ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પોતાની શક્તિ અને વ્યૂહાત્મક ક્ષમતાનો મજબૂત પરિચય આપ્યો છે. ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ નાગેશ કપૂરે મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે આ ઓપરેશન બાદ વિશ્વભરમાં ભારતીય સેનાની પ્રશંસા થઈ રહી છે. તેમણે ખાસ કરીને કહ્યું કે દુશ્મન સામે ભારત કોઈપણ હદ સુધી જઈ શકે છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સશસ્ત્ર દળો હંમેશા તૈયાર છે.
મીડિયા સાથેની વાતચીતમાં એર માર્શલ નાગેશ કપૂરે જણાવ્યું કે રાફેલ ફાઇટર જેટ ઓપરેશન સિંદૂરનો મુખ્ય ‘હીરો’ રહ્યો હતો, પરંતુ સાથે અન્ય અનેક પ્લેટફોર્મ્સ અને સેનાના સભ્યોનું યોગદાન પણ અત્યંત મહત્વપૂર્ણ હતું. પાકિસ્તાન દ્વારા વારંવાર રાફેલ વિમાનને નુકસાન પહોંચાડવાના દાવાઓ વચ્ચે તેમનું આ નિવેદન ખાસ મહત્વ ધરાવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઓપરેશનમાં મલ્ટી-ડોમેન ક્ષમતાઓનો સફળ ઉપયોગ થયો હતો.
#WATCH | Delhi | Vice Chief of Air Staff Air Marshal Nagesh Kapoor says, "Rafale was definitely the hero during Operation Sindoor. Indian Air Force is looking forward to inducting more MRFA (Multi Role Fighter Aircraft), which is going to be Rafale or any other, which are under… pic.twitter.com/nRlGGMCdyA
— ANI (@ANI) February 11, 2026
આગામી સમયમાં ભારતીય વાયુસેનાની શક્તિ વધુ સ્પષ્ટ રીતે દેખાશે, કારણ કે 27 ફેબ્રુઆરી 2026ના રોજ રાજસ્થાનના પોખરણ ફાયરિંગ રેન્જ ખાતે મેગા કવાયત ‘વાયુ શક્તિ 2026’ યોજાશે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ સમક્ષ વાયુસેનાની ઓપરેશનલ તૈયારી અને આધુનિક ક્ષમતાઓ દર્શાવવાનો છે, સાથે જ યુવાનોને વાયુસેનામાં જોડાવા પ્રેરિત કરવાનો પણ છે. કવાયત દરમિયાન રાફેલ અને સ્વદેશી તેજસ ફાઇટર જેટ સહિત 120થી વધુ ફાઇટર જેટ, હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભાગ લેશે. 24 ફેબ્રુઆરીએ ફુલ ડ્રેસ રિહર્સલ યોજાશે જ્યારે 28 ફેબ્રુઆરી સ્ટેન્ડબાય તારીખ તરીકે રાખવામાં આવી છે. કાર્યક્રમ સાંજે 5:10 થી 7:45 વાગ્યા સુધી ચાલશે અને દિવસ, સાંજ તેમજ રાત્રિ ઓપરેશનનું પ્રદર્શન થશે.
વાઇસ ચીફ નાગેશ કપૂરે વધુમાં જણાવ્યું કે ભારતીય વાયુસેના પોતાના કાફલામાં MRFA (મલ્ટિ-રોલ ફાઇટર એરક્રાફ્ટ) ઉમેરવા અંગે વિચારણા કરી રહી છે. રાફેલ અથવા અન્ય કોઈ અદ્યતન વિમાન પસંદ કરાશે તે અંગે હજુ ચર્ચા ચાલુ છે અને અંતિમ નિર્ણય લેવાયો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, સંરક્ષણ મંત્રાલય MRFA કાર્યક્રમ હેઠળ લગભગ ₹3.25 લાખ કરોડના ખર્ચે 114 ફ્રેન્ચ બનાવટના રાફેલ જેટ ખરીદવાની પ્રક્રિયાને મંજૂરી આપી શકે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના સંભવિત ભારત પ્રવાસ પહેલા આ ડીલને નવી ગતિ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel