ગુજરાતમાં પોલીસ અને જનતા વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યભરના નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનો સ્થાનિક સ્તરે ઝડપી અને અસરકારક નિકાલ થાય તે માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ સામાન્ય લોકોને પોતાની ફરિયાદો માટે ગાંધીનગર અથવા ઉચ્ચ કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને સ્થાનિક સ્તરે જ યોગ્ય ન્યાય અને જવાબદારી મળી રહે તેવો છે. રાજ્ય પોલીસ તંત્રને વધુ પ્રજાલક્ષી અને જવાબદાર બનાવવા માટે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
CP, SP અને ઉચ્ચ અધિકારીઓ માટે ફરજિયાત મુલાકાત સમય
DGPના આદેશ અનુસાર હવે રાજ્યના તમામ પોલીસ કમિશનર (CP), રેન્જ આઈજી, ડીઆઈજી અને જિલ્લા પોલીસ વડા (SP) સહિતના ઉચ્ચ અધિકારીઓએ દરરોજ બપોરે 12:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી પોતાની કચેરીમાં ફરજિયાત હાજર રહેવું પડશે.
આ સમયગાળા દરમિયાન તેઓએ વ્યક્તિગત રીતે નાગરિકોની રજૂઆતો સાંભળવાની રહેશે. જો કોઈ કારણસર મુખ્ય અધિકારી હાજર ન હોય તો કચેરીના સિનિયર અધિકારીએ ફરિયાદો અને અરજીઓ સ્વીકારવાની રહેશે.
રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિકનો પ્રજાલક્ષી આદેશ…
પોલીસ કમિશનરથી લઈને PI સુધીના અધિકારીઓ દરરોજ બે કલાક ફરજિયાત નાગરિકોને સાંભળશે, સ્થાનિક સ્તરે જ થશે પ્રશ્નોનો નિકાલ; સ્થાનિક કક્ષાએ અરજદારોને સાંભળીને મહત્તમ 15 દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવા રાજ્યના પોલીસ વડાશ્રીની કડક… pic.twitter.com/bP3gcEcogI
— Gujarat Information (@InfoGujarat) June 11, 2026
PI માટે સાંજે 4 થી 6 વાગ્યાનો ખાસ સમય
સ્થાનિક સ્તરે લોકો સાથે સીધા સંપર્કમાં રહેતા પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) અને પોલીસ સ્ટેશનના અધિકારીઓ માટે અલગ સમય નક્કી કરવામાં આવ્યો છે.
કારણ કે સવારના સમયે PI અને અન્ય અધિકારીઓ કોર્ટની કાર્યવાહી, તપાસ અથવા મેદાની કામગીરીમાં વ્યસ્ત રહેતા હોય છે, તેથી હવે તેમને દરરોજ સાંજે 4:00 વાગ્યાથી 6:00 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહીને લોકોની ફરિયાદો સાંભળવાની રહેશે.
આ વ્યવસ્થા દ્વારા સામાન્ય નાગરિકોને પોલીસ અધિકારીઓ સુધી સરળતાથી પહોંચવાની તક મળશે.
ફરિયાદોના નિકાલ માટે નક્કી કરાઈ સમયમર્યાદા
પોલીસ વડા દ્વારા ફરિયાદોના નિકાલ માટે સ્પષ્ટ સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે.
નવી ગાઈડલાઈન મુજબ:
- સામાન્ય પ્રકારની અરજીઓ અને ફરિયાદોનો મહત્તમ 15 દિવસમાં નિકાલ કરવો પડશે.
- આર્થિક ગુનાઓ, પારિવારિક વિવાદો, તબીબી બેદરકારી અને ભ્રષ્ટાચાર સંબંધિત જટિલ ફરિયાદોનો વધુમાં વધુ 6 અઠવાડિયામાં નિકાલ કરવો પડશે.
આ નિર્ણયથી વર્ષો સુધી લંબાતી ફરિયાદોની સમસ્યા ઘટાડવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગંભીર ગુનામાં તાત્કાલિક FIR નોંધવાનો આદેશ
DGPએ સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ અરજીની પ્રાથમિક તપાસ દરમિયાન જો ગંભીર અને કાયદેસર ગુનો બન્યો હોવાનું સામે આવે તો પોલીસ અધિકારીઓએ વિલંબ કર્યા વિના તાત્કાલિક FIR નોંધવી પડશે.
કોઈપણ પ્રકારની ઢીલાશ અથવા બેદરકારી સ્વીકારવામાં આવશે નહીં અને કાયદાકીય કાર્યવાહી તરત જ શરૂ કરવાની રહેશે.
પારદર્શિતા માટે વિશેષ રજિસ્ટર રાખવું ફરજિયાત
વહીવટી પારદર્શિતા જળવાઈ રહે તે માટે દરેક પોલીસ કચેરી અને પોલીસ સ્ટેશનમાં વિશેષ રજિસ્ટર રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
આ રજિસ્ટરમાં અરજદારનું નામ, સંપર્ક વિગતો, અરજીનો પ્રકાર, તપાસની સ્થિતિ અને નિકાલની તારીખ જેવી વિગતો નોંધવામાં આવશે. જેના કારણે ફરિયાદોની મોનીટરિંગ વધુ સરળ બનશે.
બેદરકારી સામે કડક કાર્યવાહી થશે
DGP જી.એસ. મલિકે તમામ અધિકારીઓને ચેતવણી આપી છે કે દરેક ફરિયાદની તપાસ સંપૂર્ણ નિષ્પક્ષતા અને ન્યાયસંગત રીતે થવી જોઈએ.
જો કોઈ અધિકારી આ સૂચનાઓનું પાલન નહીં કરે, બેદરકારી દાખવશે અથવા ફરિયાદોના નિકાલમાં વિલંબ કરશે તો તેના વિરુદ્ધ કડક વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.
આ નવી વ્યવસ્થા અમલમાં આવવાથી સામાન્ય નાગરિકોનો સમય બચશે, ફરિયાદોના ઝડપી ઉકેલ આવશે અને પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel