારતે તુરંત ‘ઑપરેશન કેક્ટસ’ લૉન્ચ કરીને માલદીવમાં સેના મોકલી અને થોડા જ કલાકોમાં સ્થિતિ પર કાબૂ મેળવી લીધો. ત્યારપછી બંને દેશોના સંબંધો વધુ ગાઢ બનતા ગયા.
ત્યારપછીનાં વર્ષોમાં પણ ભારતે માલદીવને અનેક રીતે મદદ પહોંચાડી છે. કેટલાંય બંદરો અને પબ્લિક બિલ્ડિંગ બનાવવામાં મદદ કરવાની હોય કે રોડ, હૉસ્પિટલો, પાણી-સેનિટેશન વગેરે માટે લૉન અને ગ્રાન્ટ આપવાની હોય, ભારતે હંમેશા મદદનો હાથ લંબાવ્યો છે. માલદીવના વિદ્યાર્થીઓ માટે ભારતમાં શિષ્યવૃત્તિ પણ આપવામાં આવતી હતી. ઉપરાંત પણ જ્યારે-જ્યારે પાડોશી દેશને મુશ્કેલી પડી ત્યારે ભારતે મદદ કરી હતી. 2004માં જ્યારે માલદીવમાં સુનામી આવી ત્યારે પણ ભારતે પૂરતી મદદ કરી હતી.
માલદીવથી હજારો લોકો દર વર્ષે સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ વગેરે માટે ભારત આવે છે. ભારતના કેટલાય તબીબો માલદીવમાં પણ કામ કરે છે. સંબંધો સારા હોવાના કારણે બંને દેશોના વડાઓ પણ એકબીજાની મુલાકાત લેતા રહેતા હતા. પીએમ મોદી 10 વર્ષના કાર્યકાળમાં 2 વખત માલદીવ જઈ ચૂક્યા છે. તેમના નેતાઓ પણ કાયમ ભારત આવતા રહ્યા છે.
‘ઇન્ડિયા આઉટ’ કેમ્પેઇન
આ સંબંધોમાં વળાંક આવ્યો માલદીવની 2023ની રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે. કારણ એ હતું કે તે સમય સુધી માલદીવમાં એવી સરકાર હતી, જેનો ભારત તરફ ઝુકાવ વધુ હતો. પરંતુ આ ચૂંટણીમાં ઉમેદવારી કરતા મોહમ્મદ મુઈઝુ પહેલેથી ચીન તરફી ગણાતા. તેમણે ‘ઈન્ડિયા આઉટ’ નામનું એક કેમ્પેઇન શરૂ કર્યું હતું.
આ કેમ્પેઈન હેઠળ નરેટિવ એવો ગોઠવવામાં આવ્યો કે ભારત માલદીવના આંતરિક મામલામાં વધુ પડતો હસ્તક્ષેપ કરી રહ્યું છે અને ખાસ કરીને તેની સૈન્ય ઉપસ્થિતિના કારણે દેશના સાર્વભૌમત્વ પર અસર થઈ રહી છે. આ કેમ્પેઇને પછીથી ભારત પ્રત્યેના દ્વેષનું પણ સ્થાન લેવા માંડ્યું અને વાત અહીં સુધી પહોંચી કે પ્રચાર દરમિયાન મુઈઝુએ ભારતીય સૈનિકોને હટાવી દેવાનું પણ વચન આપી દીધું. અન્ય એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે મુઈઝુ ચૂંટણી જીતી ગયા અને માલદીવના રાષ્ટ્રપતિ બની ગયા. ત્યારબાદ તેમનો ઢોળાવ ચીન તરફી વધુ રહ્યો.
આ પરિસ્થિતિમાં જાન્યુઆરી 2024માં પીએમ મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી અને ભારતીયો તેને માલદીવ સાથે સરખાવવા માંડ્યા પછી માલદીવના સામાન્ય સોશિયલ મીડિયા યુઝરો તો ઠીક પણ મંત્રીઓ પણ ચર્ચાઓમાં કૂદી પડ્યા અને અમુકે પીએમ મોદી વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી નાખી. જેના પર પછીથી ભારતે સખત વાંધો ઉઠાવ્યો અને એક રાજદ્વારી તણાવની પરિસ્થિતિ સર્જાઈ. જોકે પછીથી માલદીવના આ નેતાઓ વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવ્યાં હતાં, પરંતુ જે થવાનું હતું એ થઈ ચૂક્યું હતું. ત્યારબાદ પણ બંને દેશો વચ્ચે તણાવ રહ્યો.
શું થયું કે માલદીવ ફરી પાટે ચડ્યું?
એક મોટું કારણ આર્થિક ભારણ છે તેમાં કોઈ બેમત નથી. માલદીવ મોટેભાગે પ્રવાસન, વ્યાપાર અને વિદેશી સહાયથી ચાલતો એક નાનકડો દેશ છે. તેની પાસે ન ભારત જેટલી વિવિધતા છે, કે ન અન્ય તકો અને સંસાધનો.
ભારત રોડ-રસ્તા બનાવવાની વાત હોય કે હૉસ્પિટલો વગેરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું હોય, કાયમ માલદીવની મદદ કરતું રહ્યું હતું. પરંતુ મુઈઝુએ સત્તા સંભાળી અને સંબંધો વણસ્યા પછી ભારત પક્ષેથી પણ સહયોગ ઓછો થયો. બીજી તરફ માલદીવની અર્થવ્યવસ્થા કાયમ તણાવમાં જ રહી અને ધીમેધીમે ત્યાંની સરકારને, રાષ્ટ્રપતિ મુઈઝુને ખબર પડવા માંડી કે ભારતની મદદ વગર આગળ કામ ચાલી શકે તેમ નથી.
દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારત અને ચીન બે મોટા દેશો છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ અગાઉ ચીનતરફી વલણ દાખવી રહ્યા હતા, પરંતુ બહુ જલ્દી તેમને અને તેમની સરકારને એ બાબતનો ખ્યાલ આવી ગયો કે માલદીવ જેવા નાના દેશ માટે આ રીતે ચીન સાથે વધુ પડતી નિકટતા દાખવવી એ જોખમી કામ છે. વિદેશ નીતિને બેલેન્સ કરવા માટે તેમણે ભારત સાથે પણ સંબંધો સારા રાખવા જ પડશે.
બદલાયેલી સ્થિતિમાં ભારતે માલદીવમાંથી સૈન્ય પરત ખેંચી લેવા માટે પણ સહમતી દર્શાવી દીધી હતી, પરંતુ આ સૈનિકો મોટેભાગે માલદીવમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને મદદનું જ કામ કરતા હતા. ઘણી વખત આપાતકાલીન સ્થિતિમાં ભારતીય સેનાની મદદ આશીર્વાદ સાબિત થતી. એટલે ભારતીય સેનાનું ત્યાં હોવું માલદીવ માટે ફાયદાકારક જ હતું. પણ જેથી એ ભૂલ પણ માલદીવને સમજાઈ.
એ વાત પણ સાચી છે કે બંને દેશોના સંબંધોમાં તણાવ આવ્યો હતો, ભારતીયોએ પણ પ્રવાસન માટે અન્ય વિકલ્પો શોધવાના શરૂ કરી દીધા હતા, પરંતુ માલદીવના નાગરિકો માટે સ્વાસ્થ્ય, શિક્ષણ વગેરે માટે ભારત કરતાં શ્રેષ્ઠ વિકલ્પ બીજો કોઈ મળી શકે તેમ નથી. ઉપરાંત જ્યારે-જ્યારે આફત આવી ત્યારે ભારતે કાયમ મદદનો હાથ લંબાવ્યો છે. જેથી ત્યાંના નાગરિકોનો મિજાજ પણ સરકારે જોવો રહ્યો. સરકારે આ બધું પણ ધ્યાનમાં લીધું.
કેમ્પેઇન ચલાવવાં એક વાત છે, દેશ ચલાવવો બીજી
ટૂંકમાં, શરૂઆતમાં માલદીવે ‘ઈન્ડિયા આઉટ’ કેમ્પેઇનના જોરે ભારત સાથે શિંગડા ભેરવવાના પ્રયાસ કરી જોયા, પરંતુ બહુ જલ્દી સમજાય ગયું કે હવે આ નવું ભારત છે. બીજી તરફ વૈશ્વિક માનચિત્ર પર ભારતનો ઝંડો સતત લહેરાતો રહ્યો છે. અમેરિકાથી લઈને બ્રિટન જેવા દેશો પણ ભારત તરફ વળ્યા છે. માલદીવને બહુ જલ્દી સમજાય ગયું કે આ સ્થિતિમાં, પોતે જે સ્થાન પર છે ત્યાં રહીને, ભારત સાથે સંબંધો બગાડવા કોઈ કાળે પરવડી શકે તેમ નથી.
માલદીવનું કે તેના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુનું ‘ઈન્ડિયા આઉટ’ કેમ્પેઇન બહુ મોટા ઉપાડે શરૂ થયું હતું, પરંતુ સરકાર ચલાવવી કે દેશ ચલાવવો એક વાત છે અને મોટેમોટેથી બૂમો પાડીને આવાં કેમ્પેઇનો ચલાવવાં એ બીજી. હવે ત્યાંની સરકાર સમજી ચૂકી છે કે ભારત સાથે સંબંધો કેમ જરૂરી છે– માત્ર અર્થવ્યવસ્થા માટે નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપીને માલદીવ માત્ર એક ડિમ્પ્લોમેટિક ફોર્માલિટી નથી કરી રહ્યું, પરંતુ એક સંદેશ પણ આપી રહ્યું છે કે તેઓ પોતાની વિદેશ નીતિમાં એક બહુ મોટો બદલાવ લાવી રહ્યા છે. અતીતને ભૂલીને હવે તેઓ ફરીથી ભારત સાથે પહેલાં જેવા કે તેના કરતાં સારા સંબંધો બનાવવા માટે તૈયાર છે.