બાંગ્લાદેશના રાજકારણમાં ફરી એકવાર મોટો વળાંક આવ્યો છે. સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ લગભગ બે વર્ષથી ભારતમાં નિવાસ કરી રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ નવી દિલ્હીમાંથી પોતાના રાજકીય ભવિષ્ય અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે તેઓ આગામી ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશ પરત ફરશે અને ટૂંક સમયમાં તેની સત્તાવાર તારીખ જાહેર કરશે.
નવી દિલ્હીના ફોરેન કરસ્પોન્ડન્ટ્સ ક્લબ ખાતે આયોજિત વર્ચ્યુઅલ સંબોધનમાં શેખ હસીનાએ ઓડિયો માધ્યમથી પત્રકારોને સંબોધ્યા હતા. આ દરમિયાન તેમનો ચહેરો દેખાડવામાં આવ્યો નહોતો, પરંતુ તેમના અવાજમાં ભાવુકતા સ્પષ્ટ દેખાઈ હતી.
2 વર્ષ બાદ પ્રથમ વખત જાહેર સંબોધન
5 ઓગસ્ટ 2024ના રોજ બાંગ્લાદેશ છોડીને ભારત આવ્યા બાદ આ પ્રથમ પ્રસંગ હતો જ્યારે 78 વર્ષીય શેખ હસીનાએ આંતરરાષ્ટ્રીય મીડિયાને સંબોધ્યા. પોતાના સંદેશમાં તેમણે કહ્યું કે બાંગ્લાદેશની વર્તમાન સરકાર જે ઇચ્છે તે કરે, પરંતુ તેમણે પોતાના દેશના લોકો વચ્ચે પરત ફરવાનો નિર્ણય કરી લીધો છે.
તેમણે કહ્યું કે તેમનો હેતુ માત્ર રાજકીય સત્તા મેળવવાનો નથી, પરંતુ દેશમાં ફરીથી લોકશાહી, સુરક્ષા, સમૃદ્ધિ અને બિનસાંપ્રદાયિક મૂલ્યોની સ્થાપના કરવાનો છે.
ડિસેમ્બર મહિનાની પસંદગી પાછળનું ઐતિહાસિક કારણ
સંબોધનની શરૂઆતમાં જ શેખ હસીના ભાવુક બની ગયા અને આંસુઓ રોકી શક્યા નહોતા. તેમણે જણાવ્યું કે ડિસેમ્બર બાંગ્લાદેશ માટે માત્ર એક મહિનો નથી પરંતુ ‘વિજયનો મહિનો’ છે.
16 ડિસેમ્બર 1971ના રોજ ભારતની મદદથી બાંગ્લાદેશને સ્વતંત્રતા મળી હતી. આ ઐતિહાસિક ઘટનાને ધ્યાનમાં રાખીને જ તેમણે ડિસેમ્બર મહિનામાં વતન વાપસી કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું.
મોતની સજા અને રાજકીય પડકારો વચ્ચે પણ અડગ નિર્ણય
શેખ હસીનાએ જણાવ્યું કે બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ દ્વારા તેમની ગેરહાજરીમાં આપવામાં આવેલી મોતની સજા તેમને ડરાવી શકશે નહીં.
તેમણે પોતાના રાજકીય જીવન દરમિયાન થયેલા હુમલાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વર્ષ 1981, 1983, 1985 અને 2007માં તેમને રાજકીય રીતે રોકવાનો પ્રયાસ થયો હતો. ઉપરાંત તેમના પર 19થી વધુ પ્રાણઘાતક હુમલાઓ થયા હતા, જેમાં 2004નો ગ્રેનેડ હુમલો પણ સામેલ છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જેલ હોય કે મૃત્યુ, તેઓ પોતાના દેશવાસીઓ પ્રત્યેની ફરજમાંથી પાછળ નહીં હટે.
ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માન્યો આભાર
શેખ હસીનાએ ભારતને બાંગ્લાદેશનો વિશ્વસનીય મિત્ર ગણાવ્યો અને મુશ્કેલ સમયમાં ભારતે આપેલા સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો.
તેમના પુત્ર અને અવામી લીગના વરિષ્ઠ નેતા સજીબ વાજેદ જોયે પણ ભારત સરકાર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા જણાવ્યું કે ભારતમાં નિવાસ દરમિયાન શેખ હસીનાને એક પૂર્વ રાષ્ટ્રપ્રમુખને અનુરૂપ સન્માન અને શ્રેષ્ઠ સુરક્ષા આપવામાં આવી છે.
બાંગ્લાદેશના રાજકારણમાં ફરી ગરમાયો માહોલ
શેખ હસીનાની વતન વાપસીની જાહેરાત બાદ બાંગ્લાદેશના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. તેમની વાપસીથી દેશના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ તેમની સામે ચાલી રહેલી કાનૂની કાર્યવાહી અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ જાહેરાત પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel