ગુજરાત વિધાનસભામાં Uniform Civil Code (UCC) બિલ રજૂ થવાની તૈયારીઓ વચ્ચે આજે રમજાન ઈદના પવિત્ર દિવસે અમદાવાદ શહેરમાં વિરોધનો માહોલ જોવા મળ્યો હતો. All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શહેરની જુમ્મા મસ્જિદ બહાર UCC બિલના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ “UCC હટાવો, દેશ બચાવો” અને “UCC રદ કરો” જેવા સૂત્રો લખેલા બેનરો સાથે સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. કેટલાક પ્રદર્શનકારીઓએ આ બિલ લિવ-ઇન સંબંધોને પ્રોત્સાહન આપે છે એવી દલીલ પણ રજૂ કરી હતી.
પોલીસ પરવાનગી વિના પ્રદર્શન, તમામની અટકાયત
આ વિરોધ પ્રદર્શન માટે પોલીસની પૂર્વ મંજૂરી લેવામાં આવી નહોતી. જેના કારણે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને તમામ પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લઈને અટકાયત કરી હતી, જેથી કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય.
મહિલાઓએ વ્યક્ત કરી ધાર્મિક અને સાંસ્કૃતિક ચિંતા
વિરોધમાં સામેલ કેટલીક મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ પોતાની શરિયતના નિયમો મુજબ જીવન જીવવા ઈચ્છે છે અને UCC બિલ તેમની ધાર્મિક માન્યતાઓ સામે છે. એક મહિલાએ જણાવ્યું કે “અમારી શરિયત આ પ્રકારના કાયદાને મંજૂરી આપતી નથી, તેથી અમે તેનો વિરોધ કરીએ છીએ.” તેમણે સરકારને UCC બિલ રદ કરવાની માંગ પણ કરી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું કે “ઉત્તરાખંડમાં ભલે વિરોધ ન થયો હોય, પરંતુ અમે ગુજરાતમાં રહીએ છીએ અને અહીં અમારી સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓનું રક્ષણ કરવા માટે વિરોધ કરીશું.” પ્રદર્શનકારીઓએ આ બિલને દેશની સંસ્કૃતિ વિરુદ્ધ ગણાવીને તેને નાબુદ કરવાની માંગ કરી હતી.
UCC બિલ અંગે મુખ્ય જોગવાઈઓ શું છે?
ગત 18 માર્ચે ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં UCC બિલ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને હવે આ બિલ વિધાનસભામાં રજૂ થવાનું છે. UCCના ડ્રાફ્ટમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવી જોગવાઈ મુજબ રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. નોંધણી ન કરાવાય તો લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ નોંધણી ન કરાવનારને ₹10,000 થી ₹25,000 સુધીનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત, UCC લાગુ થવા પહેલા થયેલા લગ્ન માટે પણ નોંધણી પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.
વારસા સંબંધિત જોગવાઈઓમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર સૂચવવામાં આવ્યા છે. બિન-વસીયતીના મૃત્યુના કિસ્સામાં મિલકત માતા-પિતા, પત્ની/પતિ અને બાળકો વચ્ચે સમાન હિસ્સામાં વહેંચાશે. આથી વારસાગત હક્કોમાં સમાનતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
UCC બિલ હાલ ગુજરાતમાં રાજકીય અને સામાજિક ચર્ચાનો કેન્દ્ર બની ગયું છે. એક તરફ સરકાર તેને સમાનતા અને પારદર્શિતાનો મહત્વપૂર્ણ પગલું ગણાવે છે, તો બીજી તરફ કેટલાક સમાજ અને સંગઠનો દ્વારા ધાર્મિક સ્વતંત્રતા પર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel