ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા કલેક્ટર ગંગાસિંઘે નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમ અને જળાશયની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે ડેમની વર્તમાન સ્થિતિ, જળસંગ્રહ, પાણીની આવક અને સંચાલન સંબંધિત જરૂરી વિગતો મેળવી અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપી હતી.
જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓ સાથે ડેમના સંચાલન અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે કરજણ ડેમમાંથી પાણી છોડવાની જરૂરિયાત ઊભી થાય તો ડેમના નીચાણવાળા વિસ્તારો અને નાંદોદ તાલુકાના ગામોમાં રહેતા લોકોને સમયસર આગોતરી જાણ કરવામાં આવે.
તેમણે સ્થાનિક વહીવટીતંત્રને પરિસ્થિતિ પર સતત નજર રાખવા, જરૂરી તકેદારીના પગલાં લેવા અને ગ્રામજનો સુધી સત્તાવાર ચેતવણી ઝડપથી પહોંચાડવા સૂચના આપી હતી.
નદીના પટ અને કિનારાથી દૂર રહેવા અપીલ
જિલ્લા કલેક્ટરે નાગરિકોને ભારે વરસાદ દરમિયાન નદીના પટમાં અવરજવર ન કરવા, નદી કિનારે બિનજરૂરી ભીડ એકત્રિત ન કરવા અને પશુઓને પણ નદી તરફ ન લઈ જવા અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે વરસાદી પરિસ્થિતિમાં નદીના જળસ્તરમાં અચાનક વધારો થઈ શકે છે. તેથી નાગરિકોએ પોતાની તથા પરિવારની સલામતીને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
અફવાઓથી દૂર રહેવા સૂચના
કલેક્ટર ગંગાસિંઘે લોકોને કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરવા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરવા અનુરોધ કર્યો હતો.
અધિકારીઓને ડેમના જળસ્તર, પાણીની આવક અને હવામાનની સ્થિતિ અંગે સતત માહિતી મેળવવા તેમજ જરૂરિયાત મુજબ ગામોના સરપંચો અને સ્થાનિક તંત્ર સાથે સંકલન જાળવવા સૂચના આપવામાં આવી હતી.
કલેક્ટરની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ડેમની સલામતી, જળસંચાલન અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષા માટે તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવાનો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel