નર્મદા જિલ્લાએ 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં મેળવ્યું પ્રથમ સ્થાન
એક્ઝામ વોરિયર્સ, મોટિવેશનલ કાર્યક્રમો અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો દેખાયો સકારાત્મક પ્રભાવ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10ના પરિણામમાં નર્મદા જિલ્લાએ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. રાજ્યનું કુલ પરિણામ 83.86 ટકા નોંધાયું છે ત્યારે નર્મદા જિલ્લાએ 90.85 ટકા સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પરિણામ જાહેર થતાં જિલ્લામાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે અને શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. કિરણબેન પટેલે આ સફળતા પાછળ અનેક મહત્વપૂર્ણ પરિબળોને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 15 નવેમ્બર-2025ના રોજ દેડિયાપાડા ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહી દેવમોગરા ખાતે વિદ્યાર્થીઓ સાથે “પરીક્ષા પે ચર્ચા” અંતર્ગત પ્રેરણાત્મક સંવાદ કર્યો હતો. આ સંવાદથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો હતો અને પરીક્ષા પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “એક્ઝામ વોરિયર્સ”ના 25 મંત્રોની વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. જિલ્લા શૈક્ષણિક સંઘો દ્વારા ખ્યાતનામ મોટિવેશનલ સ્પીકર્સને આમંત્રિત કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, શિક્ષણ વિભાગ તથા સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી પરીક્ષાનું સુચારૂ આયોજન શક્ય બન્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શિક્ષકોની થયેલી મોટાપાયે ભરતીનો લાભ પણ નર્મદા જિલ્લાને મળ્યો હોવાનું જણાવતાં જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું કે, વિષય શિક્ષકો ઉપલબ્ધ થતાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી શક્યું છે. શિક્ષણ સહાયકો, જ્ઞાન સહાયકો તથા તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સજ્જ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી નર્મદા જિલ્લાના બોર્ડ પરીક્ષાના પરિણામમાં સતત સુધારો નોંધાઈ રહ્યો છે. પરિણામ જાહેર થતાં જિલ્લા આચાર્ય સંઘના સભ્યો અને શિક્ષકોએ જિલ્લા શિક્ષણાધિકારીની શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન પાઠવ્યા હતા.
શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા પ્રયાસોમાં પણ જિલ્લામાં અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. જિલ્લાના ભાજપા અધ્યક્ષ નીલ રાવ સાહેબજીના હસ્તે સૌપ્રથમ પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ભણતર પ્રત્યે પ્રેરણા અને જાગૃતિ ફેલાવતી મહત્વપૂર્ણ શરૂઆત બની રહી છે.
જિલ્લામાં શિક્ષણને આપવામાં આવતું મહત્વ, વિદ્યાર્થીઓને મળતું પ્રોત્સાહન અને વિકાસલક્ષી વિચારોના પરિણામે આજે નર્મદા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં નંબર-1 સ્થાન તરફ આગળ વધી રહ્યો છે. “વિચાર ઊંચા હશે તો સફળતા ચોક્કસ મળશે” — આ વિચારધારા આજે જિલ્લાના ઉત્તમ પરિણામમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થઈ રહી છે.
શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel