ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC) અમલમાં લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. UCC માટે રચાયેલી વિશેષ કમિટીએ પોતાનો વિસ્તૃત અને અંતિમ રિપોર્ટ 17 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં કમિટીના સભ્યોએ રિપોર્ટ રજૂ કરતાં હવે આ મુદ્દે કાયદાકીય પ્રક્રિયા ઝડપી બનવાની શક્યતા છે.
રાજ્ય સરકારે 4 ફેબ્રુઆરી, 2025ના રોજ આ કમિટીની રચના કરી હતી. છેલ્લા એક વર્ષ દરમિયાન કમિટીએ વિવિધ ધર્મો, સમાજના અગ્રણીઓ, કાનૂની નિષ્ણાતો અને સામાન્ય નાગરિકોના મતો અને સૂચનો મેળવ્યા હતા. આ ગહન અભ્યાસના આધારે તૈયાર કરાયેલ આ રિપોર્ટ હવે સરકારને સોંપવામાં આવ્યો છે. 17 માર્ચે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થવાની છે, જેમાં સરકાર દ્વારા ચાર મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
શું છે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)?
યુનિફોર્મ સિવિલ કોડનો મુખ્ય હેતુ દેશના તમામ નાગરિકો માટે એકસરખા કાયદા અમલમાં લાવવાનો છે, ભલે તેઓ કોઈ પણ ધર્મ કે સમુદાયના હોય. હાલમાં વિવિધ ધર્મો માટે અલગ-અલગ પર્સનલ લૉ લાગુ છે, જ્યારે UCC હેઠળ લગ્ન, છૂટાછેડા, દત્તક, સંપત્તિ વહેંચણી જેવા તમામ નાગરિક મુદ્દાઓ માટે એક જ કાયદો લાગુ કરવાની કલ્પના છે. ભારતીય બંધારણની કલમ 44 મુજબ રાજ્યએ સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
સરળ ભાષામાં કહીએ તો, UCC લાગુ થયા બાદ તમામ ધર્મોના લોકો માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને સંપત્તિ સંબંધિત નિયમો એકસરખા રહેશે. કોઈ પણ વ્યક્તિને ધર્મના આધારે અલગ કાનૂની છૂટછાટ આપવામાં આવશે નહીં. સાથે જ આ કાયદો ધાર્મિક માન્યતાઓ, પરંપરાઓ, પૂજા પદ્ધતિ, વસ્ત્ર પરંપરા કે ખાનપાન પર કોઈ અસર કરશે નહીં.
UCC લાગુ થશે તો શું બદલાશે?
UCC અમલમાં આવ્યા બાદ દરેક સમુદાય માટે લગ્ન અને છૂટાછેડા સંબંધિત કાયદા સમાન રહેશે. ઉદાહરણ તરીકે, છૂટાછેડા વિના બીજા લગ્ન શક્ય નહીં બને. સંપત્તિ વહેંચણીમાં પણ સમાન અધિકારો લાગુ થશે. પરિવારના તમામ સભ્યોને સમાન હક્ક મળશે, ભલે તેઓ કોઈ પણ ધર્મના હોય. આ કાયદાનો હેતુ નાગરિકોમાં સમાનતા લાવવાનો અને કાનૂની પ્રણાલીને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો છે.
ઉત્તરાખંડમાં પહેલાથી અમલ
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય બની ગયું છે, જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં લાવવામાં આવ્યો છે. ત્યાં લગ્ન, તલાક, દત્તક, સંપત્તિ હક્ક અને લિવ-ઇન રિલેશનશિપ જેવી બાબતોમાં તમામ ધર્મોના લોકો માટે એકસરખા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સહિતના પર્સનલ લૉને બદલે એક જ કાયદો અમલમાં છે. જો કે આ કાયદો રાજ્યના આદિવાસી સમુદાયોને લાગુ પડતો નથી.
ગુજરાતમાં પણ હવે UCC અમલ તરફ વધતા પગલાંને કારણે રાજ્યની રાજનીતિ અને કાનૂની વ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળી શકે છે. આગામી સમયમાં આ મુદ્દે સરકાર દ્વારા લેવામાં આવતા નિર્ણયો પર સૌની નજર રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel