નડિયાદમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ રાજ્યવ્યાપી સ્તરે પણ ભારે ચર્ચા જગાવી છે. હિંદુ સંગઠનોના આક્ષેપો મુજબ શહેરમાં ખ્રિસ્તી ધર્માંતરણની ગતિવિધિઓ ચાલી રહી હતી અને આ સંબંધમાં પોલીસને ફરીયાદ આપવામાં આવી હતી. પોલીસએ ફરિયાદના આધારે સ્ટિવન મેકવાન અને સ્મિથ મેકવાન વિરુદ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ 4(1) અને 4(2) હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે, હજુ સુધી પોલીસે સ્પષ્ટ કર્યું નથી કે ધર્માંતરણની કાર્યવાહી વાસ્તવમાં ચાલી રહી હતી કે નહીં અને તે દિશામાં તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.
વિશેષ વાત એ છે કે આ સમગ્ર મામલો તાજેતરનો જ નહીં પરંતુ અગાઉની ઘટનાઓ સાથે પણ જોડાયેલો છે. હિંદુ સંગઠનોના નેતાઓના જણાવ્યા મુજબ, 28 ઑગસ્ટે પણ નડિયાદની અર્બુદા હોટેલના એક હૉલમાં લગભગ 150 લોકો ભેગા થયા હતા અને ત્યાં ખ્રિસ્તી ધર્માંતરણની ગતિવિધિઓ ચાલી રહી હોવાના વાવડ મળ્યા હતા. બજરંગદળના નડિયાદ જિલ્લા સંયોજક કેયૂર પટેલે દાવો કર્યો કે તેઓ હોટેલ પર પહોંચ્યા ત્યારે અંદર ઈસાઈ ગીતો વાગી રહ્યાં હતાં, એક યુવાન ધૂણી રહ્યો હતો અને સ્ટેજ પર બેઠેલા સ્ટિવન મેકવાન મહિલાઓને કહી રહ્યાં હતાં કે “તમારા શરીરમાં ઈસુ પ્રવેશી ગયા છે અને હવે તમારું શરીર પવિત્ર થઈ ગયું છે.” સંગઠનના કાર્યકર્તાઓ અનુસાર ત્યાં હાજર વિદ્યાર્થીઓ સ્કૂલના યુનિફોર્મમાં જોવા મળ્યા હતા અને તેમને ખાસ ‘પ્રેયર’ માટે અહીં લાવવામાં આવ્યા હતા.
પટેલે એવો પણ દાવો કર્યો કે, જ્યારે કાર્યકર્તાઓએ પ્રશ્ન કર્યો ત્યારે આયોજકોના ઈશારાથી કેટલાક બાળકો ચૂપ રહી ગયા અને તરત જ હૉલની લાઇટો બંધ કરી દેવામાં આવી. ત્યારબાદ આયોજકો દ્વારા કાર્યક્રમ અચાનક બંધ કરી દેવામાં આવ્યો અને પાછળના દરવાજેથી હાજર લોકોને ભાગાડી દેવાયા. સંગઠનોનો આક્ષેપ છે કે આ દરમિયાન ભાગવાના પ્રયાસમાં આરોપીઓએ તેમની કાર કાર્યકર્તાઓ પર ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. સંગઠનોએ આ તમામ ઘટનાઓના વિડીયો, સીસીટીવી અને રેકોર્ડીંગ પોલીસને પુરાવા તરીકે આપ્યા હોવાની વાત પણ કરી છે.
પરંતુ સંગઠનના આક્ષેપ મુજબ, પોલીસે 28 ઑગસ્ટની આ ઘટનાની અરજી મળ્યા બાદ પણ 14 દિવસ સુધી કોઈ કાર્યવાહી કરી નહોતી. કેયૂર પટેલે જણાવ્યું કે, જો પોલીસે તે સમયે યોગ્ય પગલાં લીધા હોત તો 14 દિવસ બાદ ફરીથી એવી જ ઘટના નડિયાદમાં ઘટી ન હોત. સંગઠનોનો આક્ષેપ છે કે પોલીસે બેદરકારી દાખવી અને આરોપીઓને ખુલ્લું મેદાન આપ્યું.
તાજેતરમાં આશીર્વાદ સોસાયટીમાં બનેલી ઘટનામાં પણ હિંદુ સંગઠનોનો આક્ષેપ છે કે અહીં પંચમહાલ અને અન્ય રાજ્યોમાંથી લગભગ 50 યુવાનોને બોલાવીને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને આર્થિક પ્રલોભન આપી ધર્માંતરણ માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ માહિતી મળ્યા બાદ સંગઠને પોલીસે ફરિયાદ કરી હતી, જેના આધારે તાત્કાલિક FIR નોંધવામાં આવી.
હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે પોલીસે પહેલી અરજી પર કાર્યવાહી ન કરીને મોટી બેદરકારી દાખવી છે. સંગઠને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો અગાઉની અરજીની તપાસ હાથ ધરવામાં નહીં આવે તો તેઓ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને ઉગ્ર આંદોલન શરૂ કરશે. સાથે સાથે સંગઠનોએ RTI અરજી કરીને પણ પોલીસ પાસેથી જવાબ માંગ્યો છે કે 14 દિવસ વીતી ગયા બાદ પણ તેઓએ શા માટે કોઈ કાર્યવાહી કરી નહોતી.
પોલીસ અધિકારીઓનો વલણ પણ આ સમગ્ર ઘટનામાં પ્રશ્નો ઊભા કરે છે. પહેલા નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના PI વાઘેલાએ સંગઠનની અરજી મળી હોવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પછી સ્વીકાર્યું કે અરજી મળી હતી, જો કે તેમની દલીલ હતી કે તપાસ દરમિયાન ધર્માંતરણની કોઈ હકીકત સામે આવી નહોતી, એટલે FIR નોંધાઈ નહોતી. બીજી તરફ, તાજેતરની ઘટનામાં તો FIR નોંધાઈ ગઈ છે, જે પોતે જ ઘણા સવાલો ઉભા કરે છે. નડિયાદ પશ્ચિમના PI ચૌધરીએ પણ સમાન જવાબ આપતાં કહ્યું કે હાલની તપાસ DySP કરી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં સંગઠનોનો આરોપ છે કે પોલીસ જાનીજોઇને મુદ્દાને દબાવી રહી છે અને આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમ છતાં તાજેતરમાં નોંધાયેલી FIR સાથે હવે તપાસ કઈ દિશામાં આગળ વધશે તે જોવું રહ્યું. આ કેસે રાજ્યમાં ધર્માંતરણના મુદ્દે ફરી એકવાર ગરમાવો ઊભો કર્યો છે અને હવે લોકોની નજર નડિયાદ પોલીસની આગળની કાર્યવાહીની દિશામાં છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel