રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલ ગભરાવાની કોઈ જરૂર નથી. રાજ્યના નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના પુરવઠા વિભાગ પાસે હાલમાં લગભગ 4,16,500 ગેસ સિલિન્ડરનો જથ્થો ઉપલબ્ધ છે. આ સાથે રાજ્ય સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને શુક્રવારે સાંજે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં ઉપલબ્ધ રાંધણ ગેસના જથ્થા અને ભવિષ્યમાં તેની ઉપલબ્ધતા અંગે ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રીએ જાહેર નિવેદનમાં લોકોને અપીલ કરી કે અફવાઓમાં આવીને ગેસ સિલિન્ડર માટે દોડાદોડી કરવાની જરૂર નથી, પરંતુ ગેસ અને વીજળીનો વપરાશ સમજદારીપૂર્વક કરવો જોઈએ.
સિલિન્ડર બુકિંગ નિયમમાં ફેરફાર
ગેસનો જથ્થો મર્યાદિત હોવાને ધ્યાનમાં રાખીને સરકારે બીજો LPG સિલિન્ડર બુક કરાવવાનો ગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરી દીધો છે. સરકારના સૂત્રો મુજબ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે ભવિષ્યમાં ગેસ સપ્લાય અંગે અનિશ્ચિતતા રહી શકે છે. આ કારણસર ઉપલબ્ધ જથ્થાનો સચોટ ઉપયોગ થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.
PNG કનેક્શન માટે ખાસ નિર્ણય
જે વિસ્તારોમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) નેટવર્ક ઉપલબ્ધ છે ત્યાં રેસ્ટોરન્ટ, હોટેલ, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક-ધાર્મિક સંસ્થાઓને નવા PNG ગેસ કનેક્શન તાત્કાલિક અસરથી આપવા માટે સૂચના આપવામાં આવી છે. આ પગલાથી રાંધણ ગેસ પરનો ભાર ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
કાળાબજારી રોકવા ખાસ સમિતિ
રાજ્યમાં ગેસ સિલિન્ડરની કાળાબજારી અટકાવવા માટે નાગરિક પુરવઠા સચિવ મોના ખંધારને રાજ્ય સ્તરની સમિતિની અધ્યક્ષા બનાવવામાં આવી છે. જ્યારે જિલ્લા સ્તરે કલેક્ટર અધ્યક્ષ તરીકે ચેકિંગ અભિયાન ચલાવશે અને ગેરરીતિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ગેસ અને વીજળી બચાવવા સરકારની અપીલ
સરકારે નાગરિકોને ગેસ અને ઊર્જા બચાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા છે:
- રાંધણ ગેસ બચાવવા માટે પ્રેશર કૂકરનો વધુ ઉપયોગ કરવો.
- દાળ, ચોખા અને કઠોળને પહેલા પલાળી પછી બાફવા.
- શક્ય હોય ત્યાં સોલર કૂકર જેવા વૈકલ્પિક ઊર્જાસ્રોતોનો ઉપયોગ કરવો.
- વીજળી બચાવવા માટે ACનું તાપમાન 25°C અથવા તેથી વધુ રાખવું.
- પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કારપૂલિંગનો ઉપયોગ કરવો.
ગુજરાતે મગાવ્યું કેરોસિન
ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી ‘ઝીરો કેરોસિન સ્ટેટ’ તરીકે ઓળખાય છે, કારણ કે રેશનિંગમાં રાંધવા માટે કેરોસિન આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. જોકે હાલ ગેસની મર્યાદિત સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ભારત સરકાર પાસેથી 14.52 લાખ લિટર કેરોસિન એડહોક ક્વોટા તરીકે મગાવ્યું છે.
સરકારના નિર્ણય અનુસાર ગ્રામીણ અને આદિજાતિ વિસ્તારોમાં ગરીબ પરિવારોને પ્રતિ મહિનો 5 લિટર કેરોસિન, જ્યારે શાળાઓ, હોસ્ટેલો, ઔદ્યોગિક એકમો અને સેવાભાવી સંસ્થાઓને 25 લિટર સુધી કેરોસિન આપવામાં આવશે. દરેક જિલ્લામાં અંદાજે 36 હજાર લિટર કેરોસિન ફાળવવામાં આવશે.
વિતરણ માટે પડકાર
જાહેર વિતરણ એજન્સીઓએ સરકારને જણાવ્યું છે કે ગુજરાત લાંબા સમયથી ઝીરો કેરોસિન સ્ટેટ હોવાથી ઘણી એજન્સીઓએ સ્ટોરેજ સાધનો અને વાહનો વેચી દીધા છે. તેથી જો સરકાર રાહત દરે કેરોસિન વિતરણ શરૂ કરવા માંગે તો સ્ટોરેજ અને પરિવહન માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવા પડશે.
રાજ્ય સરકાર હાલ ગેસ અને ઊર્જા પુરવઠા અંગેની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને આવનારા સમયમાં કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે પૂર્વ તૈયારીરૂપે વિવિધ પગલાં લઈ રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel