વડતાલધામ ખાતે આજે સહજાનંદી બાળ-યુવા શિબિરના દશાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો હતો. આ શુભ અવસરે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના લોકપ્રિય સાંસદ દેવુસિંહજી ચૌહાણે વડતાલ સંસ્થાના પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
તાજેતરમાં LNCT વિશ્વવિદ્યાલય, ભોપાલ દ્વારા દેવુસિંહજી ચૌહાણને માનદ ડોકટરેટ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. તે બદલ વડતાલ સંસ્થા દ્વારા તેમનું હાર્દિક અભિવાદન કરવામાં આવ્યું હતું.
દેવુસિંહજીએ સૌપ્રથમ મહાપ્રતાપી શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી આ ડોકટરેટ ભગવાનને અર્પણ કરી હતી.
આ પ્રસંગે સંસ્થાના આશીર્વાદનો પ્રતિભાવ આપતા દેવુસિંહજી ચૌહાણે જણાવ્યું હતું કે, “આ સન્માનને લાયક બનું એવા આશીર્વાદ આપજો. આ સન્માન હું મારા ખેડા જિલ્લાના નાગરિકોને અર્પણ કરું છું. વડતાલ સંસ્થાએ બાળઘડતરનું વિરાટ કાર્ય કર્યું છે અને સંસ્થાની સેવા પ્રવૃત્તિઓમાં સહભાગી થવાનું સૌભાગ્ય મને સતત મળતું રહે છે.”
ત્યારબાદ શિબિર સ્થળે પહોંચતા સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પધારેલ કન્યાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મંચ પર આગમન સમયે જયનાદ સાથે તેમનું ભાવભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડતાલ ગાદીના યશસ્વી આચાર્યશ્રી પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ સ્વયં ઉપસ્થિત રહ્યા હતા અને દેવુસિંહજી તેમની સાથે શિબિરના દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.
ત્યારબાદ વડતાલ મંદિરના મુખ્ય કોઠારીશ્રી દેવપ્રકાશ સ્વામી, પૂજ્ય નૌતમ સ્વામી તથા પૂજ્ય શુકદેવ સ્વામીએ ટ્રસ્ટીશ્રી તેજસભાઈ અને અર્પિતભાઈ સાથે મળીને હાર, ખેસ અને પાઘ પહેરાવી વિશિષ્ટ અભિવાદન કર્યું હતું. સાથે જ વિવિધ જિલ્લાઓના બાળકો સાથે સંતોએ માણકી પર મહારાજ તથા મોમેન્ટો અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે પૂજ્ય ગોવિંદ સ્વામી (મેતપુર), પૂજ્ય શ્રીવલ્લભ સ્વામી, પૂજ્ય હરિઓમ સ્વામી સહિત અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા સંસ્થાના યુવકો દ્વારા સંભાળવામાં આવી હતી.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel