ગુજરાત સરકારે રાજ્યમાં 5 એપ્રિલ 2026થી શરૂ થનારી વસ્તી ગણતરીની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે સમગ્ર વહીવટીતંત્ર હાલ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત છે.
રાજ્યમાં 26 એપ્રિલે નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે, જેના કારણે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા છે. આ સ્થિતિમાં વસ્તી ગણતરી જેવી વિશાળ અને જટિલ પ્રક્રિયા પર અસર પડી શકે તેમ હોવાથી જનગણના વિભાગે સરકારને પ્રક્રિયા મોકૂફ રાખવાની દરખાસ્ત કરી હતી.
સરકારે આ દરખાસ્તને સ્વીકારી સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. હવે સ્થાનિક ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ નવી તારીખો અને સમયપત્રક જાહેર કરવામાં આવશે. આ નિર્ણયથી વસ્તી ગણતરી વધુ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે તેવી અપેક્ષા છે.
ખાસ વાત એ છે કે વર્ષ 2026ની વસ્તી ગણતરી ભારતની પહેલી સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી રહેશે. આ વખતે પરંપરાગત કાગળની જગ્યાએ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવશે. દરેક મકાનનું લોકેશન ડિજિટલ મેપ પર નોંધાશે, જેથી કોઈ ઘર ગણતરીમાં બાકી ન રહે કે બે વખત નોંધાય નહીં.
નાગરિકોને પણ પોતે ઓનલાઈન માહિતી ભરવાની સુવિધા આપવામાં આવશે, જેનાથી પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બનશે. દેશમાં અન્ય રાજ્યોમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ ગુજરાત માટે નવી તારીખો ચૂંટણી બાદ જાહેર થવાની છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel