અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેંટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલતી તપાસ બાદ આખરે રાજ્ય સરકારે સ્કૂલનો સમગ્ર વહિવટ સરકાર હસ્તક લઈ લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળા ગેરકાયદેસર રીતે ચાલી રહી હોવાનું અમદાવાદ શહેરના ડીઈઓની તપાસમાં બહાર આવતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું. ખાસ કરીને 19 ઓગસ્ટે ધોરણ-10ના એક વિદ્યાર્થી પર તેના જ ધોરણના અન્ય વિદ્યાર્થી દ્વારા તિક્ષ્ણ હથિયારથી હુમલો થતાં થયેલી હત્યાની ઘટનાના 119 દિવસ બાદ, ગેરરીતિ આચરનાર ખાનગી ટ્રસ્ટને સ્કૂલના સંચાલનમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ઠરાવ મુજબ અમદાવાદ શહેરના ડીઈઓને સ્કૂલના વહિવટદાર તરીકે નિમવામાં આવ્યા છે અને આગામી આદેશ સુધી સ્કૂલમાં નવું એકપણ એડમિશન નહીં આપવા સ્પષ્ટ સૂચના અપાઈ છે.
હત્યાની ઘટનાના પગલે વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને બીજા જ દિવસે સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી, જેના કારણે ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતું અને સમગ્ર કેમ્પસમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. ત્યારબાદ અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરી દ્વારા સ્કૂલની કાયદેસરતા અને માન્યતા અંગે તપાસ શરૂ કરાઈ હતી. બોર્ડ અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીની સૂચનાથી બે અલગ તપાસ કમિટીઓ રચાઈ હતી. શરૂઆતમાં સ્કૂલે ICSE બોર્ડ હેઠળ આવતી હોવાની દલીલ સાથે ડીઈઓ તપાસ કરી ન શકે તેમ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટના સ્પષ્ટ આદેશ બાદ RTE કાયદા અંતર્ગત નિયુક્ત કમિટીએ તપાસ આગળ ધપાવી. તપાસ દરમિયાન સ્કૂલ પાસેથી જરૂરી આધાર-પુરાવા માંગવામાં આવ્યા હતા, પરંતુ વારંવાર નોટિસ છતાં શાળાએ દસ્તાવેજો રજૂ ન કરતાં ગંભીર ખામીઓ બહાર આવી હતી.
તપાસમાં ખુલ્યું કે સ્કૂલ જે જગ્યાએ હાલમાં કાર્યરત છે તે જમીન AMC દ્વારા વર્ષ 2003માં ભાડાપટ્ટે અપાઈ હતી, પરંતુ તે સ્થળે ધોરણ 1થી 12 સુધી શાળા ચલાવવાની કોઈ માન્ય મંજૂરીના પુરાવા ઉપલબ્ધ નથી. મણીનગર (ચર્ચ) પૂર્વ વિસ્તારમાં ધોરણ 1-2 અને ત્યારબાદ વર્ષ 1981થી 1986 દરમિયાન ધોરણ 1થી 6 સુધીની મંજૂરી અલગ સ્થળે અપાઈ હતી, જ્યાં હાલમાં નાના બાળકો માટે શાળા ચાલે છે. જ્યારે હાલના મુખ્ય કેમ્પસમાં ધોરણ 1થી 12 ચલાવવાના આધાર-પુરાવા કમિટી સમક્ષ રજૂ થઈ શક્યા નહોતા. વધુમાં, પ્રાથમિક વિભાગ આસ્લોક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત હોવાનું જણાયું, જે મહારાષ્ટ્રમાં નોંધાયેલ ટ્રસ્ટ છે અને જેને માત્ર મહારાષ્ટ્ર રાજ્ય પૂરતું જ લઘુમતી પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. બીજી તરફ, FRCC સમક્ષ ફી મંજૂરી માટે રજૂ કરેલી દરખાસ્તમાં આસ્લોક એજ્યુકેશન સોસાયટી તેમજ ધ કાઉન્સિલ ઓફ સેવન્થ ડે એડવેંટિસ્ટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ – એમ અલગ-અલગ ટ્રસ્ટનો ઉલ્લેખ કરાયો હતો, જેના કારણે સંચાલન બાબતે ગંભીર અસ્પષ્ટતા સામે આવી.
આ તમામ ગેરરીતિઓ, શાળામાં પુસ્તકોનું વેચાણ અને નફાખોરી, શિફ્ટમાં શાળા ચલાવવા માટે મંજૂરીનો અભાવ, ભાડાકરારનો ભંગ અને ખોટા એફિડેવિટ તથા દસ્તાવેજો રજૂ કરી છેતરપિંડી કર્યાની નોંધ ડીઈઓના અહેવાલમાં કરવામાં આવી હતી. આ આધારે ડીઈઓએ સ્પષ્ટ ભલામણ કરી હતી કે સ્કૂલનું મેનેજમેન્ટ સરકાર હસ્તક લેવાય અથવા તો અન્ય યોગ્ય ટ્રસ્ટને સોંપવામાં આવે. ડીઈઓના રિપોર્ટને ધ્યાનમાં લઈને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને શિક્ષણ બોર્ડે પણ સરકારને તે જ ભલામણ કરી, જેના પરિણામે હવે સ્કૂલનો વહિવટ સરકાર હસ્તક લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં શાળાના સંચાલન, વિદ્યાર્થીઓના હિત અને ભવિષ્ય અંગે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.
સ્કૂલની આ પ્રકારની ગેરરીતિઓ સામે આવી હતી
- શાળાએ વધારાના વર્ગની મંજુરી માટે બોર્ડની મંજુરી લીધી નહોતી
- શાળાનું સંચાલન કયા ટ્રસ્ટ/સોસાયટીથી કાર્યરત છે, તે અસ્પષ્ટ છે
- શાળાના વહીવટ, ટ્રસ્ટ કે શાળાના પરિસરમાં કોઈપણ ફેરફાર કરવા બોર્ડની પૂર્વ મંજુરી લેવી પડે, પરંતુ આ સ્કૂલે કોઈ જ મંજુરી લીધી નહોતી
- શાળા પરિસરમાં પુસ્તકોનું વેચાણ કરી નફાખોરી કરવામાં આવતી હતી
- બે પાળીમાં શાળા ચલાવવા અંગેની મંજુરીના કોઈ આધાર સ્કૂલ પાસે નહોતા
- AMCએ જે ટ્રસ્ટને જમીન આપી એના બદલે સ્કૂલ સંચાલનમાં ટ્રસ્ટ જ અલગ હતું
- શાળામાં ત્રણ બિલ્ડીંગ ચાલતા હોવા છતાં મંજુરી માત્ર બે જ બિલ્ડીંગની હતી
- શાળા પાસે હાલના બાંધકામ મુજબનું બીયુ પરમીશન નહોતું
- ધો.૧૧-૧૨ સાયન્સની મંજુરી વખતે અન્ય કોઈ સ્કૂલ ચાલતી ન હોવાનું બોર્ડ સમક્ષ જુઠાણું ચલાવ્યુ હતુ
- શાળામાં કોલેજ શરૂ કરી દેવાઈ, પણ બોર્ડની NOC લેવાની તસ્દી જ ન લીધી
અમાન્ય શાળા ચલાવનાર પ્રિન્સીપાલ ડો.જી.ઈમેન્યુઅલ સામે FIR થશે?
અમાન્ય શાળા આટલા વર્ષોથી ચલાવનાર પ્રિન્સીપાલ કમ ટ્રસ્ટી ડૉ.જી.ઈમેન્યુઅલ સામે સરકાર પોલીસ ફરિયાદ કરશે કે કેમ એવી પણ ચર્ચાઈ જોર પકડયું છે. કારણ કે, સ્કૂલના સંચાલક ડૉ.જી.ઈમેન્યુઅલ પોતે જ ICSE બોર્ડમાં ચેરમેન હતા. જોકે તેમની સ્કૂલમાથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. પરંતુ ICSE બોર્ડમાં ચેરમેન પદથી હજુ સુધી હટાવવામાં આવ્યાં નથી. જેથી આટલી મોટી ગેરરીતિ અને છેતરપીંડી આચરનાર પ્રિન્સીપાલ સામે સરકાર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એ મોટો સવાલ છે ?
સ્કૂલની વાષિર્ક ફીમાં પણ ઘટાડો થશે
ખાનગી ટ્રસ્ટ દ્વારા સંચાલતી આ સ્કૂલે મળવાપાત્ર ફી કરતાં વધુ ફી મંજુર કરાવી શકાય એ માટે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)માં ખોટા એફિડેવિટ કર્યા હોવાની પણ પોલ ખુલી હતી. જેથી હવે સ્કૂલનો સમગ્ર વહિવટ સરકાર હસ્તક ગયો હોવાથી આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની વાર્ષિક ફીમા પણ ઘટાડો થવાની શક્યતા જણાય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel