મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય ભૂકંપ આવવાના સંકેતો મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)માં મોટા ભંગાણની અટકળો વચ્ચે ગુરુવારે દિલ્હીમાં સંસદ ભવન ખાતે મહત્વપૂર્ણ સંસદીય બેઠક યોજાઈ હતી. જોકે પક્ષ દ્વારા કડક વ્હીપ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં બેઠકમાં 9માંથી માત્ર 3 લોકસભા સાંસદો જ હાજર રહ્યા હતા.
આ ઘટનાએ શિવસેના (UBT)ની આંતરિક એકતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે પક્ષમાં વધુ એક મોટું વિભાજન હવે માત્ર ઔપચારિકતા બની શકે છે.
6 સાંસદોની ગેરહાજરીએ વધારી અટકળો
બેઠક માટે સવારે 11 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ પક્ષના કુલ 9 લોકસભા સાંસદોમાંથી માત્ર અનિલ દેસાઈ, અરવિંદ સાવંત અને રાજાભાઉ વાજે જ બેઠકમાં હાજર રહ્યા હતા.
બળવાખોર કેમ્પનો ભાગ હોવાનું માનવામાં આવતા 6 સાંસદો બેઠકથી સંપૂર્ણપણે દૂર રહ્યા હતા. તેમની ગેરહાજરીને કારણે શિંદે જૂથમાં તેમના જોડાવાની અટકળોને વધુ બળ મળ્યું છે.
સંજય રાઉતનો પ્રહાર: ‘જે આવ્યા તે આપણા, બાકીના ગદ્દાર’
બેઠક દરમિયાન હાજરીની ચોક્કસ નોંધણી માટે વિશેષ એટેન્ડન્સ રજિસ્ટર તૈયાર કરવામાં આવ્યું હતું. બેઠકમાં હાજર રહેલા શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મીડિયા સાથે વાતચીત દરમિયાન ગેરહાજર સાંસદો પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યો.
રાઉતે કહ્યું કે, “જે લોકો બેઠકમાં આવ્યા છે તે જ અસલી શિવસૈનિકો છે. જે લોકો હાજર રહ્યા નથી તેઓ ગદ્દાર અને અપ્રમાણિક છે.” તેમના આ નિવેદનથી પક્ષની અંદરની ખાઈ વધુ સ્પષ્ટ બની ગઈ છે.
પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહીનો સંકેત
શિવસેના (UBT)ના મુખ્ય પ્રવક્તા અરવિંદ સાવંતે બેઠક પહેલાં જ તમામ સાંસદોને વ્હીપ જાહેર કર્યો હતો. તેમણે સંકેત આપ્યા હતા કે જો કોઈ સાંસદ પક્ષના આદેશનું પાલન નહીં કરે તો તેમની સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી શરૂ થઈ શકે છે.
રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આગામી દિવસોમાં આ મામલો લોકસભા સ્પીકર સુધી પહોંચી શકે છે.
‘જ્યાં ઠાકરે, ત્યાં જ અસલી શિવસેના’
દિલ્હીમાં યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સંજય રાઉત અને અરવિંદ સાવંતે એકનાથ શિંદેના જૂથને અસલી શિવસેના ગણવાનો ઇનકાર કર્યો હતો.
રાઉતે કહ્યું કે શિવસેનાની ઓળખ હંમેશા ઠાકરે પરિવારના નેતૃત્વ સાથે જોડાયેલી રહી છે. “જ્યાં ઠાકરે છે, ત્યાં જ અસલી શિવસેના છે,” એમ તેમણે સ્પષ્ટ જણાવ્યું. તેમણે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય એજન્સીઓ પર પણ રાજકીય દબાણના આરોપો લગાવ્યા.
શિંદે કેમ્પનો દાવો: ‘ઓપરેશન ટાઈગર સફળ’
બીજી તરફ એકનાથ શિંદેના નેતાઓ આ સમગ્ર ઘટનાને પોતાની રાજકીય જીત તરીકે રજૂ કરી રહ્યા છે.
શિંદે જૂથના MLC ચંદ્રકાંત રઘુવંશીએ દાવો કર્યો કે ‘ઓપરેશન ટાઈગર’ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે અને ઉદ્ધવ ઠાકરેના 6 સાંસદોએ શિંદેના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે આ સાંસદોના આગમનથી શિવસેના અને મહાયુતિ ગઠબંધન વધુ મજબૂત બનશે.
લોકસભા સ્પીકરને સોંપાયો વિલીનીકરણનો પત્ર?
રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ બળવાખોર સાંસદોએ શિંદે જૂથના નેતાઓની હાજરીમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મુલાકાત કરી હતી.
ચર્ચા એવી છે કે આ સાંસદોએ શિંદે જૂથ સાથેના વિલીનીકરણને માન્યતા આપવા માટેનો પત્ર પણ સોંપ્યો છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું કે હવે આ મામલો સંપૂર્ણપણે લોકસભા સ્પીકરના કાર્યક્ષેત્રમાં છે અને અંતિમ નિર્ણય તેઓ જ લેશે.
રામદાસ આઠવલેનો ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ સમગ્ર ઘટનાને ઉદ્ધવ ઠાકરેના 2019ના રાજકીય નિર્ણયનું પરિણામ ગણાવ્યું છે.
આઠવલેએ કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરેએ 2019માં ભાજપ સાથે રહીને દેવેન્દ્ર ફડણવીસને સમર્થન આપ્યું હોત અને ડેપ્યુટી મુખ્યમંત્રી પદ સ્વીકાર્યું હોત તો આજે આ પરિસ્થિતિ સર્જાઈ ન હોત. તેમણે એવો પણ દાવો કર્યો કે 6 સાંસદોના જોડાવાથી NDA અને મહાયુતિ વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં વિરોધ પક્ષોના અન્ય નેતાઓ પણ NDA તરફ આકર્ષાઈ શકે છે.
મહારાષ્ટ્રની રાજનીતિમાં આગામી દિવસો નિર્ણાયક
શિવસેના (UBT)માં સર્જાયેલી હાલની પરિસ્થિતિ મહારાષ્ટ્રની રાજનીતિ માટે મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે. જો 6 સાંસદો સત્તાવાર રીતે શિંદે જૂથમાં જોડાય છે તો ઉદ્ધવ ઠાકરે માટે આ સૌથી મોટો રાજકીય ઝટકો ગણાશે. હવે તમામની નજર લોકસભા સ્પીકરના નિર્ણય અને બળવાખોર સાંસદોના આગામી પગલાં પર ટકેલી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel