ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યના વિદ્યાર્થીઓ માટે વિશેષ શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા વિવિધ શિક્ષણલક્ષી અને કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ₹646 કરોડની રકમ સીધી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.
રાજ્ય સરકારનો ઉદ્દેશ આર્થિક કારણોને કારણે કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે અને માધ્યમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ તથા સંશોધન સુધી વિદ્યાર્થીઓને જરૂરી નાણાકીય સહાય મળી રહે તેવો છે. કાર્યક્રમ દરમિયાન નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના સહિતની વિવિધ યોજનાઓ હેઠળ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નમો લક્ષ્મી યોજના હેઠળ 4 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹513 કરોડથી વધુની સહાય
રાજ્ય સરકારની મહત્વપૂર્ણ નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 10 અને 12ની 4 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹513 કરોડથી વધુની નાણાકીય સહાય આપવામાં આવી છે.
યોજનાનો મુખ્ય હેતુ દીકરીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આર્થિક પરિસ્થિતિને કારણે કોઈ દીકરી અભ્યાસ અધૂરો ન છોડે અને શાળામાં તેનું સતત શિક્ષણ ચાલુ રહે તે માટે સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
‘બેટી બચાવો, બેટી પઢાવો’ના અભિગમ સાથે રાજ્ય સરકાર દીકરીઓના શિક્ષણને વધુ પ્રોત્સાહન આપવા અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે વિવિધ પગલાં લઈ રહી છે.
LIVE: ગાંધીનગર ખાતે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તથા વિવિધ શિષ્યવૃત્તિઓ અંતર્ગત રૂ. ૬૪૬ કરોડની શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ. https://t.co/gkxdAskf4W
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 12, 2026
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાથી 57 હજાર વિદ્યાર્થીઓને ₹28 કરોડ
વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધારવા માટે અમલમાં મૂકવામાં આવેલી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ આશરે 57 હજાર વિદ્યાર્થીઓને ₹28 કરોડથી વધુની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે.
મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અને સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી હતી.
આ યોજના દ્વારા રાજ્યમાં સાયન્સ, ટેક્નોલોજી અને સંશોધન ક્ષેત્રે વધુ વિદ્યાર્થીઓ આગળ આવે અને ભવિષ્યમાં વિજ્ઞાન આધારિત કારકિર્દી પસંદ કરે તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
ઉચ્ચ શિક્ષણના 7,260 વિદ્યાર્થીઓને ₹96 કરોડની સહાય
રાજ્ય સરકારે માત્ર શાળા શિક્ષણ જ નહીં પરંતુ ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને ઇનોવેશન ક્ષેત્રે આગળ વધતા વિદ્યાર્થીઓ માટે પણ વિવિધ યોજનાઓ હેઠળ નાણાકીય સહાય ફાળવી છે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત 6,174 વિદ્યાર્થીઓને લગભગ ₹56 કરોડની સહાય આપવામાં આવી છે. આ યોજના ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ પર પડતો આર્થિક ભાર ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
તે ઉપરાંત શોધ યોજના હેઠળ 882 વિદ્યાર્થીઓને ₹34 કરોડની સહાય આપવામાં આવી છે. સંશોધન અને ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીઓને આગળ વધવા માટે આ યોજના દ્વારા નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે.
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ અને કન્યા કેળવણી યોજના હેઠળ પણ સહાય
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત 153 વિદ્યાર્થીઓને આશરે ₹4 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ 91 વિદ્યાર્થીનીઓને લગભગ ₹2 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આ યોજનાનો હેતુ ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓની ભાગીદારી વધારવાનો અને આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને મદદ કરવાનો છે.
SSIP 2.0 હેઠળ 48 સંસ્થાઓને ₹9 કરોડની સહાય
વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારની Student Startup and Innovation Policy (SSIP) 2.0 હેઠળ 48 શૈક્ષણિક સંસ્થાઓને ₹9 કરોડની સહાય આપવામાં આવી છે.
આ સહાયનો ઉપયોગ વિદ્યાર્થીઓના નવીન વિચારો, સંશોધન, પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ અને સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સને આગળ વધારવા માટે કરવામાં આવશે. આ રીતે ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા કુલ 7,260 વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત આશરે ₹96 કરોડની સહાય આપવામાં આવી છે.
શિક્ષણ ક્ષેત્રે મજબૂત ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે: શિક્ષણ મંત્રી
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મજબૂત અને આધુનિક ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે.
તેમણે જણાવ્યું કે DBTના માધ્યમથી વિદ્યાર્થીઓના ખાતામાં સીધી સહાય પહોંચાડવાથી સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા અને ઝડપ વધે છે. વિદ્યાર્થીઓ સુધી યોજનાનો લાભ કોઈ વિલંબ વગર પહોંચે તે માટે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
‘આજના વિદ્યાર્થીઓ સ્માર્ટ છે, તેમનું IQ લેવલ પણ ઊંચું છે’: CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી જ શિક્ષણને વિકાસના મુખ્ય આધારસ્તંભ તરીકે આગળ વધાર્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે આજના વિદ્યાર્થીઓ ખૂબ હોંશિયાર અને સ્માર્ટ છે અને તેમની ક્ષમતાને યોગ્ય તક અને માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર માત્ર શિષ્યવૃત્તિ આપવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાની સુવિધા મળે તે માટે પણ સતત કાર્ય કરી રહી છે.
ડ્રોપઆઉટ ઘટાડવા રાજ્ય સરકારની વિશેષ ઝુંબેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા છોડનારા વિદ્યાર્થીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર છેલ્લા કેટલાક વર્ષોમાં અભ્યાસથી દૂર થયેલા વિદ્યાર્થીઓને ફરી શિક્ષણની મુખ્ય ધારામાં લાવવા માટે વિશેષ ઝુંબેશ ચલાવી રહી છે.
ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો, દીકરીઓને શિક્ષણમાં ટકાવી રાખવી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડવું રાજ્ય સરકારની મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓમાં સામેલ છે.
શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર સરકારનું વિશેષ ધ્યાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની સાથે આરોગ્ય અને સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. રાજ્ય સરકાર વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ, ડિજિટલ શિક્ષણ, સંશોધન સહાય અને સ્ટાર્ટઅપ પ્રોત્સાહન દ્વારા વિદ્યાર્થીઓ માટે વધુ તકો ઊભી કરવાનો પ્રયાસ કરી રહી છે.
₹646 કરોડથી વધુની DBT સહાયના આ કાર્યક્રમને રાજ્ય સરકારના શિક્ષણ ક્ષેત્રે નાણાકીય સહાય, પારદર્શક વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના સશક્તિકરણના મોટા પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel