દિલ્હી હાઇકોર્ટે 2020ના હિંદુવિરોધી રમખાણોમાં આરોપી બનેલી ગુલફિશા ફાતિમાની જામીન અરજીને ગંભીર અવલોકન કર્યા બાદ ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયે સ્પષ્ટ કર્યું કે ગુલફિશા માત્ર પ્રદર્શનોમાં હાજરી આપતી નહોતી, પરંતુ એક મોટાં અને ગૂંચવાયેલા ષડયંત્રનો સક્રિય ભાગ હતી. કોર્ટના જણાવ્યા મુજબ, ગુલફિશાએ મહિલાઓને એકઠી કરીને તેમને હિંસાના સાધન તરીકે વાપરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે સીલમપુર અને જાફરાબાદ જેવા વિસ્તારોમાં પ્રોટેસ્ટ સાઈટ્સ ઉભી કરી, મીટિંગ્સ યોજી અને લોકોને સરકાર વિરોધી ભાવનાઓ માટે પ્રેરિત કર્યા.
સરકારી વકીલના દાવા મુજબ, ગુલફિશા ‘પિંજરાતોડ’ ગ્રૂપની સભ્ય હતી અને સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શનોનું સંચાલન કરતી હતી. તેણે માત્ર લોકો ભેગા કર્યા નહીં પરંતુ વૉરિયર્સ અને ઔરતોં કા ઈન્કલાબ જેવા વોટ્સએપ ગ્રૂપ બનાવીને આયોજન આગળ વધાર્યું. 23 જાન્યુઆરી 2020ની મીટિંગમાં ઉમર ખાલિદ દ્વારા લાલ મરચું પાઉડર, એસિડ, બોટલો અને લાકડીઓ એકઠી કરવા સૂચના આપવામાં આવી, જેને ગુલફિશાએ અમલમાં મૂકી. 16-17 ફેબ્રુઆરીની ચાંદ બાગ મીટિંગમાં પણ તે ઉપસ્થિત રહી હતી, જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન હિંસા ફેલાવવાનો પ્લાન બનાવાયો હતો. ગુલફિશાએ કોડ વર્ડ્સનો ઉપયોગ કરીને ચક્કાજામ અને હુમલાની યોજના અમલમાં મૂકી.
22 ફેબ્રુઆરી 2020ના રોજ જાફરાબાદ મેટ્રો સ્ટેશન નીચે મહિલાઓ સાથે રોડ બ્લોક કરવો અને પોલીસ સામે ઉશ્કેરણી કરવી તેની આગેવાની હેઠળ થયું, જેના પર FIR 48/2020 નોંધાઈ. 23 ફેબ્રુઆરીએ તેણે આશરે 300 મહિલાઓને ભેગી કરી, જેમણે લાલ મરચું પાઉડર, પથ્થરો અને લાકડીઓ વડે પોલીસ પર હુમલો કર્યો. વધુમાં, ગુલફિશાએ તાહિર હુસૈન પાસેથી રમખાણો માટે ફન્ડિંગ લીધું હોવાનું સાક્ષીઓએ કોર્ટમાં જણાવ્યું. સાક્ષી “સેટર્ન”એ તો સ્પષ્ટ કહ્યું કે તાહિર હુસૈન સીલમપુર પ્રોટેસ્ટ સાઈટ પર આવીને ગુલફિશાને નોટોના બંડલ આપ્યા હતા, જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વપરાયા.
ન્યાયમૂર્તિ નવીન ચાવલા અને શાલિન્દર કૌરની બેન્ચે સાક્ષીઓના નિવેદનો, સાબિતીઓ અને સમગ્ર પરિસ્થિતિને પ્રથમ દૃષ્ટિએ સાચી માની. કોર્ટે કહ્યું કે ગુલફિશાની ભૂમિકા માત્ર એક પ્રદર્શકની નહોતી, પરંતુ તે ષડયંત્રની લોકલ મેનેજર હતી, જે મહિલાઓને તાલીમ આપતી, મિટિંગ્સનું આયોજન કરતી અને હિંસાને દિશા આપતી હતી. કોર્ટે આ કેસમાં UAPAની કલમ 43D(5)નો સ્પષ્ટ ઉલ્લેખ કરીને જામીન નકારી દીધા.
અગાઉ અન્ય આરોપીઓને જામીન મળ્યા હોવાના આધાર પર આપેલી દલીલોને પણ કોર્ટે ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટના નિર્દેશનો ટાંકીને હાઇકોર્ટે કહ્યું કે અગાઉ મળેલા જામીનને પ્રીસિડેન્ટ (નઝીરા) તરીકે ગણી શકાય નહીં. ગુલફિશાની ભૂમિકા અન્યથી જુદી અને વધુ ગંભીર હોવાનું કોર્ટએ જણાવ્યું.
હાઇકોર્ટનો આ નિર્ણય યાદ અપાવે છે કે ફેબ્રુઆરી 2020ના રમખાણો સામાન્ય સ્વરૂપના નહોતા, પરંતુ લાંબા ગાળાના સંગઠિત આયોજનનું પરિણામ હતા. 54 લોકોના મૃત્યુ અને અસંખ્ય લોકોના જીવનને અસર કરનારા આ રમખાણોમાં ગુલફિશા ફાતિમા, ઉમર ખાલિદ અને શરજીલ ઈમામ જેવા નામો મુખ્ય ષડયંત્રકારો તરીકે સામે આવ્યા છે. ટ્રાયલ કોર્ટ બાદ હવે હાઇકોર્ટે પણ ગુલફિશાની જામીન અરજી ફગાવી દીધી છે, જે તેને હજુ વધુ સમય સુધી જેલમાં રાખશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel