સંસદના બજેટ સત્ર દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી સતત ચાલી રહેલા હોબાળાને કારણે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા હજુ સુધી શરૂ થઈ શકી નથી. આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગ્યે લોકસભામાં અભિભાષણ પર ચર્ચા દરમિયાન જવાબ આપવાના હતા, પરંતુ વિપક્ષના ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચારને કારણે તેમનું સંબોધન ટળી ગયું. પરિસ્થિતિ બેકાબૂ બનતાં પીઠાસીન અધિકારી સંધ્યા રાયે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી માટે સ્થગિત કરી દીધી.
પુસ્તકોને લઈને વિવાદ, વિપક્ષ વેલમાં ઉતર્યું
સાંજે 5 વાગ્યે ગૃહ શરૂ થતા જ વિપક્ષી સાંસદો બેનરો લઈને વેલમાં ઘસી આવ્યા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યો. આ પહેલાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ગૃહમાં નહેરુ પરિવાર પર નિશાન સાધતા અનેક પુસ્તકો લહેરાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આ પુસ્તકોમાં નહેરુ પરિવારની ગદ્દારી, ભ્રષ્ટાચાર અને મક્કારીના કિસ્સાઓ દર્શાવવામાં આવ્યા છે. તેમણે એડવિના-નહેરુ સંબંધો, સોનિયા ગાંધીના શાસનકાળ અને ઈન્દિરા ગાંધી સંબંધિત પુસ્તકોનો ઉલ્લેખ કર્યો હતો.
આ દરમિયાન વિપક્ષી સભ્યોએ ભારે વિરોધ કરતા પીઠાસીન અધિકારી તરફ કાગળના ટુકડા ફેંક્યા, જેના કારણે ગૃહની કાર્યવાહી વધુ અવરોધિત થઈ.
સ્પીકર ઓમ બિરલાની કડક ટિપ્પણી
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષના વર્તન પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે વિરોધ કરવાની એક રીત હોય છે, જે શબ્દો અને તર્ક દ્વારા થવી જોઈએ. તેમણે કહ્યું, “સભાગૃહનું અપમાન દેશ જોઈ રહ્યો છે. તમે ગૃહને દબાણમાં મૂકી શકતા નથી.” સ્પીકરની આ ટિપ્પણી બાદ પણ વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો.
રાજ્યસભામાં ખડગેના આકરા પ્રહાર
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ લોકસભામાં થયેલા ઘટનાક્રમની ટીકા કરી. તેમણે કહ્યું કે દેશના નિર્માણમાં યોગદાન આપનારા મહાન નેતાઓ સામે પુસ્તકો લહેરાવીને અપમાન કરવામાં આવ્યું છે. ખડગેએ ભાજપ પર ઝેર ઓકવાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો.
ખડગેએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે “વાસ્કો ડી ગામાને ભારત પહોંચવામાં જેટલો સમય લાગ્યો, એટલો જ સમય પીએમ મોદીને મણિપુર પહોંચવામાં લાગ્યો.” તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે સંઘ અને ભાજપે છેલ્લા 100 વર્ષમાં ક્યારેય કોઈ મહિલાને નેતૃત્વ આપ્યું નથી.
ભાજપનો વળતો પ્રહાર અને કોંગ્રેસનો વોકઆઉટ
ખડગેના નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે એક ગૃહની કાર્યવાહી બીજા ગૃહમાં ચર્ચાસ્પદ બની શકતી નથી અને તે રેકોર્ડ પર લેવામાં આવશે નહીં. આ પછી કોંગ્રેસના સભ્યોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો.
અમેરિકન ટ્રેડ ડીલ પર નિવેદન
આ દરમ્યાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ ડીલમાં ભારતના સંવેદનશીલ ક્ષેત્રોના હિતોનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે અમેરિકા દ્વારા ભારત પર લાગુ કરાયેલા ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે. જેપી નડ્ડાએ ઉમેર્યું કે ગોયલ બીમાર હોવા છતાં નિવેદન આપવા આવ્યા હતા, પરંતુ લોકસભા ન ચાલતા તેમણે રાજ્યસભામાં નિવેદન આપ્યું.
રાહુલ ગાંધીનો સરકાર પર હુમલો
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પૂર્વ સેનાધ્યક્ષ જનરલ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતા સરકાર પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે પુસ્તકમાં લખ્યું છે કે પીએમ મોદીએ સંરક્ષણ મંત્રીને “જે યોગ્ય લાગે તે કરો” કહ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને નથી લાગતું કે વડાપ્રધાન આજે સંસદમાં આવવાની હિંમત કરશે. આ સાથે જ લોકસભા સ્પીકરની ઓફિસમાં પણ સત્તાધારી અને વિપક્ષી સાંસદો વચ્ચે પુસ્તકોને લઈને ઉગ્ર દલીલો થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel