ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપાયેલા ત્રણ ISIS સંલગ્ન આતંકવાદીઓના કેસને હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવ્યો છે. આ આતંકીઓ દેશમાં મોટા આતંકવાદી હુમલાની સાજિશ રચી રહ્યા હતા, જેમાં અત્યંત ઘાતક બાયોલોજિકલ ઝેર ‘રાઈસિન’નો ઉપયોગ કરવાનો ઇરાદો હતો. કેસની ગંભીરતા, આંતરરાષ્ટ્રીય કડીઓ અને સંભવિત વ્યાપક અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તપાસ NIAને સોંપવાનો નિર્ણય કર્યો છે.
NIAએ આ મામલે ઔપચારિક રીતે FIR નોંધી તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે ગુજરાત ATSએ અડાલજ–ઝુંડાલ હાઇવે નજીક કાર્યવાહી કરીને ડૉ. અહેમદ મોહિયુદ્દીન સૈયદ, મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાન અને આઝાદ સુલેમાન શેખને ધરપકડ કર્યા હતા. આરોપીઓ પાસેથી ત્રણ પિસ્તોલ, 30 કારતૂસ, કેસ્ટર ઓઇલ (રાઈસિન ઝેર બનાવવા માટેનો કાચો માલ) તેમજ અન્ય રાસાયણિક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી ડૉ. સૈયદ અફઘાનિસ્તાનમાં રહેલા ISIS હેન્ડલર ‘અબુ ખદીજા’ના સીધા સંપર્કમાં હતો અને તેના માર્ગદર્શન હેઠળ રાઈસિન ઝેર તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આતંકીઓ અમદાવાદ, દિલ્હી, લખનૌ સહિત દેશના અનેક મોટા શહેરોમાં હુમલાની યોજના બનાવી રહ્યા હતા. ATS દ્વારા આરોપીઓના રહેઠાણોમાંથી ડિજિટલ ડેટા, હથિયારો અને મહત્વપૂર્ણ દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા છે.
વિદેશી હેન્ડલર્સની સંડોવણી, બાયોલોજિકલ આતંકવાદનો ખતરો અને દેશભરમાં ફેલાયેલા સંભવિત નેટવર્કને ધ્યાનમાં રાખીને હવે NIA આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ ઘટના દેશમાં બાયોલોજિકલ આતંકવાદના વધતા જોખમ અંગે ગંભીર ચેતવણીરૂપ સાબિત થઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel