ભાવનગર શહેરમાં અશાંતધારા અધિનિયમના ઉલ્લંઘનનો પ્રથમ કેસ નોંધાતા પ્રશાસનમાં ચકચાર મચી છે. આ કેસ રાજ્યમાં અમદાવાદ પછી બીજો અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રથમ ગણાઈ રહ્યો છે.
ક્રેસન્ટ વિસ્તારમાં આવેલ એક મકાન કલેક્ટર અથવા એસડીએમની અગાઉની મંજૂરી વગર વેચી દેવામાં આવ્યું હોવાના આરોપસર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના અશાંતધારાના કડક અમલીકરણ તરફ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
શું છે સમગ્ર મામલો?
માહિતી મુજબ, ક્રેસન્ટ વિસ્તારના વોર્ડ નંબર 5માં આવેલી મિલકત (સિટી સર્વે નંબર 4463, પ્લોટ નંબર 567-A/1)નું હસ્તાંતરણ અશાંતધારા લાગુ હોવા છતાં કરવામાં આવ્યું હતું. આ કાયદા મુજબ, આવા વિસ્તારોમાં મિલકત વેચાણ માટે કલેક્ટર અથવા એસડીએમની પૂર્વ મંજૂરી ફરજિયાત હોય છે.
અહેવાલ પ્રમાણે દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલે 26 ઓગસ્ટ 2025ના રોજ અલ્લારખભાઈ કદરભાઈ ગીગાણીને ₹93 લાખમાં મકાન વેચ્યું હતું. સેલ એગ્રીમેન્ટ અને સત્તાખત પણ કરવામાં આવ્યા હતા અને ખરીદદારે સંપૂર્ણ રકમ ચૂકવી દીધી હતી.
તેમ છતાં, આ સમગ્ર પ્રક્રિયામાં સરકારી પરવાનગી લેવામાં આવી નહોતી, જે અશાંતધારા કાયદાનો સીધો ભંગ ગણાય છે.
પરવાનગી અરજી નકારી છતાં થયો સોદો
વેચનાર દ્વારા 11 સપ્ટેમ્બર 2025ના રોજ પરવાનગી માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ તપાસ અને સુનાવણી બાદ 17 ફેબ્રુઆરી 2026ના રોજ આ અરજી નકારી કાઢવામાં આવી હતી. તે છતાં મિલકતનો કબજો ખરીદદારે સોંપી દેવાયો હતો, જેના કારણે અશાંતધારા અધિનિયમની કલમ 4 અને 5નું ઉલ્લંઘન થયું છે.
પોલીસ ફરિયાદ અને તપાસ
સિટી મામલતદાર કે.બી. ચાંદલીયાએ દસ્તાવેજોની તપાસ દરમિયાન ગેરરીતિ સામે લાવી અને ઘોઘા રોડ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે વેચનાર દર્શરાજસિંહ ગોહિલ, ખરીદદાર અલ્લારખભાઈ ગીગાણી અને અન્ય સંડોવાયેલા લોકો સામે ગુનો નોંધ્યો છે.
સિટી DYSP આર.આર. સિંઘલે જણાવ્યું કે અશાંતધારા લાગુ હોવા છતાં સરકારી મંજૂરી વગર મિલકત વેચાણ કરાયું છે. આ મામલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ ₹93 લાખના નાણાકીય વ્યવહારોની પણ વિગતવાર તપાસ કરવામાં આવશે અને બંને પક્ષોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
શું છે અશાંતધારા કાયદો?
ભાવનગરના કેટલાક વિસ્તારોમાં 2023-2024 દરમિયાન અશાંતધારા લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં ક્રેસન્ટ વિસ્તારનો પણ સમાવેશ થાય છે.
આ કાયદો ખાસ કરીને કોમી સંવેદનશીલ વિસ્તારોમાં ગેરકાયદેસર મિલકત હસ્તાંતરણ અટકાવવા માટે બનાવવામાં આવ્યો છે. વડોદરા, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં આ કાયદો પહેલેથી જ અમલમાં છે.
ભાવનગરમાં નોંધાયેલ આ પહેલો કેસ દર્શાવે છે કે રાજ્ય સરકાર અશાંતધારા કાયદાના અમલમાં હવે વધુ કડક બની રહી છે. આવનારા સમયમાં આવા ઉલ્લંઘનો સામે વધુ કડક કાર્યવાહી થવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel