પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા GST સુધારાઓ અંગે જણાવ્યું કે GST 2.0 એ સામાન્ય નાગરિકના જીવનને વધુ સરળ અને વ્યવસ્થિત બનાવ્યું છે. ખાસ કરીને દેશના મધ્યમ વર્ગ માટે આ મોટો લાભ સાબિત થશે કારણ કે દૈનિક ઉપયોગની ઘણી વસ્તુઓ હવે વધુ સસ્તી મળી શકશે, જે સીધો પ્રભાવ ઘરના બજેટ પર પડશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે આ સુધારો આઝાદી પછીનો સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય છે. તેમણે યાદ અપાવ્યું કે આ વર્ષે 15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી આપેલા સંબોધનમાં તેમણે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે નવી પેઢીના સુધારા કરવાની વાત કરી હતી અને દેશવાસીઓને વચન આપ્યું હતું કે દિવાળી અને છઠ પૂજા પહેલા ખુશીના ડબલ ધમાકા આવશે. આ વચન હવે પૂર્ણ થયું છે.
પીએમ મોદીએ સમજાવ્યું કે 22 સપ્ટેમ્બરથી, એટલે કે નવરાત્રિના પહેલા દિવસથી, નવા GST દર લાગુ થશે અને હવે દેશમાં ફક્ત બે જ દર – 5 ટકા અને 18 ટકા – રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ સુધારા પછી પનીરથી લઈને શેમ્પૂ સુધીની સામાન્ય વસ્તુઓ સસ્તી થશે. અગાઉ કોંગ્રેસ સરકારના સમયમાં પરિસ્થિતિ એવી હતી કે ટોફી જેવી સામાન્ય વસ્તુ પર પણ 21 ટકા ટેક્સ વસૂલવામાં આવતો હતો, જ્યારે સાયકલ પર 17 ટકા ટેક્સ લાગતો હતો. ઘરોના નિર્માણ પર લાગતા ભારે કરને કારણે સામાન્ય માણસ માટે ઘર બનાવવું ખૂબ મુશ્કેલ હતું.
#WATCH | Delhi | On #GSTReforms, PM Narendra Modi says, "No one can forget how the Congress government had increased your monthly budget… They used to levy a 21% tax even on toffees for children. If Modi had done this, they would have pulled my hair out."
(Source: DD News) pic.twitter.com/uXItQfxqOW
— ANI (@ANI) September 4, 2025
મોદીએ કહ્યું કે કોંગ્રેસ સરકારના સમયમાં પરિસ્થિતિ એ હતી કે 100 રૂપિયાની વસ્તુ પર 20થી 25 રૂપિયા સુધીનો ટેક્સ ચૂકવવો પડતો હતો. રસોડાની સામગ્રી, કૃષિ માલ, દવાઓ અને જીવન વીમા જેવી અગત્યની વસ્તુઓ પર પણ ભારે કર વસૂલાતો હતો. જ્યારે તેમની સરકારનું ઉદ્દેશ્ય હંમેશાં સામાન્ય લોકોના જીવનને હળવું બનાવવાનું અને તેમના ખર્ચમાં બચત લાવવાનું રહ્યું છે.
પીએમ મોદીએ ઉમેર્યું કે GST 2017માં લાગુ થયું ત્યારે તે ઘણા દાયકાઓનું સ્વપ્ન પૂરું થયેલું. તે સમયથી અત્યાર સુધી સતત સુધારા કરવામાં આવ્યા છે અને હવે GST 2.0 દ્વારા તે વધુ સરળ અને સર્વગ્રાહી બની ગયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આત્મનિર્ભર ભારત માટે આ પ્રકારના સુધારા અટકવાના નથી. GST 2.0 માત્ર કરની સરળતા જ નહીં, પરંતુ સમર્થન અને વિકાસનો ડબલ ડોઝ છે.
મોદીના જણાવ્યા અનુસાર, નવા સુધારા પછી ધનતેરસથી લઈને દિવાળી સુધીના તહેવારો વધુ આનંદમય બનશે કારણ કે ડઝનબંધ વસ્તુઓ પરના ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ નિર્ણય ભારતના દરેક પરિવારમાં ખુશી લાવશે અને લોકોના દૈનિક જીવનમાં આર્થિક રાહત પહોંચાડશે. નવા GST દરોથી દેશના અર્થતંત્રમાં નવો ઉમંગ આવશે અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં આ સુધારો માઈલસ્ટોન સાબિત થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel