દ્વારકામાં રામકથા ‘માનસ કૃષ્ણ અવતાર’ ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.! આજની કથામાં કૃષ્ણ લોકગીતો સાથે ભાવિકોને નચાવ્યા હતાં.
‘જબ જદુબંસ કૃષ્ન અવતારા, હોઈ હિ હરન મહા મહિભારા. કૃષ્ન તનય હોઈ હિ પતિ તોરા, બચનુ અન્યથા હોઈ ન મોરા.’ એ ચોપાઈ કેન્દ્રમાં રાખી મોરારિબાપુ દ્વારા રામકથા ‘માનસ કૃષ્ણ અવતાર’ ગાન થઈ રહ્યું છે.
કથાના પાંચમાં દિવસે કૃષ્ણ ચરિત્ર અને કૃષ્ણ તત્ત્વ સંદર્ભે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ ઉપનિષદ અંતર્ગત બ્રહ્મ વિશે ચિંતન રજૂ કર્યું. અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.! બ્રહ્મ ખોવાયો નથી, આપણાથી ભૂલાયો છે, તેમ ઉમેર્યું.
એક પ્રશ્ન અનુસંધાને ભાગવત ચતુષ્કોણ સાથે રામકથા એ ચતુશ્લોકી તરીકે ગણાવી ચોપાઈ, છંદ, સોરઠા અને દોહા એમ ગણાવેલ. આ ઉપરાંત ચાર સંવાદ જે મહાદેવ અને પાર્વતી, યાજ્ઞવલ્કજી અને ભરદ્વાજજી, કાગભૂષુંડીજી અને ગરુડજી તથા તુલસીદાસજી અને સ્વયંમન એ ચાર ગણાવ્યાં.
સાંપ્રત વૈશ્વિક સંઘર્ષમાં સંવાદના અભાવનો રંજ વ્યક્ત કરી મોરારિબાપુએ ક્થા શ્રોતાઓને દુર્વાદ, વિવાદ, અપવાદ વગેરે છોડવા અને સંવાદ કરવા ભારપૂર્વક જણાવ્યું.
આદ્ય જગતગુરુ શંકરાચાર્યજી સ્મરણ સાથે સનાતન પરંપરા અને વૈશ્વિક ભાવનાની આપણી ભારતવર્ષની પરંપરા ઉલ્લેખ કરતાં જગતમંદિર, વિશ્વનાથ, જગન્નાથ, અંબા વગેરે સંકુચિત નહી પણ સનાતન વિશાળતાનું દર્શન કરાવનાર હોવાનું જણાવી હાર્દિક અહોભાવ વ્યક્ત કર્યો.
તીર્થસ્થાન દ્વારકામાં આજની કથામાં કૃષ્ણ લોકગીતો સાથે ભાવિકોને તાલભેર નચાવ્યા હતાં.
અહીંયા સનાતન આશ્રમના કેશવાનંદજી મહારાજ, વીરપુરના જયસુખરામબાપા, જાણીતા કથાકાર જીગ્નેશદાદા અને અન્ય ધાર્મિક, સામાજિક મહાનુભાવો કથા શ્રવણમાં જોડાયાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel